BIG NEWS : પાકિસ્તાન સાથે સંઘર્ષ દરમિયાન ભારતના કેટલા જેટ પ્લેન તૂટ્યાના સવાલ અંગે CDS ચૌહાણે આપ્યો જવાબ
CDS Anil Chauhan : ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS અનિલ ચૌહાણે શનિવારે સિંગાપોરમાં પાકિસ્તાને 6 ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાના દાવાને નકાર્યો છે. તેમણે બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે આ દાવો તદ્દન ખોટો છે.
'વિમાન પડ્યા મહત્ત્વના નથી, અમે શું શીખ્યા એ મહત્ત્વનું'
જોકે આગળ તેમણે કહ્યું છે, કે 'કોઈ પણ યુદ્ધ નુકસાન વગર લડી શકાય નહીં. ભારતે પાકિસ્તાનને જે પ્રભાવી રૂપથી જવાબ આપ્યો. મહત્ત્વની વાત એ છે કે અમે ભૂલોને સમજી તેમાં સુધારો કરી શકીએ છીએ.' પાકિસ્તાનનો દાવો છે કે તેણે ભારતના છ ફાઇટર જેટ તોડી પાડ્યા છે. જેના જવાબમાં અનિલ ચૌહાણે કહ્યું છે, કે 'તદ્દન ખોટું. ગણતરી મહત્ત્વની નથી, મહત્ત્વનું એ છે કે વિમાન કેમ પડ્યા અને અમે શું શીખ્યા? અને તેમાં શું સુધારો કર્યો.'
કોંગ્રેસે વીડિયો શેર કરી સવાલ કર્યો
આ મામલે કોંગ્રેસે પણ વીડિયો શેર કરી સરકાર સામે સવાલ કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે, કે 'અનિલ ચૌહાણ તેમના નિવેદનમાં માની રહ્યા છે કે ભારતે ફાઈટર જેટ ગુમાવ્યાં છે. તો પછી મોદી સરકાર આ વાત કેમ છુપાવી રહી છે?'
નોંધનીય છે કે આ ઈન્ટરવ્યૂ પહેલા CDS જનરલ અનિલ ચૌહાણે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું હતું. સિંગાપોરમાં આયોજિત 22માં શાંગરી-લા ડાયલોગમાં તેમણે કહ્યું હતું, કે 'પાકિસ્તાનને અનેક વખત ભારતને દગો આપ્યો. ભારત નથી બદલાયું, પણ અમારી રણનીતિ બદલાઈ છે. આજે ભારત વિવિધતા છતાં આર્થિક, સામાજિક, GDP તથા માનવ વિકાસ સહિત તમામ મોરચે પાકિસ્તાનથી ક્યાંય આગળ છે.'