Get The App

ધો.9-10માં ત્રણ ભાષા ફરજિયાત પણ બોર્ડની પરીક્ષાનું ટેન્શન નહીં! 1 જુલાઈથી લાગુ થશે CBSEનો નવો નિયમ

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
ધો.9-10માં ત્રણ ભાષા ફરજિયાત પણ બોર્ડની પરીક્ષાનું ટેન્શન નહીં! 1 જુલાઈથી લાગુ થશે CBSEનો નવો નિયમ 1 - image

CBSE Three Language Formula: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાં ભાષાઓની નીતિને લઈને એક બહુ જ મોટો અને ક્રાંતિકારી ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. CBSE દ્વારા 15 મે, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર અનુસાર, શૈક્ષણિક વર્ષ 2026-27 થી ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો સંપૂર્ણપણે ફરજિયાત રહેશે. આ નવો નિયમ 1 જુલાઈ, 2026થી દેશભરની તમામ CBSE સંલગ્ન શાળાઓમાં અમલી બની જશે. જો કે, વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ ન વધે તે માટે બોર્ડે ધોરણ-10માં ત્રીજી ભાષાની બોર્ડ પરીક્ષામાંથી મુક્તિ આપી છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણયથી શાળાકીય શિક્ષણના માળખામાં મોટો બદલાવ આવશે. અગાઉના અહેવાલોમાં એવું અનુમાન હતું કે આ ત્રણ ભાષાની ફોર્મ્યુલા ધોરણ-6 થી તબક્કાવાર લાગુ કરીને 2030-31 સુધીમાં ધોરણ-10 સુધી લંબાવવામાં આવશે. પરંતુ બોર્ડે મે 2026ના આ પરિપત્ર દ્વારા ધોરણ-9 અને 10 માટેની સમયરેખા અને અમલીકરણને સ્પષ્ટ અને કાયદેસર રીતે મંજૂરી આપી દીધી છે.

બે ભારતીય ભાષાઓ ભણવી જ પડશે

CBSE દ્વારા સુધારેલી ભાષા પદ્ધતિ હેઠળ, અભ્યાસક્રમમાં ત્રણ ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને R1, R2 અને R3 તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ નવી સિસ્ટમમાં સૌથી મહત્વનો નિયમ એ છે કે, વિદ્યાર્થીએ પસંદ કરેલી ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ મૂળ ભારતીય (Native Indian Languages) હોવી અનિવાર્ય છે.

પરિપત્રની મુખ્ય જોગવાઈઓ:

ભારતીય ભાષાઓની અનિવાર્યતા: વિદ્યાર્થી ભલે ગમે તે ભાષા પસંદ કરે, પરંતુ તેની મુખ્ય ત્રણ ભાષાઓમાંથી બે ભાષાઓ ભારતીય જ હોવી જોઈએ (જેમ કે હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી વગેરે).

વિદેશી ભાષા અંગેનો નિયમ: જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી ઉપરાંત અન્ય કોઈ વિદેશી ભાષા (જેમ કે ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ) ભણવા માંગતો હોય, તો તે ત્રીજી ભાષા (R3) તરીકે જ પસંદ કરી શકાશે અને તે પણ ત્યારે જ જ્યારે બાકીની બે ભાષાઓ ભારતીય હોય.

ચોથી ભાષાનો વિકલ્પ: જો વિદ્યાર્થી ત્રણ મુખ્ય ભાષાઓમાં નિયમ જાળવી રાખે, તો તે વધારાના ચોથા વિષય તરીકે પણ વિદેશી ભાષાનો અભ્યાસ કરી શકે છે.

બોર્ડના નોટિફિકેશનમાં સ્પષ્ટ જણાવાયું છે કે, "1 જુલાઈ 2026થી ધોરણ-9 માટે ત્રણ ભાષાઓ (R1, R2, R3) નો અભ્યાસ ફરજિયાત રહેશે, જેમાં ઓછામાં ઓછી બે ભાષાઓ મૂળ ભારતીય ભાષાઓ હોવી જરૂરી છે." આ અંગેની વિગતવાર માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે.

બોર્ડ પરીક્ષાનું કોઈ ટેન્શન નહીં, મૂલ્યાંકન આંતરિક રહેશે

નવા નિયમો સાંભળીને વિદ્યાર્થીઓ કે વાલીઓ મૂંઝાય નહીં તે માટે CBSE એ એક મોટો રાહતભર્યો નિર્ણય લીધો છે. ધોરણ-10 સ્તરે ત્રીજી ભાષા (R3) માટે કોઈ સત્તાવાર બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં.

વિદ્યાર્થીઓ પરથી પરીક્ષાનું દબાણ ઘટાડવા માટે આ મુજબનું આયોજન કરાયું છે:

1. સ્કૂલ લેવલ અસેસમેન્ટ: ત્રીજી ભાષા (R3) નું સંપૂર્ણ મૂલ્યાંકન શાળાઓ દ્વારા આંતરિક રીતે (Internal Assessment) કરવામાં આવશે.

2. માર્કશીટમાં ઉલ્લેખ: આ આંતરિક પરીક્ષાના ગુણ અથવા ગ્રેડ વિદ્યાર્થીના અંતિમ CBSE સર્ટિફિકેટ/માર્કશીટમાં દર્શાવવામાં આવશે.

3. પરીક્ષામાં બેસવા પર કોઈ રોક નહીં: બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વિદ્યાર્થી ત્રીજી ભાષામાં નબળું પ્રદર્શન કરે અથવા કોઈ કારણસર આંતરિક પ્રક્રિયા બાકી હોય, તો પણ તેને ધોરણ-10ની મુખ્ય બોર્ડ પરીક્ષામાં બેસતા અટકાવવામાં આવશે નહીં.

તંત્રનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ ભાષાને ગોખવાના બદલે રસપૂર્વક શીખે અને તેમના પર બોર્ડ પરીક્ષાનું કોઈ નવું માનસિક દબાણ ઊભું ન થાય.

શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું હોવાથી ટ્રાન્ઝિશનલ એપ્રોચ અપનાવાયો

સામાન્ય રીતે શૈક્ષણિક સત્ર એપ્રિલ મહિનાથી શરૂ થઈ જતું હોય છે. આ વર્ષે પણ 2026-27નું સત્ર એપ્રિલથી શરૂ થઈ ચૂક્યું હોવાથી મધ્ય સત્રમાં આ ફેરફાર અચાનક લાદવામાં આવ્યો નથી. શાળાઓ અને વિદ્યાર્થીઓને આ નવી વ્યવસ્થામાં ઢળવા માટે પૂરતો સમય મળી રહે તે માટે બોર્ડે આ વર્ષને ટ્રાન્ઝિશન વર્ષ (Transition Year) તરીકે જાહેર કર્યું છે. 

CBSE એ એનસીઈઆરટી (NCERT) ના અભ્યાસક્રમ સાથે સુમેળ સાધવા માટે ક્રમશઃ આગળ વધવાનું નક્કી કર્યું છે. આ ગોઠવણના ગાળા દરમિયાન કોઈપણ વિદ્યાર્થીને શૈક્ષણિક રીતે નુકસાન ન થાય તેની તકેદારી રાખવા શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે.

શિક્ષકોની અછતને પહોંચી વળવા શાળાઓને ખાસ છૂટછાટ

આ નવો નિયમ લાગુ કરવામાં શાળાઓ સામે સૌથી મોટો પડકાર પૂરતા પ્રમાણમાં લાયક ભાષા શિક્ષકો ઉપલબ્ધ કરાવવાનો છે. ભારતીય ભાષાઓના શિક્ષકોની અછતને પહોંચી વળવા માટે બોર્ડે શાળાઓને કેટલીક વ્યવહારુ છૂટછાટો આપી છે. જેમાં

હાઈબ્રિડ ટીચિંગ: શાળાઓ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમ ભેગું કરીને હાઈબ્રિડ મોડમાં ભાષા વર્ગો ચલાવી શકશે.

ગ્રુપ ઓર્ગેનાઈઝેશન: નજીકની શાળાઓ પરસ્પર સંસાધનો અને શિક્ષકોની આપ-લે કરી શકશે.

નિવૃત્ત શિક્ષકોની સેવા: શાળાઓ કરાર આધારિત અથવા અસ્થાયી ધોરણે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરી શકશે.

આંતરિક શિક્ષકોનો ઉપયોગ: જો કોઈ શાળામાં ચોક્કસ ભાષાના શિક્ષક ન હોય, તો અન્ય વિષયના એવા શિક્ષકો જેમની પકડ તે ભારતીય ભાષા પર મજબૂત હોય તેમને વચગાળાની વ્યવસ્થા તરીકે ત્રીજી ભાષાના શિક્ષણની જવાબદારી સોંપી શકાશે.

દરેક શાળાએ આગામી 30 જૂન, 2026 સુધીમાં પોતાના ભાષાના વિકલ્પોની વિગતો CBSE ના 'OASIS' પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે.

આ પણ વાંચો : કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીનો જંગ

અછતનો ઉકેલ ધોરણ-6ની ચોપડીઓથી ભણશે ધોરણ-9ના વિદ્યાર્થીઓ!

હાલ તુરંત ધોરણ-9 માટે ત્રીજી ભાષાના સમર્પિત નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ ન હોવાથી બોર્ડે બહુ જ રસપ્રદ વચગાળાનો રસ્તો કાઢ્યો છે. ભાષાના નિષ્ણાતોના વિશ્લેષણ મુજબ, મિડલ સ્ટેજ (ધોરણ 6 થી 8) અને સેકન્ડરી સ્ટેજ (ધોરણ 9-10) ની ભાષાકીય ક્ષમતાઓ જેમ કે વાચન, લેખન, વ્યાકરણ અને મૌખિક અભિવ્યક્તિમાં આશરે 75 થી 80 ટકા જેટલી સમાનતા હોય છે.

આથી, જ્યાં સુધી નવા પુસ્તકો ન આવે ત્યાં સુધી ધોરણ-9ના વિદ્યાર્થીઓને જે-તે ભાષાના ધોરણ-6ના પાઠ્યપુસ્તકો (2026-27 એડિશન) માંથી ભણાવવામાં આવશે. 19 અનુસૂચિત ભારતીય ભાષાઓના ધોરણ-6ના પુસ્તકો 1 જુલાઈ પહેલા શાળાઓને મળી જશે. બાકીની ભાષાઓ માટે શાળાઓ સંબંધિત રાજ્યના SCERT અથવા સ્ટેટ બોર્ડના પુસ્તકોનો ઉપયોગ કરી શકશે. આ સાથે જ સ્થાનિક સાહિત્ય, વાર્તાઓ અને કવિતાઓનો પણ ઉમેરો કરવામાં આવશે. આ અંગેની વિગતવાર ગાઇડલાઇન બોર્ડ 15 જૂન સુધીમાં જાહેર કરશે.

દિવ્યાંગ અને વિદેશી વિદ્યાર્થીઓ માટે ખાસ મુક્તિ

CBSE એ આ કડક નિયમો વચ્ચે સર્વસમાવેશી અભિગમ જાળવી રાખ્યો છે:

1. દિવ્યાંગ વિદ્યાર્થીઓ (CwSN): 'દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016' (RPWD Act 2016) અંતર્ગત આવતા વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોને બીજી અથવા ત્રીજી ભાષા ભણવામાંથી નિયમ મુજબ મુક્તિ આપી શકાશે.

2. વિદેશી નાગરિકોના બાળકો: વિદેશથી ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓને કેસની ગંભીરતા જોઈને વ્યક્તિગત ધોરણે મુક્તિ મળી શકે છે.

3. વિદેશમાં આવેલી શાળાઓ: ભારત બહાર કાર્યરત CBSE સંલગ્ન શાળાઓ માટે પણ બોર્ડે નિયમોમાં લવચીકતા રાખી છે.

ભાષાકીય સમૃદ્ધિ તરફ મોટું કદમ

એકંદરે જોઈએ તો, આ ફેરફાર ભારતીય શિક્ષણ વ્યવસ્થાને વધુ બહુભાષી બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આનાથી વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા અને અન્ય પ્રાદેશિક ભારતીય ભાષાઓની નજીક આવશે. બોર્ડે નીતિના અમલીકરણમાં કડકાઈ રાખવાની સાથે-સાથે પરીક્ષાનું દબાણ હટાવીને અને શાળાઓને વહીવટી સ્વાયત્તતા આપીને આ ટ્રાન્ઝિશનને ખૂબ જ સહેલું અને વ્યવહારુ બનાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.