...તો આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: તમામ શાળાઓને CBSEનો નિર્દેશ
CBSE Attendance Guidelines: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી 75% હાજરી ફરજિયાત છે. જોકે, મેડિકલ ઈમરજન્સી, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવો અથવા અન્ય કોઈ ગંભીર કારણોસર વિદ્યાર્થીઓને હાજરીમાં 25%ની છૂટ આપવામાં આવી છે.
લેખિત અરજી વિનાની કોઈપણ રજાને ગેરહાજરી ગણવામાં આવશે
PTIના અહેવાલ અનુસાર, મેડિકલ ઈમરજન્સી, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા અંગે વિદ્યાર્થીઓએ યોગ્ય પુરાવા અને રેકોર્ડ શાળામાં જમા કરાવવા પડશે. તેમજ લેખિત અરજી વિનાની કોઈપણ રજાને ગેરહાજરી ગણવામાં આવશે જેથી મેડિકલ કે અન્ય કારણોસર રજા લેનારા વિદ્યાર્થીઓએ રજાના સમયગાળા દરમિયાન યોગ્ય ડોક્યુમેન્ટ સાથે શાળામાં અરજી કરવાની રહેશે.
આ ઉપરાંત બોર્ડે જણાવ્યું છે કે શાળાઓએ નિયમિતપણે દેખરેખ રાખવી પડશે અને હાજરીનો રેકોર્ડ પણ જાળવવો પડશે. તેમજ હાજરી રજિસ્ટર દરરોજ અપડેટ થવું જોઈએ અને તેના પર વર્ગશિક્ષક અને શાળાના સક્ષમ અધિકારીની સહી હોવી જોઈએ.
બાળક ગેરહાજર હોય તો વાલીને જાણ કરો
જો કોઈ વિદ્યાર્થી વારંવાર શાળાએ ગેરહાજર રહે છે, તો વાલીઓને લેખિતમાં જાણ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. CBSEના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 'નિયમિત હાજરી ફક્ત બોર્ડની પરીક્ષાની જરૂરિયાતો પૂરી કરવા માટે જ નહીં, પરંતુ એક જવાબદાર અને કુશળ વ્યક્તિત્વના વિકાસ માટે પણ જરૂરી છે.'
આ પણ વાંચો: ઉત્તરકાશી દુર્ઘટના: 11 સૈનિકો સહિત 70 લોકો હજુ પણ ગુમ, ધરાલી જતો પ્રથમ રસ્તો ખૂલ્યો
CBSE ઓચિંતી તપાસ કરી શકે છે
CBSE વિદ્યાર્થીઓની હાજરીના રેકોર્ડની ઓચિંતી તપાસ પણ કરી શકે છે. જો આવા નિરીક્ષણ દરમિયાન રેકોર્ડ અધૂરા અથવા ખોટા જણાય, તો શાળાની માન્યતા રદ થવા સુધીની કડક કાર્યવાહી પણ થઈ શકે છે.