For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એનએસઈ કો-લોકેશન કેસમાં અંતે ચિત્રા રામકૃષ્ણની ધરપકડ

આનંદ સુબ્રમણ્યનની કસ્ટડી લંબાવવા અરજી કરાશે

સીબીઆઈની વિશેષ અદાલતે શનિવારે જ ચિત્રાની આગોતરા જામીન અરજી નકારી કાઢી હતી

Updated: Mar 6th, 2022

એનએસઈ કો-લોકેશન કેસમાં અંતે ચિત્રા રામકૃષ્ણની ધરપકડ
નવી દિલ્હી, તા. ૬
એનએસઈના કો-લોકેશન કેસમાં સીબીઆઈએ અંતે દિલ્હીમાં રવિવારે રાત્રે ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી હતી. સીબીઆઈની વિશેષ અદાલતે શનિવારે ચિત્રાની આગોતરા જામીન ફગાવી દીધા પછી ગમે ત્યારે તેમની ધરપકડની આશંકા સેવાતી હતી.
સીબીઆઈના અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, તેમને સોમવારે સવારે દિલ્હીની કોર્ટમાં હાજર કરાશે. સીબીઆઈએ ગયા સપ્તાહે એનએસઈના ભૂતપૂર્વ ઓપરેટિંગ અધિકારી આનંદ સુબ્રમણ્યનની ધરપકડ કરી હતી. સીબીઆઈએ રવિવારે સુબ્રમણ્યનની અટકાયત કરી હતી. સીબીઆઈ રવિવારે સુબ્રમણ્યનની ૧૦ દિવસની કસ્ટડી પૂરી થયા પછી કસ્ટડી લંબાવવા અરજી કરે તેવી શક્યતા છે.
આ કૌભાંડમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (સીએફએસએલ)ના એક વરિષ્ઠ મનોવૈજ્ઞાાનિકે ચિત્રા રામકૃષ્ણની પૂછપરછ કરી હતી. મે ૨૦૧૮માં એનએસઈના કો-લોકેશન કૌભાંડ સંદર્ભમાં એક એફઆઈઆરના આધારે કેટલીક ધરપકડો કરાઈ હતી. સીબીઆઈએ ગયા મહિને રામકૃષ્ણ, સુબ્રમણ્યન અને રવિ નારાયણની પૂછપરછ કરી હતી. ગયા મહિને સેબીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ વચ્ચે ચિત્રા રામકૃષ્ણે એનએસઈના મહત્વપૂર્ણ નિર્ણયો કહેવાતા 'હિમાલયન યોગી'ની સલાહથી લીધા હતા. સીબીઆઈએ ચાર વર્ષ જૂના કેસમાં એફઆઈઆર દાખલ કર્યા પછી હજુ સુધી કોઈ નક્કર પગલાં ન લેતાં કોર્ટ પણ સીબીઆઈથી નારાજ થઈ હતી.

Gujarat