સાત રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પૂર્ણ ઃ ૧૩મીએ પરિણામ
તમિલનાડુની વિકરાવન્ડી બેઠક પર સૌથી વધુ ૮૨.૪૮ ટકા અને ઉત્તરાખંડની બદરીનાથ બેઠક પર સૌથી ઓછુ ૪૯.૮૦ ટકા મતદાન
ઉત્તરાખંડ, બિહાર, પ. બંગાળમાં સામાન્ય હિંસા
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૦
આજે સાત રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી
યોજવામાં આવી હતી. ઉત્તરાખંડ,
બિહાર અને પશ્ચિમ બંગાળમાં હિંસાની કેટલીક ઘટનાઓને બાદ કરતા મતદાન એકંદરે શાંત
રહ્યું હતું. કેટલીક બેઠકો પર મતદાનની ટકાવારી સામાન્ય રહી હતી તો કેટલીક બેઠકો
પુર મતદાનની ટકાવારી ઉંચી રહી હતી.
મતદાનનો સમય સવારે સાતથી સાંજે ૬ વાગ્યા સુધીનો હતો. ચૂંટણી
પંચની મોબાઇલ એપમાં દર્શાવેલા આંકડા મુજબ ૧૩ બેઠકો પૈકી તમિલનાડુની વિકારવંડી બેઠક
પર સૌથી વધારે જ્યારે ઉત્તરાખંડની બદરીનાથ બેઠક પર સૌૈથી ઓછું મતદાન થયું હતું.
લોકસભા ચૂંટણી પછી યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં હિમાચલ
પ્રદેશના મુખ્યપ્રધાન સુખવિન્દર સિંહ સુખુના પત્નીનું ભવિષ્ય ઇવીએમમાં કેદ થઇ ગયું
છે.
ઉત્તરાખંડમાં મેંગલૌર બેઠકના એક મતદાન મથકમાં થયેલી
હિંસામાં ચાર લોકો ઘાયલ થયા હતાં. મીડિયાના કેટલાક અહેવાલો મુજબ આ મતદાન મથકમાં
ગોળીબાર પણ થયો હતો. જો કે પોલીસ ગોળીબાર અહેવાલને ફગાવી દીધો છે.
ઉત્તરાખંડના મેંગલોરમાં ૬૮.૨૪ ટકા જ્યારે બદરીનાથમાં ૪૯.૮૦
ટકા મતદાન થયું છે. પશ્ચિમ બગાળમાં બાગદાહ
અને રાણાઘાટ દક્ષિણ બેઠકના કેટલાક મતદાન મથકોમાં હિંસા થઇ હતી.
પશ્ચિમ બંગાળની રાયગંજ બેઠક પર ૬૭.૧૨ ટકા, રાણાઘાટ દક્ષિણ
બેઠક પર ૬૫.૩૭ ટકા અને બગડામાં ૬૫.૧૫ ટકા અને મનિકતલામાં ૫૧.૩૯ ટકા મતદાન
નોંધવામાં આવ્યું હતું.
બિહારમાં રુપૌલી બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. આ
બેઠકના પુર્નિયામાં ટોળાઓ પોલીસ પર હુમલો કરતા બે અધિકારીઓ ઘાયલ થયા હતાં. આ બેઠક
પર ૫૭.૨૫ ટકા મતદાન થયું હતું.
પંજાબમાં જલંધર વિધાનસભા બેઠક પર ૫૧.૩૦ ટકા મતદાન થયું છે.
ઘણા મતદાન મથકો પર મતદારોને છોડ ભેટમાં આપવામાં આવ્યા હતાં. આ ૧૩ બેઠકોની
પેટાચૂંટણીનું પરિણામ ૧૩ જુલાઇ શનિવારના રોજ જાહેર કરવામાં આવશે.