Get The App

ભાજપે ટિકિટ કાપી તો કેન્દ્રીય મંત્રીનું દર્દ છલકાયું, કહ્યું- મારો વાંક માત્ર એટલો જ છે કે હું ફકીર છું

Updated: Apr 9th, 2024

GS TEAM


Google News
Google News
ભાજપે ટિકિટ કાપી તો કેન્દ્રીય મંત્રીનું દર્દ છલકાયું, કહ્યું- મારો વાંક માત્ર એટલો જ છે કે હું ફકીર છું 1 - image


Buxar Lok Sabha: લોકસભા ચૂંટણી 2024માં બક્સર સંસદીય બેઠક પરથી ટિકિટ કપાતા કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેનું દર્દ છલકાયું છે. ટિકિટ કપાયા બાદ પહેલીવાર સોનવારે પટના પહોંચેલા અશ્વિન ચૌબેએ આરોપ લગાવ્યો કે પરશુરામના વંશજ હોવાના કારણે તેમની ટિકિટ કાપવામાં આવી છે.  જોકે તેમણે આ માટે પાર્ટીને કોઈ દોષ નથી આપ્યો. એટલું જ નહીં અશ્વિની ચૌબેએ એવો પણ દાવો કર્યો કે પાર્ટી તેમને જે પણ જવાબદારી આપશે તે જવાબદારી તેઓ નિભાવશે.

મેં રાજકારણમાં વિદ્યાર્થી જીવનથી તપસ્યા કરી છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે હું પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર્તા છું. પાર્ટીએ મને બધું જ આપ્યું છે. તેમણે મને માંગ્યા વગર ઘણું બધું આપ્યું છે. હવે પાર્ટીને આપવાનો મારો વારો છે, તેથી હું પણ એ જ કરીશ. પાર્ટી અમારી માતા છે. આજે જે રીતે દેશની અંદર લોકતંત્રની મજબૂતી માટે આજથી ઠીક 50 વર્ષ પહેલા ઘરેથી નીકળીને જેપી આંદોલન દ્વારા સમગ્ર દેશને એકજૂઠ કર્યો હતો. યોગાનુયોગ મેં હમણાં જ મારા 72માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તે સમયે હું માત્ર 21-22 વર્ષનો હતો, જ્યારે હું જેપી આંદોલનમાં સંઘર્ષ કરવામાં આગળ રહ્યો હતો. 1966માં જેપી સહાયના આંદોલન દરમિયાન શાળાના વિદ્યાર્થી હોવા છતાં પહેલી વખત જેલમાં કેદ થવાની તક મળી હતી. 1974માં મને વિદ્યાર્થી પરિષદના કાર્યકર તરીકે જેપી ચળવળમાં સંઘર્ષ કરવાનો મોકો મળ્યો.

દેશના 10 સાંસદોમાં મારું સ્થાન ચોથા નંબર પર

તેમણે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બાલ સેવકથી લઈને આજ સુધી તેમણે ક્યારેય ચૂંટણીમાં હાર નથી જોઈ. હું સાત વખત ચૂંટણી લડ્યો અને 17 લોકોને મેદાનમાં ઉતાર્યા છે. મેં પોતે ક્યારેય ચૂંટણી લડીને હારનો સામનો નથી કર્યો. આજે મને ખરેખર લાગે છે કે પાર્ટી અમારી 58 વર્ષની તપશ્ચર્યાને આમ જ નહીં જવા દેશે. વિદ્યાર્થી જીવનથી લઈને રાજકીય જીવન સુધી જે મેં 58 વર્ષની તપસ્યા કરી છે તેને લઈને સોશિયલ મીડિયાથી લઈને તમામ મીડિયામાં લોકો કહે છે કે 15 દિવસ પછી હું તમારી સામે હાજર થયો છું. અશ્વિની ચૌબેએ દાવો કર્યો કે મારો શું દોષ છે, મારો ગુનો શું છે, મારો શું વાંક? મારો વાંક એ છે કે હું સક્રીય રીતે રાજનીતિમાં હિન્દુસ્તાનની અંદર દેશના 10 સાંસદોમાં ચોથા ક્રમે છું. પાર્ટી દ્વારા જ આ વાત બહાર આવી છે. જેમાં મીડિયા, સોશિયલ મીડિયા, પ્રદેશ અને દેશ-વિદેશમાં સક્રિયતા સામેલ છે. આમ છતાં જો આવું થયું હોય તો અમને કોઈ ચિંતા નથી.

પરશુરામનો વંશજ હોવું મારો વાંક છે

અશ્વિની ચૌબેએ આગળ કહ્યું કે મેં ક્યારેય માંગ્યુ નથી, મેં ક્યારેય હાથ નથી ફેલાવ્યો. હું ફકીર છું અને આવી એક રેખા ખેંચવા માંગુ છું, મારો વાંક માત્ર એટલો જ છે કે હું પરશુરામનો વંશજ છું. હું સ્વાભિમાની બ્રાહ્મણ છું. હું કર્મકાંડી બ્રાહ્મણ છું. હું સંસ્કારહીન નથી અને ક્યારેય સંસ્કારને છોડી નહીં શકું. હું કાચિંડાની જેમ રંગો બદલનારો નથી. મારો તો એક જ રંગ છે કેસરી. આ કેસરી રંગ મારા અંતિમ સમય સુધી મારા શરીર પર યાત્રા કરશે. હું કોઈ પલટુરામ નથી. હું રામનો માણસ છું અને રામ માટે કામ કરીશ.


Tags :