President Droupadi Murmu : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે (29 ઓક્ટોબર) હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશન પરથી રાફેલ ફાઈટર જેટમાં આશરે 30 મિનિટની ઉડાન ભરી હતી. આ ઉડાન સાથે જ તેઓ બે અલગ-અલગ ફાઈટર જેટ (અગાઉ સુખોઈ-30 MKI)માં ઉડાન ભરનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ દરમિયાન રાષ્ટ્રપતિએ સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ ફોટો પડાવ્યો હતો.
રાષ્ટ્રપતિની શિવાંગી સાથેની તસવીર ખાસ હોવાનું કારણ
શિવાંગી સિંહની વાત કરીએ તો તેઓ ભારતની પ્રથમ મહિલા રાફેલ પાઈલટ છે. રાષ્ટ્રપતિની શિવાંગી સાથે તસવીર ખાસ છે, કારણ કે આ વર્ષે મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ અંગે પાકિસ્તાને જુઠાણુ ફેલાવ્યું હતું. ભારતીય સેનાના રાફેલે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો કરી સર્વનાશ કરી નાખ્યો હતો. આ દરમિયાન રાફેલમાં શિવાંગી હતા. તે વખતે પાકિસ્તાની નેટવર્કે ખોટો દાવો કર્યો હતો કે, ભારતીય વાયુસેનાનું રાફેલ વિમાન તોડી પાડવામાં આવ્યું છે અને શિવાંગી સિંહ સિયાલકોટ પાસે પેરાશૂટથી કૂદતી વખતે પાકિસ્તાની સેનાના હાથે પકડાઈ ગઈ છે. આ ઉપરાંત વાયુસેના પ્રમુખ એ.પી.સિંહને શિવાંગીના પરિવારને મળતા દર્શાવતો એક બનાવટી વીડિયો પણ વાયરલ થયો હતો, જેને પીઆઈબી ફેક્ટ ચેકે ખોટો ગણાવ્યો હતો. એટલે કે રાષ્ટ્રપતિની શિવાંગી સાથેની તસવીરે પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે.
રાષ્ટ્રપતિએ રાફેલમાં ઉડાન ભરી
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ આજે અંબાલા ઍરફોર્સ સ્ટેશનમાંથી ફ્રાન્સ નિર્મિત ફાઈટર જેટ રાફેલમાં ઉડાન ભરી હતી. તેમણે ઍરફોર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અતિથિ વિશેષ રૂપે હાજરી આપી હતી. વાયુસેનાના જવાનોએ તેમને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે વાયુસેનાના પ્રમુખ એપી સિંહ પોતે પાયલટ તરીકે રાફેલ ઉડાવી રાષ્ટ્રપતિને રાફેલની સહેર કરાવી હતી.

રાષ્ટ્રપતિએ અગાઉ સુખોઈ-30માં ઉડાન ભરી હતી
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ અગાઉ પણ ફાઈટર જેટ્સમાં ઉડાન ભરી નિરિક્ષણ કર્યું હતું. 8 એપ્રિલ-2023ના રોજ મૂર્મુ આસામમાં તેજપુર ઍરફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરનારા ત્રીજા અને મહિલામાં બીજા રાષ્ટ્રપતિ હતાં. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટિલે પણ સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી.

ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઈટર જેટ ખરીદ્યા
ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઈટર જેટ ખરીદ્યા હતા. જેમાં પાંચ રાફેલ વિમાનનો પહેલો જથ્થો 27 જુલાઈ, 2020ના રોજ ભારતને પ્રાપ્ત થયો હતો. આ વિમાનો પહેલા અંબાલા એર બેઝ પર પહોંચ્યા હતા. તેઓ ફ્રાન્સના મેરિગ્નેક એર બેઝથી ઉડાન ભરી યુએઈના અલ ધ્રાફા એર બેઝ પર રોકાયા બાદ ભારતમાં પહોંચ્યા હતા.



