કાશ્મીરથી ગુજરાત સુધી BSFની મહિલા જવાનોએ મોરચો સંભાળ્યો, ઓપરેશન સિંદૂર નારી શક્તિનું પ્રતિક: PM મોદી
PM Narendra Modi in Madhya Pradesh: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મધ્ય પ્રદેશની મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર બાદ એકબાજુ ભારતીય નેતાઓનું સર્વપક્ષીય ડેલિગેશન દુનિયાભરમાં ભારતનો પક્ષ મૂકી રહ્યું છે. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતના વિવિધ રાજ્યોમાં રેલી, રોડ શો અને સભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ શનિવારે (31 મે) લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલ્કરની 300મી જન્મજયંતી સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન જનતાના સંબોધન દરમિયાન તેમણે અહિલ્યાબાઈના મહાન કામથી લઈને ઓપરેશન સિંદૂર અને તેમાં મહિલાઓ જવાનોના યોગદાન વિશે વાત કરી હતી.
લોકમાતા અહિલ્યાબાઈએ રાજ્યને નવી દિશા આપી
જનતાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'અહિલ્યાબાઈ હોલ્કરે પ્રભુસેવા અને જનસેવાને ક્યારેય અલગ નથી માન્યું. તે હંમેશા શિવલિંગ પોતાની સાથે લઈને ચાલતા હતાં. પડકારભર્યા સમયે એક રાજ્યનું નેતૃત્વ કાંટાના તાજ પહેરવા જેવું કામ હતું. પરંતુ, લોકમાતાએ તે કર્યું અને પોતાના રાજ્યને નવી દિશા આપી. તેમણે ગરીબમાં ગરીબ વ્યક્તિને સમર્થ બનાવવાનું કામ કર્યું હતું.'
BSFની મહિલા જવાનોએ મોરચો સંભાળ્યો
સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું કે, આતંકીઓએ નારી શક્તિને પડકાર ફેંક્યો હતો અને આ પડકાર તેમના અને તેમના આકાઓ માટે કાળ બની ગયો. આપણી સેનાએ દુશ્મનના ઘરમાં સેંકડો કિમી દૂર આતંકી ઠેકાણાને તબાહ કર્યા. આ અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન છે. આ ઓપરેશન આપણી નારી શક્તિના સામર્થ્યનું પ્રતિક બન્યું. આપણે બધાં જાણીએ છીએ કે, BSFની ઓપરેશન દરમિયાન ખાસ ભૂમિકા હોય છે. કાશ્મીરથી ગુજરાત સુધી BSFની દીકરીઓએ મોરચો સંભાળ્યો હતો. તેમણે સરહદી ફાયરિંગનો વળતો જવાબ આપ્યો છે. BSFની વીર બેટીઓએ અદ્ભૂત શૌર્ય બતાવ્યું, જે આખી દુનિયાએ જોયું.'
વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન
આ સિવાય નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશની મુલાકાત દરમિયાન અનેક વિકાસ કાર્યોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ઈન્દોર મેટ્રો ટ્રેનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સિવાય દેવી અહિલ્યાના નામે એક વિશેષ પોસ્ટ ટિકિટ પણ બહાર પાડવામાં આવી.
આ પણ વાંચોઃ કોરોનાના નવા વેરિયન્ટને કારણે દિલ્હીમાં પ્રથમ મોત, 60 વર્ષીય મહિલાએ ગુમાવ્યો જીવ
કાશીમાં સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું
મધ્ય પ્રદેશ વિશે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે કાશીમાં લોકમાતાએ વિકાસના આટલા કામ કર્યાં, તે કાશીમાં મને સેવા કરવાની તક મળી છે. આજે જો તમે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા જશો તો ત્યાં તમને અહિલ્યા બાઈની મૂર્તિ પણ મળશે.