Get The App

અમરનાથ જતાં BSF જવાનોને 'ગંદકીવાળી' ટ્રેન ફાળવાતાં વિવાદ, 4 રેલવે અધિકારી સસ્પેન્ડ

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
અમરનાથ જતાં BSF જવાનોને 'ગંદકીવાળી' ટ્રેન ફાળવાતાં વિવાદ, 4 રેલવે અધિકારી સસ્પેન્ડ 1 - image

Amarnath Yatra: અમરનાથ યાત્રાને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જે અંતર્ગત 1200 જેટલા BSF(બોર્ડર સિક્યોરિટી ફોર્સ)ના જવાનોને ડ્યુટી પર જવા માટે 'ખરાબ' ટ્રેન ફાળવવામાં આવી હતી. જેને લઈને હોબાળો થયો હતો. જે મામલે 5 દિવસ જૂના કેસમાં રેલવે મંત્રાલયના 4 રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.

6 જૂનના રોજ જવાનોને ત્રિપુરાથી અમરનાથ જવાનું હતું. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે(NFR)એ જે ટ્રેન જવાનોને ઉપલબ્ધ કરાવી હતી તેમાં બારી-દરવાજા તૂટેલા હતા. ટોયલેટ તૂટેલું અને ગંદુ હતું, લાઇટ પણ હતી નહીં. સીટો પર ગાદીઓ પણ હતી નહીં. રેલવેમાં વંદા ફરતાં જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ બધું જોઈને જવાનોએ ઇન્કાર કરતાં 10 જૂને બીજી ટ્રેન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

ટ્રેનના ડબ્બાઓ મહિનાઓથી બંધ હાલતમાં પડ્યા હતા

જવાનોએ અમરનાથ તીર્થયાત્રી ડ્યુટી માટે કાશ્મીર પહોંચવાનું હતું. જે ટ્રેનથી તેમને જવાનું હતું, તેનું BSFની કંપની કમાન્ડરે નિરીક્ષણ કર્યું. ટ્રેનની સ્થિતિ જોઈને તેઓ ચોંકી ગયા. ટ્રેનના ડબ્બાઓની હાલત ખૂબ ખરાબ  હતી. તેનો ઉપયોગ જવાનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરી શકાય તેમ ન હતો. તપાસ બાદ ખબર પડી કે ડબ્બાઓનો મહિનાઓથી ઉપયોગ થયો નહતો. તમામ ડબ્બામાં ઠેકઠેકાણે તૂટેલો સામાન પડ્યો હતો. વધુ પડતી સીટો પર ગંદકી ફેલાયેલી હતી. ટ્રેનના અનેક ડબ્બામાં બલ્બ કે વીજળી કનેક્શન ન હતું.


ફરિયાદ બાદ બીજી ટ્રેન ફાળવાઈ: રેલવે અધિકારી

ભારતીય રેલવેના NFR ઝોનના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, 6 જૂને રવાના થનારી ટ્રેનને રદ કરી દેવાઈ છે. કારણ કે BSFએ ટ્રેનની ખામીઓ પર ફરિયાદ કરી હતી. જેને લઈને હવે તેમને બીજી ટ્રેન ફાળવાઈ છે. નવી ટ્રેન મંગળવારે રવાના થઈ ગઈ.