‘ભાજપ ચૂંટણી કમિશ્નર, જજ, ઉપરાષ્ટ્રપતિ બદલી શકે, પણ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી', સંજય રાઉતનો કટાક્ષ
Maharashtra Political News : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં થઈ રહેલા વિલંબને લઈને હવે વિપક્ષો નિશાન સાધી રહ્યા છે. શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું છે કે, ‘ભાજપ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હજુ સુધી કરી શકી નથી. આ વાત સાચી છે. અધ્યક્ષ માટેના નામ પર પાર્ટી એકમત થઈ શકી નથી. આ પાર્ટી દેશ ચલાવી રહી છે અને પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરી શકતી નથી.’
તમે કોઈને પણ બદલી શકો છો : સંજય રાઉતનો ભાજપ પર કટાક્ષ
સંજય રાઉતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘આ શું મામલો છે, તે મામલે કોઈને ખબર નથી. તમે ચૂંટણી કમિશ્નરને બદલી શકો છો, તમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને બદલી શકો છો, તમે કોઈને પણ બદલી શકો છો. તમે દેશના ઉપરાષ્ટ્રપતિને ઘરે મોકલી શકો છો, પરંતુ તમારી પાર્ટી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી. આ મુદ્દો શું છે, તે દેશને ખબર હોવી જોઈએ. તમે ધનખર સાહેબને જેમ મોકલ્યા તેમ, તમે કાલે રાષ્ટ્રપતિને પણ ઘરે મોકલી દેશો.’
આ પણ વાંચો : દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર: જુઓ અંદર કેવી હશે સુવિધાઓ અને ક્યારે શરૂ થશે
રાઉતે ભાજપ નેતૃત્વ પર સાધ્યું નિશાન
રાઉતે કહ્યું કે, ભાજપનું નેતૃત્વ આજે સંગઠનાત્મક ચૂંટણી કરાવવામાં અસમર્થ દેખાઈ રહી છે. તેમણે કટાક્ષ કર્યો કે, ‘જ્યારે સરકાર સર્વોચ્ચ સંસ્થાઓના પદાધિકારીઓને બદલવામાં સક્ષમ છે, તો પછી પોતાના સંગઠન પ્રમુખની ચૂંટણીથી કેમ પાછી હટી રહી છે?’
આ પણ વાંચો : ભારતના એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો