2028 સુધીમાં હિન્દુ અને મુસ્લિમોનો જન્મદર એક સરખો થઈ જશેઃ દિગ્વિજયસિંહ
Updated: Sep 23rd, 2021
મધ્યપ્રદેશ,તા.23 સપ્ટેમ્બર 2021,ગુરૂવાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે હિન્દુ અને મુસ્લિમોની વસતીને લઈને આપેલા નિવેદનના કારણે આગામી દિવસોમાં રાજકીય મોરચે ગરમાવો આવી શકે છે.
તેમનુ કહેવુ છે કે, જે પ્રકારે જન્મદર જોવા મળી રહ્યો છે તે જોતા 2028 સુધીમાં દેશમાં હિન્દુ અને મુસ્લિમોનો જન્મ દર એક સરખો થઈ જશે.
દિગ્વિજયસિંહે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, એ લોકો કહે છે કે મુસ્લિમો ચાર-ચાર પત્નીઓ સાથે પરણીને ડઝનબંધ બાળકો પેદા કરે છે અને દેશમાં આગામી 10 થી 12 વર્ષમાં મુસ્લિમો બહુમતીમાં આવી જશે અને હિન્દુઓ લઘુમતીમાં મુકાઈ જશે. આવા લોકોને મારી સાથે ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર છે.
તેમણે કહ્યુ હતુ કે, એક સર્વે પ્રમાણે દેશમાં હિન્દુઓના મુકાબલે મુસ્લિમોનો જન્મદર ઘટી રહ્યો છે. 1951થી આજ સુધી મુસ્લિમોના જન્મદરમાં જે ઝડપથી ઘટાડો થયો છે તેટલી ઝડપથી હિન્દુઓના જન્મદરમાં ઘટાડો થયો નથી. આજે મુસ્લિમોનો જન્મદર 2.7 અને હિન્દુઓને 2.3 છે. આ જોતા લાગે છે કે, 2028 સુધીમાં હિન્દુ અને મુસ્લિમોનો જન્મદર એક સરખો થઈ જશે અને દેશની વસતી વૃધ્ધિ સ્થિર થઈ જશે.
દિગ્વિજયસિંહે ઓવૈસી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, જે રીતે હિન્દુઓને ડરાવીને ગુમરાહ કરાઈ રહ્યા છે તે રીતે ઓવૈસી પણ મુસ્લિમોને ડર બતાવીને તેમના વોટ મેળવવા માંગે છે. દેશમાં હિન્દુઓ અને મુસ્લિમોને સાચો ખતરો તો મોદી અને ઓવૈસીથી છે.