Get The App

યુપીઆઈ માટે આજથી બાયોમેટ્રિક્સ અમલી

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
યુપીઆઈ માટે આજથી બાયોમેટ્રિક્સ અમલી 1 - image

- વૃદ્ધો અને નવા યુઝર્સ માટે ફીચર વધુ ઉપયોગી દોવાનો દાવો

- બાયોમેટ્રિક ફ્યુચર ઓપ્શનલ ટૂલ છે, ફરજિયાત નથી આધાર આધારિત વેરિફિકેશન કરવાની જરૂર નહીં પડે

નવી દિલ્હી : નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) ટ્રાન્ઝેકશન્સ માટે બાયોમેટ્રિક ચકાસણીનું વધુ એક સિક્યોરિટી ફીચર લોન્ચ કર્યુ છે.  ડિજિટલ પેમેન્ટ્સને વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની દિશામાં અને ગ્રાહક સગવડ વધારવાની દિશામાં લેવામાં આવેલું આ મહત્ત્વનું પગલું છે. નવા ફીચરને મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ નવા ફીચરનું ઉદઘાટન કરતાં નાણાકીય સેવા વિભાગના સચિવ નાગરાજુએ જણાવ્યું હતું કે આ સિક્યોરિટી ફીચરની મદદથી યુઝર્સ ઓન ડિવાઇસ બાયોમેટ્રિક્સ જેવા કે ફિંગર પ્રિન્ટ્સ કે ફેસિયલ રેકગ્નિશનનો ઉપયોગ કરી શકશે, આમ બાયોમેટ્રિક્સ પરંપરાગત યુપીઆઈ પિનનું સ્થાન લેશે.તેનો અમલ બુધવારે આઠમી ઓક્ટોબરથી શરૂ થઈ જશે. 

આ ઉપરાંત બાયોમેટ્રિક ચકાસણીનો ઉપયોગ યુપીઆઈ પિન રિસેટ કરવા અને એટીએમ પરથી રોકડ ઉપાડ માટે કરવા થઈ શકે છે. એનપીસીઆઈએ ભારપૂર્વક જણાવ્યું છે કે રજૂ કરવામાં આવેલું બાયોમેટ્રિક ફ્યુચર ઓપ્શનલ ટૂલ છે, યુઝર્સે તેની ઇચ્છા હોય તો જ તેને ઉપયોગમાં લેવાનું છે. તે ફરજિયાત ધોરણે અમલી નથી. યુઝર્સ ફોન અને ટ્રાન્ઝેકશનને સલામત રાખવા વધુ સિક્યોરિટી ઇચ્છતો હોય તો આ ફીચર્સનો ઉપયોગ કરી શકે. 

તેમણે ઉમેર્યુ હતું કે એડવાન્સ ક્રિપ્ટો ગ્રાફિક ચકાસણી દ્વારા આ વ્યવહાર પૂરો કરનારી દરેક બેન્ક તેની સ્વતંત્ર રીતે ચકાસણી કરી શકશે. તેની સાથે મજબૂત ડેટા સંરક્ષણ અને આંખના પલકારામાં ચૂકવણી કરી શકશે. 

આ બાયોમેટ્રિક્સને રજૂ કરવાનું કારણ  ડિજિટલ વ્યવહારને વધુ સુલભ બનાવવાનો છે. ખાસ કરીને સીનિયર સિટિઝન્સ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે આ ફેરફાર કરાયો છે. આ ઉપરાંત નવા યુપીઆઈ યુઝર્સ માટે પણ તે ઉપયોગી નીવડશે. અત્યાર સુધી યુપીઆઈ પિન બનાવવા ડેબિટ કાર્ડની  વિગતો ભરવી પડતી હતી, આધાર આધારિત ફેસ રેકગ્નિશન કરવું પડતું હતું. હવે યુઝર્સ કોઈપણ કાર્ડની મદદ વગર કે જટિલ પગલાં અનુસર્યા વગર બાયોમેટ્રિક ચકાસણી કરી શકશે.