India

બાઇકબોટ કૌભાંડ : ઇડીએ રૂ. 394 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

By GS TEAM
31 Aug 20252 mins read
બાઇકબોટ કૌભાંડ : ઇડીએ રૂ. 394 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પગલાં

રોકાણકારોની ફરિયાદો પછી ઉત્તર પ્રદેશ પોલીસે દાખલ કરેલી એફઆઇઆરને આધારે ઇડીએ કાર્યવાહી હાથ ધરી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના બાઇકબોટ નામના પોન્ઝી કૌભાંડના સંદર્ભમાં એન્ટી મની લોન્ડરિંગ  કાયદા હેઠળ ૩૯૪ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.

ઇડીના જણાવ્યા અનુસાર આ સંપત્તિઓ કામાખ્યા એજયુકેશન એન્ડ સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ, કામાખ્યા એજયુકેશન સોસાયટી, ગુરુનાનક ચેરિટેબલ ટ્રસ્ટ, અલ્પાઇન  ટેકનિકલ એજયુકેશન સોસાયટી, એપી ગોયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને મીના આનંદ નામની એક વ્યકિતના નામે છે. સંઘીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિઓનું કુલ મૂલ્ય ૩૯૪.૪૨ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.  ટાંચમાં લેવામાં આવેલ સંપત્તિઓમાં અપરાધ સમયે ૩૮૯.૩૦ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી ગીરવે રાખેલી જમીન પણ સામેલ છે.  આ ઉપરાંત ૫.૧૨ કરોડ રૂપિયાની  ફિકસ્ડ ડિપોઝીટનો પણ સમાવેશ થાય છે. 

એજન્સીએ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગનો આ કેસ કેટલાક લોકોની તરફથી મળેલી ફરિયાદને આધારે ઉત્તર પ્રદેશ પોલીસે દાખલ કરેલી એફઆઇઆરથી સંબધિત  છે. ફરિયાદમાં ગર્વિત ઇનોવેટિવ  પ્રમોટર્સ લિમિટેડ (જીજેઆઇપીએલ), સંજય ભાટી અને અન્ય પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઇડીના જણાવ્યા અનુસાર આ છેતરપિંડી યોજના હેઠળ ગ્રાહક ૧,૩,૫ કે ૭ બાઇકોમાં રોકાણ કરી શકતા હતાં. જેની સંભાળ અને સંચાલન કંપની દ્વારા કરવામાં આવતું હતું.

તેના બદલે રોકાણકારોને માસિક ભાડું, ઇએમઆઇ અને બોનસની ચુકવણી કરવી   અને મલ્ટી લેવલ માર્કેટિંગ સ્ટ્રકચરમાં વધારે રોકાણકારોને જોડવા પર વધારે પ્રોત્સાહન આપવાનું વચન આપવામાં આવ્યું હતું.