Bihar Minister Shravan Kumar Attack: બિહારના નાલંદા જિલ્લામાં ગામડાના લોકોએ નીતિશ સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી અને જેડીયુ નેતા શ્રવણ કુમારના કાફલા પર હુમલો કરી દીધો હતો. જેમાં તેમનો બોડીગાર્ડ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. આ ઘટના હિલસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મલાવા ગામે બની હતી. અહીં ગ્રામીણ વિકાસ મંત્રી માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા 9 લોકોના પરિજનોને મળવા ગયા હતા. આ દરમિયાન જ તેમના કાફલા પર અચાનક હુમલો થયો હતો.
ગામના લોકોએ તેમને અને તેમના કાફલાનો એક કિમી સુધી પીછો કર્યો હતો. જેમને મારીને ગામમાંથી ભગાડ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગામમાં સુરક્ષા વધારવામાં આવી છે.
મૃતકોના પરિવારજનને મળવા આવ્યા હતાં
મંત્રી શ્રવણ કુમાર બે દિવસ પહેલાં માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા નવ લોકોના પરિવારજનોને સાંત્વના પાઠવવા ગામમાં આવ્યા હતાં. તેઓ સ્થાનિક ધારાસભ્ય પ્રેમ મુખિયા સાથે ગામમાં પહોંચ્યા હતા. જ્યાં અડધા કલાક બાદ અસામાજિક તત્વોએ અચાનક હુમલો કર્યો હતો. ઘટના બાદ મંત્રી અને ધારાસભ્ય ઘટનાસ્થળેથી ભાગ્યા હતા. અનેક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. સૂચના મળતાં જ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.


