બિહારમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ-RJD ટેન્શનમાં! દિગ્ગજ નેતાની 60 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત
Bihar Election: બિહારના રાજકીય કોરિડોરમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલા મહા ગઠબંધનમાં રાજકીય ખેંચતાણ વધુ તીવ્ર બની ગઈ છે. વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ના પ્રમુખ મુકેશ સહાનીએ ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવ અને કોંગ્રેસનું ટેન્શન વધારી દીધું છે. મુકેશ સહાનીએ જાહેરાત કરી છે કે, અમારી પાર્ટી બિહારમાં 60 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે અને 150 બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ વચ્ચે મુકેશ સહાનીએ નિષાદ અનામતની માગ કરતા વધુ એક મોટું નિવેદન આપ્યું છે. મુકેશ સહાનીએ કહ્યું કે, 'જો મોદીજી નિષાદ સમુદાયને અનામત આપશે, તો હું તેમના માટે પોતાનો જીવ પણ આપી દઈશ.'
અમે 60 બેઠકો પર ચૂંટણી લડીશું
'સન ઑફ મલ્લાહના'ના નામથી જાણીતા મુકેશ સહાનીએ કહ્યું કે, 'અમારી પાર્ટી નિષાદ અને અત્યંત પછાત વર્ગનો અવાજ છે, જેમનો હિસ્સો ભાગીદારી જેટલો જ હોવો જોઈએ. અમે 60 બેઠકો પર ચૂંટણી લડીશું અને 50% બેઠકો પછાત, અત્યંત પછાત અને અનુસૂચિત જાતિ માટે હશે.' તેમણે દાવો કર્યો કે, 'અમારી પાર્ટી ઓછામાં ઓછી 40 બેઠકો જીતશે અને સરકારના ગઠનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અમારી પાર્ટી VIPએ 243 બેઠકો માટે તૈયારીઓ કરી છે, પરંતુ અમે 60 બેઠકો પર ઉમેદવારો ઉતારીશું.'
મહાગઠબંધન માટે મોટો ઝટકો
મુકેશ સહાનીનું આ નિવેદન મહાગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે. 2020માં સહાનીએ તેજસ્વી પર દગો આપવાનો આરોપ લગાવીને મહાગઠબંધન છોડી દીધું હતું. ત્યારબાદ તેમણે તમામ 243 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં NDA સાથે ગઠબંધન કરી લીધુ હતું. 2024ની લોકસભા ચૂંટણીમાં સહાની ફરીથી મહાગઠબંધનમાં પાછા ફર્યા, જ્યાં RJDએ તેમને ગોપાલગંજ, મોતીહારી અને ઝંઝારપુરની ત્રણ બેઠકો આપી હતી. હવે સહાનીની 60 બેઠકોની માગણીએ ગઠબંધનમાં તણાવ પેદા કર્યો છે.