Bihar Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 6 નવેમ્બર (પહેલા તબક્કા) અને 11 નવેમ્બર (બીજા તબક્કા) નું મતદાન થયું હતું. આ વખતે બિહારમાં મતદાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. બંને તબક્કાનું મળીને સરેરાશ 67.13 ટકા મતદાન થયું હતું. ત્યારે હવે આજે (14 નવેમ્બર) બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં NDAને શાનદાર જીત મળી છે જ્યારે વિપક્ષી મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
Bihar Election Result 2025
બિહાર ચૂંટણી પરિણામો પર વડાપ્રધાન મોદીની પહેલી પ્રતિક્રિયા
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'સુશાસનની જીત થઈ છે. વિકાસની જીત થઈ છે. જન કલ્યાણની ભાવનાની જીત થઈ છે. સામાજિક ન્યાયની જીત થઈ છે. બિહારના મારા પરિવારજનોનો ખુબ ખુબ આભાર, જેમણે 2025ની વિધાનસભા ચૂંટણીમાં NDAને ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતના આશીર્વાદ આપ્યા છે. આ પ્રંચડ જનાદેશ આપણને જનતા-જનાર્દનની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવાની શક્તિ આપશે.
હું NDAના દરેક કાર્યકર્તાનો આભાર માનું છું, જેમણે ખૂબ પરિશ્રમ કર્યો છે. જેમણે જનતા વચ્ચે જઈને આપણા વિકાસના એજન્ડાને સામે રાખ્યો અને વિપક્ષના તમામ જૂઠનો મજબૂતીથી જવાબ આપ્યો. હું તેમની હૃદયથી સરાહના કરું છું.
આવનારા સમયમાં અમે બિહારના વિકાસ, અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે કામ કરીશું. અમે એ નક્કી કરીશું કે, અહીંની યુવા શક્તિ અને નારી શક્તિને સમૃદ્ધ જીવન માટે ભરપૂર અવસર મળે.'
કોણ ક્યાંથી જીત્યું?
ભાજપ નેતા વિનોદ તાવડેએ સમ્રાટ ચૌધરીને જીતની શુભકામના પાઠવી
મોકામાથી JDUના ઉમેદવાર અનંત કુમાર સિંહની જીત, 91416 મત મળ્યા
અમોર બેઠકથી AIMIM ના ઉમેદવાર અખ્તરુલ ઈમાન 38928 વોટના અંતરથી જીત્યા
અલાઉલી બેઠકથી જેડીયુના રામચંદ્ર સાડા 35732 વોટના અંતરથી જીત્યા
બખ્તિયારપુરથી LJPના ઉમેદવાર અરુણ કુમાર 956 વોટના અંતરથી જીત્યા
બનિયાપુરથી ભાજપના ઉમેદવાર કેદાર નાથ 15436 વોટના અંતરથી જીત્યા
બેલાગંજથી જેડીયુના મનોરમા દેવી 2882 વોટના અંતરથી જીત્યા
બરુરાજથી ભાજપના ઉમેદવાર અરુણ કુમાર સિંહ 29052 વોટના અંતરથી જીત્યા
બાઘાથી ભાજપના ઉમેદવાર રામ સિંહ 6473 વોટના અંતરથી જીત્યા
બિસ્ફીથી આરજેડી નેતા આસિફ અહેમદ 13339 વોટના અંતરથી જીત્યા
બોધ ગયાથી આરજેડી નેતા કુમાર સાર્વજીત 881 વોટના અંતરથી જીત્યા
જેડીયુનો પ્રથમ ઉમેદવાર જીત્યો
જેલમાં કેદ જેડીયુ નેતા અનંત સિંહે મોકામા બેઠક જીતી લીધી છે. તેમને 91416 વોટ મળ્યા હતા જ્યારે તેમણે 28206 વોટના અંતરથી જીત મેળવી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર તેમના નજીકના હરિફ આરજેડી નેતા વીણા દેવીને 63210 વોટ મળ્યા હતા. જોકે જન સુરાજ પાર્ટીના પ્રિયદર્શી પીયૂષને 19365 વોટ મળ્યા હતા.
કોંગ્રેસ માટે શરમજનક સ્થિતિ
બિહારમાં 209 બેઠકો પર એનડીએ તો મહાગઠબંધન 27 બેઠક પર લીડ કરી રહ્યું છે. આ વચ્ચે શરમજનક વાત એ છે કે કોંગ્રેસ પાસે ફક્ત 1 જ બેઠક પર લીડ રહી ગઈ છે. જ્યારે આરજેડી પાસે 23 બેઠકો પર લીડ છે અને મહાગઠબંધનમાં સામેલ અન્ય પક્ષો પાસે 3 બેઠકો જેટલી લીડ રહી છે.
તેજસ્વી બેવડી મુશ્કેલીમાં
તેજસ્વી યાદવ બેવડી મુશ્કેલીમાં મૂકાયા છે. એક તો બિહારમાં 24થી ઓછી બેઠકો પર લીડ રહી ગઈ છે જે પાર્ટીને વિપક્ષનો દરજ્જો પણ નહીં અપાવી શકે. જ્યારે કોંગ્રેસના ખાતામાં ફક્ત બે જ સીટ પર લીડ રહી ગઇ છે. બીજી બાજુ તેજસ્વી યાદવ પોતાની રાઘોપુર બેઠક પર હાર તરફ ધકેલાતા દેખાઈ રહ્યા છે. 14 રાઉન્ડની ગણતરી બાદ પણ તેજસ્વી યાદવ 7400થી વધુ વોટથી પાછળ છે.
95 બેઠક પર લીડ સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી, જુઓ 3:30 વાગ્યા સુધીના પરિણામ
NDA 208
મહાગઠબંધન 28
અપક્ષ 07

કોંગ્રેસને AIMIM કરતાં પણ ઓછી બેઠકો પર લીડ, NDAની ડબલ સેન્ચુરી, RJD નિરાશ
કોંગ્રેસને AIMIM કરતાં પણ ઓછી એટલે કે હાલમાં કોંગ્રેસને ફક્ત 4 બેઠક પર લીડ રહી ગઈ છે. જ્યારે AIMIM હજુ 5 બેઠક પર લીડ ધરાવે છે. જ્યારે એનડીએ 200 જેટલી બેઠક જીત્યું છે.
જેડીયુની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચાનો વિષય બની
બિહારમાં ફરી એકવાર રસપ્રદ સ્થિતિ જોવા મળી શકે છે. જ્યારે ભાજપ આ વખતે એનડીએમાં સૌથી વધુ સીટ જીતી રહ્યો છે ત્યારે તે મુખ્યમંત્રી પદ માટે દાવો કરી શકે તેવી સ્થિતિમાં છે. આ દરમિયાન ચૂંટણીના ફાઈનલ પરિણામ અગાઉ જ નીતિશ કુમારની જેડીયુએ એક એવી પોસ્ટ કરી કે જેના લીધે વિવાદ થયો છે. જેડીયુએ પછીથી આ પોસ્ટ ડીલિટ કરી હતી. તેમાં લખેલું હતું કે ન ભૂતો ન ભવિષ્યતિ, નીતિશ કુમાર બિહાર કે મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે.

તેજસ્વી યાદવ ફરી ટેન્શનમાં, 10માં રાઉન્ડ બાદ 3000 વોટથી પાછળ
તેજસ્વી યાદવ ફરી એકવાર ટેન્શનમાં મૂકાઈ ગયા છે. આરજેડીની ભૂંડી હારના સંકેત વચ્ચે તેજસ્વી યાદવ પણ હારવાની અણીએ દેખાઈ રહ્યા છે. માહિતી અનુસાર 10મા રાઉન્ડ બાદ ફરી એકવાર ભાજપના ઉમેદવાર સતીશ કુમાર 3000થી વધુ વોટની સરસાઈ સાથે આગળ નીકળી ગયા છે. જો હજુ થોડાક રાઉન્ડ તે આગળ રહે તો તેજસ્વી યાદવ માટે જીતવું અઘરું થઇ શકે છે.
મહાગઠબંધનને 50 બેઠક જીતવાના ફાંફા, NDAની 201 પર લીડ સાથે ડબલ સેન્ચુરી
મહાગઠબંધન માટે શરમજનક હાર સાબિત કરતાં પરિણામ આવી રહ્યા છે. હાલમાં મહાગઠબંધનના સાથીઓ આરજેડી અને કોંગ્રસને સાથે મળીને 50 બેઠક જીતવાના પણ ફાંફા થઇ રહ્યા છે. આરજેડી હાલમાં 27 અને કોંગ્રેસ 4 બેઠક પર લીડમાં છે. જ્યારે ભાજપ 91 અને જેડીયુ 81 બેઠક પર લીડમાં છે. એલજેપીએ પણ દમ બતાવતા કોંગ્રેસ કરતા વધારે 21 બેઠક પર લીડ મેળવી લીધી છે.
તેજસ્વી યાદવ માટે રાહતની વાત!
છઠ્ઠા રાઉન્ડની મતગણતરી બાદ બિહારમાં આરજેડીના લીડર અને મહાગઠબંધનના સીએમ પદના ઉમેદવાર તેજસ્વી યાદવ માટે રાહતના સમાચાર એ આવ્યા છે કે તેઓ ફરી એકવાર લીડ મેળવી રહ્યા છે. તેજસ્વી યાદવ માત્ર 200 વોટની સરસાઈથી આગળ છે. જોકે આ ચૂંટણીમાં અત્યાર સુધીની સ્થિતિ જોતા તેમની પાર્ટી પણ ભૂંડી હાર તરફ આગળ વધી રીહ છે. અત્યાર સુધી એનડીએના ખાતામાં 191 બેઠકો આવતી દેખાય છે જેમાં ભાજપ 85, જેડીયુ 77, એલજેપી 21 અને એનડીએના અન્ય પક્ષોના ખાતામાં 7 બેઠક આવતી દેખાય છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડીના ખાતામાં 33, કોંગ્રેસના ખાતામાં 5 અને વીઆઈપી શૂન્ય તથા અન્યોના ખાતામાં 9 બેઠક આવતી દેખાય છે. બીજી બાજુ અપક્ષ તરફથી 5 બેઠકો પર લીડ જણાવાઈ રહી છે.
'બિહાર કા મતલબ નીતિશ કુમાર', શહેરોમાં પોસ્ટર લાગ્યા
બિહારમાં એનડીએની ભવ્ય જીતના સંકેત વચ્ચે શહેરોમાં બિહાર કા મતલબ નીતિશ કુમાર એવા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. 243 બેઠકોમાંથી ભાજપ 84 અને જેડીયુ 76 બેઠક પર જીતતો દેખાય છે. જ્યારે એલજેપીના ખાતામાં 22 અને અનેડીએના અન્ય સહયોગી પક્ષોના ખાતામાં 7 બેઠક આવતી દેખાય છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડીના ખાતામાં 35, કોંગ્રેસના ખાતામાં 5 અને વીઆઈપીના ખાતામાં માત્ર 1 જ બેઠક આવતી દેખાય છે. જ્યારે મહાગઠબંધનના અન્ય પક્ષોના ખાતામાં 9 બેઠક આવતી દેખાય છે. જો કે આ ફાઈનલ રિઝલ્ટ નથી.
આરજેડીના ગઢ રાઘોપુરમાં તેજસ્વી યાદવ પાછળ
ભારતીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, તેજસ્વી યાદવ, આરજેડીના ગઢ રાઘોપુરમાં ભાજપના હરીફથી પાછળ છે. સવારે 11:15 વાગ્યા સુધીમાં તેજસ્વી યાદવને 10957 મત મળ્યા, જ્યારે ભાજપના સતીશ કુમારને 12230 મત મળ્યા. 30 માંથી 4 રાઉન્ડના અંતે હાલમાં રાઘોપુરના ભાજપના ઉમેદવાર 3016 વોટથી લીડ મેળવી રહ્યા છે.
જ્ઞાનેશ કુમાર અને ભારતના લોકો વચ્ચે સીધી લડાઈ: કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાએ બિહાર ચૂંટણી પર ટિપ્પણી કરતા કહ્યું કે, 'પ્રારંભિક વલણો દર્શાવે છે કે જ્ઞાનેશ કુમાર બિહારના લોકો સામે સફળ થઈ રહ્યા છે. આ લડાઈ ભાજપ, કોંગ્રેસ, આરજેડી અને જેડીયુ વચ્ચે નથી. આ જ્ઞાનેશ કુમાર અને ભારતના લોકો વચ્ચે સીધી લડાઈ છે.'
વલણોમાં એનડીએ ગઠબંધન 190 બેઠકને પાર
વલણોમાં એનડીએ ગઠબંધન 190 બેઠકને પાર થઇ ગયું છે. તેમાં ભાજપને 80, જેડીયુને 82, એલજેપીને 23 અને અન્યને 5 બેઠક મળતી દેખાય છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડીને 36, કોંગ્રેસને 7, વીઆઈપીને 0 અને અન્યને 6 સીટ મળતી દેખાય છે. વલણોમાં નુકસાન અંગે પ્રતિક્રિયા આપતાં આરજેડીએ કહ્યું કે વલણોમાં નુકસાન કેમ થયું એની સમીક્ષા કરવી પડશે.
બિહારમાં કઈ પાર્ટી ફાયદામાં અને કોને મોટું નુકસાન
181 બેઠકની લીડ સાથે NDA પ્રચંડ બહુમત તરફ, જેડીયુની 80 બેઠક પર લીડ
માહિતી અનુસાર અત્યાર સુધીના વલણોમાં એનડીએમાં ભાજપ 77, જેડીયુ 81, એલજેપી 22 અને અન્ય 5 બેઠક પર આગળ છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડી 41, કોંગ્રેસ 7 અને વીઆઈપી 0 તથા અન્ય 6 બેઠક પર આગળ છે.
ચૂંટણી પંચે 235 બેઠકના વલણ જાહેર કર્યા

મહુઆમાં મોટો અપસેટ, તેજ પ્રતાપ યાદવ પાછળ, રાજપાકડમાં JDU આગળ
મહુઆ વિધાનસભા બેઠક પર મતગણતરીનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ થયો છે. મહુઆમાં LJPના સંજય સિંહ 10,301 મતો સાથે આગળ છે. JJDના તેજ પ્રતાપ યાદવને 1,500 મતો મળ્યા. RJDના મુકેશ રોશનને 6,781 મતો મળ્યા. ત્રીજા રાઉન્ડમાં રાજપાકડ વિધાનસભા બેઠક પર JDUના મહેન્દ્ર રામ 11,321 મતો સાથે આગળ છે. CPIના મોહિત પાસવાનને 2,697 મતો મળ્યા અને કોંગ્રેસના પ્રતિમા દાસને 3,266 મતો મળ્યા.
NDAને બહુમતી વચ્ચે ભાજપ માટે ટેન્શનની વાત!
બિહારમાં ફરી એકવાર એનડીએની સરકાર બનતી દેખાઈ રહી છે. એક્ઝિટ પોલ લગભગ એક્ઝેટ સાબિત થઈ રહ્યા છે. આ દરમિયાન બે કલાકની કાઉન્ટિંગ બાદ ભાજપ માટે એક ટેન્શનની વાત એ છે કે બિહારમાં તેના સૌથી મોટા ગઢ એટલે કે પટણા સાહીબમાં કોંગ્રેસના ઉમેદવાર મોટા અંતરથી આગળ નીકળી ગયા છે. પટણા સાહિબમાં ભાજપે આ વખતે 7 વખતના ધારાસભ્ય નંદકિશોર યાદવની જગ્યાએ યુવા ચહેરા રતનેશ કુમારને ટિકિટ આપી હતી. ત્યારે કોંગ્રેસે શશાંત શેખરને મેદાને ઉતાર્યા હતા. પહેલા બે રાઉન્ડની કાઉન્ટિંગમાં કોંગ્રેસે આ સીટ પર લીડ મેળવી લીધી. તેમના ઉમેદવાર શશાંત 5000 વોટની લીડ સાથે આગળ છે. જોકે પછીથી ત્રીજા રાઉન્ડમાં અંતરાળ ઘટીને 3000 વોટની લીડ સુધી પહોંચી શક્યો છે.
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા શું કહે છે?
ચૂંટણી પંચના સત્તાવાર વલણમાં પણ NDAને ભારે બહુમતી જેમાં ભાજપને 61, JDUને 63, RJDને 34, INCને 10 બેઠકો પર લીડ મળતી દેખાઈ રહી છે.
જેડીયુનું શાનદાર પ્રદર્શન, ભાજપ કરતા આગળ નીકળ્યો
એનડીએ ગઠબંધનમાં પણ રસ્સાકસી દેખાઈ રહી છે. ભાજપ કરતા જેડીયુ આગળ નીકળી જતાં 76 બેઠક પર લીડ મેળવતો દેખાય છે. જ્યારે ભાજપના ખાતામાં 69 બેઠક આવતી દેખાય છે. બીજી બાજુ આરજેડીને 59 બેઠક પર અને કોંગ્રેસને 16 બેઠક પર લીડ મળતી દેખાય છે. જ્યારે વીઆઈપી ફક્ત 3 બેઠક પર લીડ મેળવતી દેખાય છે. હાલના આંકડા અનુસાર એનડીએ 160 તથા મહાગઠબંધન 79 બેઠક પર લીડમાં છે. આ વલણો આધારિત આંકડા છે.
ગિરિરાજ સિંહે કહ્યું, "હવે બંગાળનો વારો છે."
ભાજપ નેતા ગિરિરાજ સિંહે બિહારમાં NDAની જીતનો દાવો કરતા એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, 'હવે બંગાળનો વારો છે. આપણે બંગાળ જીતીશું, કારણ કે ત્યાં અરાજકતાની સરકાર છે.' તેમણે વધુમાં કહ્યું, 'તેજશ્વી યાદવે ચૂંટણી પંચના પ્રમાણપત્ર વિના 18મી તારીખ પણ નક્કી કરી હતી. તેમને રાંચી અને આગ્રાથી પાછા ફરનાર વ્યક્તિ કહેવાશે.'
તમામ 243 બેઠકના વલણ જાહેર - એનડીએને 156 બેઠક પર લીડ અને મહાગઠબંધનને 82 બેઠક પર લીડ
કોને કેટલી લીડ?
ભાજપ 73
જેડીયુ 69
આરજેડી 64
કોંગ્રેસ 15
અન્ય 4
શરૂઆતના વલણોમાં ભાજપ ફરી સૌથી મોટી પાર્ટી, જેડીયુનું મજબૂત પ્રદર્શન
શરૂઆતના વલણો જાહેર થઇ ગયા છે. 243 બેઠકોમાંથી 215 બેઠકોમાં સૌથી વધુ 71 બેઠક પર ભાજપને લીડ મળતી દેખાઈ રહી છે. જ્યારે આરજેડીના ખાતામાં 60 બેઠક આવતી દેખાય છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 10 અને જેડીયુના ખાતામાં 59 બેઠક આવતી દેખાય છે.
શરૂઆતના વલણોમાં આરજેડીનો દબદબો, 58 બેઠક પર લીડ સાથે સૌથી મોટી પાર્ટી બની
શરૂઆતના વલણોમાં આરજેડી અને ભાજપ વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી રહી છે. ભાજપ અત્યારે 56 તો આરજેડી સૌથી મોટી પાર્ટી બની જતાં 58 બેઠક પર લીડ સાથે આગળ નીકળી ગઈ છે. હાલમાં 97 બેઠક પર એનડીએ તો મહાગઠબંધન 70 બેઠક પર આગળ દેખાઈ રહી છે. આ શરૂઆતના વલણો છે.
શરૂઆતના વલણોમાં ભાજપ 50 બેઠકને પાર RJDને 48 પર લીડ
150 બેઠકોના શરૂઆતના વલણોમાં 50 બેઠક ભાજપના ખાતામાં તો 48 બેઠક RJDના ખાતામાં આવતી દેખાય છે. જ્યારે બીજી બાજુ જેડીયુ 34 અને કોંગ્રેસ 7 બેઠક પર લીડ મેળવતી દેખાઈ રહી છે. અપક્ષની વાત કરીએ તો 5 જ બેઠક તેમના ખાતામાં આવતી દેખાય છે.
મોટી બેઠકો પર શરૂઆતના વલણો
બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. ઘણી બેઠકો પરથી શરૂઆતના વલણો સામે આવ્યા છે. JDUના કોમલ સિંહ ગયાઘાટમાં આગળ છે. JDUના મનીષ કુમાર ધોરૈયામાં આગળ છે. દાનાપુરમાં ભાજપના રામકૃપાલ આગળ છે. JDUના અભિષેક આનંદ ચેરિયા બરિયારપુરમાં આગળ છે. RJD ઉમેદવાર ખેસારી લાલ છાપરામાં આગળ છે. JDUના નચિકેતા જમાલપુરમાં આગળ છે.
150થી વધુ બેઠકના વલણ જાહેર
150થી વધુ બેઠકોના વલણ જાહેર થઈ ગયા છે. જેમાં એનડીએના ખાતામાં 86 અને મહાગઠબંધનના ખાતામાં 58 બેઠક આવી રહી છે. એનડીએમાં સૌથીવધુ 49 બેઠક પર ભાજપને લીડ મળી રહી છે ત્યારે જેડીયુના ખાતામાં 34 સીટ દેખાય છે. જ્યારે આરજેડીના ખાતામાં 46 અને કોંગ્રેસના ખાતામાં 7 બેઠક પર લીડ દેખાય છે.
100થી વધુ સીટના વલણ
એનડીએ ગઠબંધનના ખાતામાં 62 જ્યારે મહાગઠબંધનના ખાતામાં 42. ત્યારે અપક્ષના ખાતામાં 5 જેટલી બેઠકો આવી રહી છે. આ શરૂઆતના વલણો આધારિતી માહિતી છે.
AIMIM અને પ્રશાંત કિશોરની પાર્ટીનું ખાતું ખુલ્યું
અત્યાર સુધીના વલણો અનુસાર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMનું પણ ખાતું ખુલી ગયું છે. જ્યારે પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી પણ મજબૂત પ્રદર્શન કરી રહી છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના શરૂઆતના વલણો
એનડીએ ગઠબંધન 50 બેઠકો પર આગળ, જ્યારે મહાગઠબંધનને 30થી વધુ બેઠક પર લીડ, અપક્ષના ખાતામાં 5
NDAનું ખાતું ખુલ્યું, મહાગઠબંધન પાછળ
પોસ્ટલ બેલેટની ગણતરીના પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે. તેમાં એનડીએ તેમાં આગળ દેખાઈ રહી છે. અત્યાર સુધી તેના ખાતામાં 8 સીટ આવી ચૂકી છે. જ્યારે આરજેડીના ખાતામાં બે અને કોંગ્રેસના ખાતામાં એક બેઠક આવી રહી છે. ત્યારે પ્રશાંંત કિશોરની પાર્ટીના ખાતામાં બે બેઠક વલણોમાં આગળ છે.
મત ગણતરી શરૂ, સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે
મત ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે પછી ઈવીએમના વોટ કાઉન્ટ થશે. નીતિશ-તેજસ્વીમાંથી કોણ બનશે સીએમ આજે થઈ જશે ફાઈનલ.
નીતિશ કુમારે પરિણામ અગાઉ પંડિત જવાહરલાલ નેહરુને યાદ કર્યા
નીતિશ કુમારે ચૂંટણીના પરિણામો પહેલા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ આપી. તેમની જન્મજયંતિ નિમિત્તે, તેમણે X પર લખ્યું, "ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર આદરપૂર્ણ વંદન." નીતિશ કુમારના સ્વાસ્થ્ય વિશે અને કાવા-દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પ્રચાર દરમિયાન ખૂબ સક્રિય દેખાયા હતા. તેમણે વરસાદમાં લાંબા અંતર કાપતા ખુલ્લી જીપમાં રોડ શોમાં પણ ભાગ લીધો હતો. તેજસ્વી યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમના સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા.
8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે
બિહાર વિધાનસભાની તમામ 243 બેઠકો પરના લગભગ 5 કરોડ મતોને 4372 કાઉન્ટિંગ ટેબલ પર ગણવામાં આવશે. પોસ્ટલ બેલેટની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને ઈવીએમના મતોની ગણતરી 8:30 વાગ્યે શરૂ થશે. આ સાથે જ 7 રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પણ પરિણામો આજે જ આવી જશે.
બહુમત માટે કેટલી બેઠક જરૂરી?
સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને તેના પછી ઈવીએમના વોટની ગણતરી શરૂ થશે. 243માંથી બહુમત માટે 122 બેઠકો જીતવી જરૂરી છે. આ વખતે લગભગ તમામ એક્ઝિટ પોલમાં NDAને બહુમત મળતું હોવાના દાવા કરાયા છે. જ્યારે મહાગઠબંધન પણ જીતનો દાવો કરવામાં પાછળ નથી. તેમણે કહ્યું હતું કે અમને તો એક્ઝેટ પોલ પર જ વિશ્વાસ છે.


