India

શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત

By GS TEAM
28 Oct 20252 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધને આજે (28 ઓક્ટોબર) ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરોમાં અનેક મોટા વચનો આપવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટો મુદ્દો રાજ્યમાં લાગુ દારુબંધી કાયદાની સમીક્ષા કરવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત

Bihar Assembly Elections-2025, Mahagathbandhan Manifesto : બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધને આજે (28 ઓક્ટોબર) ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરોમાં અનેક મોટા વચનો આપવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટો મુદ્દો રાજ્યમાં લાગુ દારુબંધી કાયદાની સમીક્ષા કરવાનો છે. 

‘દારુબંધી કાયદાની સમીક્ષા કરી નીતિ બનાવીશું’

મહાગઠબંધને વચન આપ્યું છે કે, જો બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમની સરકાર બનશે તો, હાલમાં લાગુ દારુબંધી કાયદાની સમીક્ષા કરવામાં આવશે અને એક સુસંગત નીતિ બનાવવામાં આવશે. આ કાયદા હેઠળ જેલભેગા કરાયેલા દલિતો અને અન્ય ગરીબ લોકોને તાત્કાલિક રાહત આપવામાં આવશે.

‘તાડી-મહુઆને કાયદામાંથી મુક્ત કરીશું’

ચૂંટણી ઢંઢેરામાં એમ પણ કહેવાયું છે કે, તાડી અને મહુઆ આધારિત પરંપરાગત રોજગારને દારુબંધી કાયદાના દાયરામાંથી મુક્ત કરવામાં આવશે, જેથી આ પરંપરાગત ધંધા સાથે જોડાયેલા લોકોની આજીવિકા બચી શકે. જોકે, સાથે જ નશા-નિયંત્રણ માટે સખત કાયદો બનાવવાની અને વિશેષ જનજાગરણ અભિયાન ચલાવવાની ઘોષણા પણ કરવામાં આવી છે.

ચૂંટણી ઢંઢેરાની એક-એક જાહેરાત દિલથી લીધેલો પ્રણ : તેજસ્વી યાદવ

ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ RJDના નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરા તેજસ્વી યાદવે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, "આ ઈન્ડિયા ગઠબંધનનો સંકલ્પ પત્ર પક્ષો અને દિલોનો પ્રણ છે. ચૂંટણી ઢંઢેરાની એક-એક જાહેરાત દિલથી લીધેલો પ્રણ છે, પોતાના દરેક પ્રણને પ્રાણ લગાવીને પૂરો કરીશું. એક બિહારી દિલથી જ્યારે કંઈક નક્કી કરી લે છે, તો પછી તેનો અમલ કર્યા વગર અટકતો નથી.’ બિહાર કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢેરાને બિહારના ભવિષ્યનો ચૂંટણી ઢંઢેરો ગણાવ્યો છે.

આ પણ વાંચો : બિહારમાં દરેક પરિવારને એક સરકારી નોકરી, મહિલાઓને દર મહિને રૂ.2500 સહાય, મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો

ચૂંટણી ઢંઢેરામાં શું જાહેરાતો કરાઈ?

  • દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી.
  • ગરીબ પરિવારોને રૂપિયા 500માં સિલિન્ડર.
  • ખામીયુક્ત સ્માર્ટ મીટર વ્યવસ્થાથી ઊભી થયેલી સમસ્યાઓનું સમાધાન થશે અને નોંધાયેલા કેસો પાછા ખેંચાશે.
  • જુબ્બા સહાની પુરસ્કાર શરૂ કરવાની જાહેરાત.
  • નશા નિયંત્રણ માટે કડક કાયદો બનાવાશે અને વિશેષ જનજાગૃતિ અભિયાન ચલાવવાશે.
  • વકફ સંશોધન વિધેયક પર રોક લગાવવામાં આવશે.
  • ધાર્મિક સંસ્થાન અથવા સ્થળ પર હુમલાને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે.
  • દિવ્યાંગજનોને રૂપિયા 3,000નું માસિક પેન્શન.
  • વિધવા અને વડીલોને રૂપિયા 1,500 પ્રતિ માસ પેન્શન.
  • ભૂમિહીન અને બેઘર પરિવારોને 5 ડિસમિલ અને શહેરી વિસ્તારોમાં 3 ડિસમિલ જમીન અથવા પાકું મકાન આપવાનું વચન.
  • મનરેગા મજૂરી વધારીને રૂપિયા 300 કરવાનું વચન.
  • જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવામાં આવશે.
  • મહાગઠબંધનની સરકાર બનતા 2,000 એકરમાં 'એજ્યુકેશનલ સિટી' બનાવવામાં આવશે.
  • તમામ કરાર આધારિત કર્મચારીઓ અને આઉટસોર્સિંગ પર કાર્યરત કર્મચારીઓને કાયમી કરવામાં આવશે.

આ પણ વાંચો : ‘આપણે ડોકટરોની સંભાળ નહીં રાખીએ, તો દેશ આપણને માફ નહીં કરે’ જાણો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કરી ટિપ્પણી