Get The App

ઉત્તરાખંડમાં 36 લોકો કાળનો કોળિયો બન્યા, બસ ખીણમાં ખાબકતાં જ્યાં-ત્યાં વિખેરાયા પાર્થિવ દેહ

Updated: Nov 4th, 2024

GS TEAM


Google News
Google News
Road Accident


Road Accident In Uttarakhand: ઉત્તરાખંડના અલ્મોડામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. માર્ચુલા નજીક એક બસ ખીણમાં પડી જતાં દુર્ઘટનામાં 36 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ હોવાના અહેવાલો મળ્યા છે. ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી છે. 

મીડિયા સુત્રો અનુસાર, નૈની ડાંડાથી રામનગર જઈ રહેલી એક બસ આજે સવારે અચાનક ખીણમાં ખાબકી હતી. ગીત જાગીર નદીના કિનારે ખાબકેલી આ બસમાં સવાર 36 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત છે. બચાવ કામગીરી હજી ચાલુ છે. 42 સીટરની આ બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતાં. દુર્ઘટના સમયે અમુક મુસાફરો જીવ બચાવવા બારીમાંથી બહાર કૂદી ગયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અલ્મોડા બસ અકસ્માત અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અલ્મોડાના ડીએમ સાથે ફોન સાથે પર વાચ કરી ઘટનાની માહિતી મેળવી હતી. તેમજ બચાવ અને રાહત કામગીરી ઝડપથી કરવા નિર્દેશ કર્યો હતો.



આ બસ દુર્ઘટનાનું કારણ હજી જાણી શકાયુ નથી. પ્રારંભિક ધોરણે બસ ડ્રાઈવરે પોતાનું નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. બસ 100 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મોતનો આંકડો વધવાની ભીતિ છે.

મુખ્યમંત્રીએ વળતરની જાહેરાત કરી

અલ્મોડા બસ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો માટે રાહત વળતરની જાહેરાત કરતાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ જણાવ્યું હતું કે, મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયાની સહાયતા પ્રદાન કરવામાં આવશે. આયુક્ત કુમાઉ મંડલને ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવા પણ નિર્દેશ આપ્યા છે.

ઉત્તરાખંડમાં 36 લોકો કાળનો કોળિયો બન્યા, બસ ખીણમાં ખાબકતાં જ્યાં-ત્યાં વિખેરાયા પાર્થિવ દેહ 2 - image

Tags :