ભોપાલમાં ભાજપ સરકારનું ભોપાળું, બ્રિજની ડિઝાઈન જોઈ લોકો માથું ખંજવાળતા થયા
Madhya Pradesh Bhopal Aishbagh Bridge Controversy: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ટ્રાફિક જામ અને અવ્યવસ્થાથી છૂટકારો મેળવવા માટે તૈયાર એશબાગ રેલવે ઓવરબ્રિજ (ROB)ની ડિઝાઈન હવે સમસ્યા બની છે. 18 કરોડ રૂપિયાના ખર્ચે અને લગભગ 8 વર્ષની રાહ જોયા બાદ તૈયાર થયેલો આ બ્રિજ 90 ડિગ્રીના ખતરનાક ટર્નથી લોકોમાં ભય જોવા મળ્યો છે. આ 90 ડિગ્રીના ટર્નના કારણે દુર્ઘટના સર્જાવાનું જોખમ હોવાનું જણાવી સ્થાનિકોએ બ્રિજની ડિઝાઈનની ટીકા કરી છે અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો મૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, 18 કરોડના ખર્ચે તૈયાર આ બ્રિજ બનાવવા માટે આશરે 8 વર્ષનો સમય લાગ્યો હતો. પરંતુ હવે આ બ્રિજ પર વાહન ચાલકોએ 90 ડિગ્રીના વળાંકમાં ગાડી ચલાવવાની હોવાથી જોખમ વધ્યું છે. જેના લીધે સોશિયલ મીડિયા પર પણ આ બ્રિજની ડિઝાઈન પર સવાલો ઉઠ્યા છે.
સોશિયલ મીડિયા પર ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે લખ્યું હતું કે, આ ભોપાલનો એશબાગ રેલ ઓવર બ્રિજને તૈયાર કરતાં PWDને 10 વર્ષ લાગ્યા હતાં. જ્યારે સત્તાની બાગડોર ભ્રષ્ટ સરકારના હાથમાં હોય, યોજનાઓ અયોગ્ય અને ચોપડાઓ સુધી સમેટાઈને રહી હોય, એન્જિનિયરિંગની ડિગ્રી ન હોય તેવા લોકોની મદદથી તેમજ દાનના કારણે બ્રિજ બને છે, ત્યારે દુર્ઘટના સર્જાય છે. અન્ય એક યુઝરે પોસ્ટ કરી હતી કે, આવી ડિઝાઈનની પ્રજાને જરૂર જ ન હતી, અધિકારીઓના ખિસ્સા ભરવા માટે આ ડિઝાઈન બનાવવામાં આવી છે, નકશા માત્ર કાગળ પર મંજૂર થાય છે, જમીન પર નહીં. સિમેન્ટમાંથી વધુ કમિશન મેળવવામાં આવે છે. જેનું પરિણામ આ વાહિયાત બ્રિજ. કારણકે, યોજના બનાવનારા માત્ર ઔપચારિકતા પૂરી કરે છે, જવાબદારી નહીં. વધુ એક યુઝરે જણાવ્યું હતું કે, મોત 90 ડિગ્રીના ખૂણા પર આવશે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં વિકાસનો આ ખૂણો મોત તરીકે ઉભરી આવ્યો છે. 18 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજની લંબાઈ 648 મીટર છે.
આ પણ વાંચોઃ આતંકને ઉછેરનારા પાકિસ્તાનના અમેરિકાના ટોપ જનરલે કર્યા ભરપેટ વખાણ, શાનદાર પાર્ટનર ગણાવ્યો
ટ્રાફિક સમસ્યા દૂર કરવા બનાવ્યો હતો બ્રિજ
જે જગ્યા પર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે ભરચક વસ્તી ધરાવતા અને ટ્રાફિકથી ચક્કાજામ રહેતો વિસ્તાર છે. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ ઉદ્ઘાટન પહેલાં જ આ બ્રિજની ડિઝાઈન વિવાદ બની છે. બ્રિજની ડિઝાઈન મુદ્દે પીડબ્લ્યૂડી મંત્રી રાકેશ સિંહે સ્પષ્ટતા આપી હતી કે, બ્રિજ બન્યા બાદ અચાનક અમુક નિષ્ણાતોની જમાત ઉમટી પડે છે અને આ પ્રકારની વાતો કરે છે. વાસ્તવમાં કોઈપણ બ્રિજ બનાવતી વખતે વિવિધ ટેક્નોલોજીને ધ્યાનમાં લેવામાં આવે છે. જો કોઈપણ પ્રકારની ખામી જણાશે, તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.