Get The App

ભોપાલમાં ભાજપ સરકારનું ભોપાળું, બ્રિજની ડિઝાઈન જોઈ લોકો માથું ખંજવાળતા થયા

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
ભોપાલમાં ભાજપ સરકારનું ભોપાળું, બ્રિજની ડિઝાઈન જોઈ લોકો માથું ખંજવાળતા થયા 1 - image


Madhya Pradesh Bhopal Aishbagh Bridge Controversy: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ટ્રાફિક જામ અને અવ્યવસ્થાથી છૂટકારો મેળવવા માટે તૈયાર એશબાગ રેલવે ઓવરબ્રિજ (ROB)ની ડિઝાઈન હવે સમસ્યા બની છે. 18 કરોડ રૂપિયાના ખર્ચે અને લગભગ 8 વર્ષની રાહ જોયા બાદ તૈયાર થયેલો આ બ્રિજ 90 ડિગ્રીના ખતરનાક ટર્નથી લોકોમાં ભય જોવા મળ્યો છે. આ 90 ડિગ્રીના ટર્નના કારણે દુર્ઘટના સર્જાવાનું જોખમ હોવાનું જણાવી સ્થાનિકોએ બ્રિજની ડિઝાઈનની ટીકા કરી છે અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો મૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, 18 કરોડના ખર્ચે તૈયાર આ બ્રિજ બનાવવા માટે આશરે 8 વર્ષનો સમય લાગ્યો હતો. પરંતુ હવે આ બ્રિજ પર વાહન ચાલકોએ 90 ડિગ્રીના વળાંકમાં ગાડી ચલાવવાની હોવાથી જોખમ વધ્યું છે. જેના લીધે સોશિયલ મીડિયા પર પણ આ બ્રિજની ડિઝાઈન પર સવાલો ઉઠ્યા છે.



સોશિયલ મીડિયા પર ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે લખ્યું હતું કે, આ ભોપાલનો એશબાગ રેલ ઓવર બ્રિજને તૈયાર કરતાં PWDને 10 વર્ષ લાગ્યા હતાં. જ્યારે સત્તાની બાગડોર ભ્રષ્ટ સરકારના હાથમાં હોય, યોજનાઓ અયોગ્ય અને ચોપડાઓ સુધી સમેટાઈને રહી હોય, એન્જિનિયરિંગની ડિગ્રી ન હોય તેવા લોકોની મદદથી તેમજ દાનના કારણે બ્રિજ બને છે, ત્યારે દુર્ઘટના સર્જાય છે. અન્ય એક યુઝરે પોસ્ટ કરી હતી કે, આવી ડિઝાઈનની પ્રજાને જરૂર જ ન હતી, અધિકારીઓના ખિસ્સા ભરવા માટે આ ડિઝાઈન બનાવવામાં આવી છે, નકશા માત્ર કાગળ પર મંજૂર થાય છે, જમીન પર નહીં. સિમેન્ટમાંથી વધુ કમિશન મેળવવામાં આવે છે. જેનું પરિણામ આ વાહિયાત બ્રિજ. કારણકે, યોજના બનાવનારા માત્ર ઔપચારિકતા પૂરી કરે છે, જવાબદારી નહીં. વધુ એક યુઝરે જણાવ્યું હતું કે, મોત 90 ડિગ્રીના ખૂણા પર આવશે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં વિકાસનો આ ખૂણો મોત તરીકે ઉભરી આવ્યો છે. 18 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજની લંબાઈ 648 મીટર છે.

આ પણ વાંચોઃ આતંકને ઉછેરનારા પાકિસ્તાનના અમેરિકાના ટોપ જનરલે કર્યા ભરપેટ વખાણ, શાનદાર પાર્ટનર ગણાવ્યો

ટ્રાફિક સમસ્યા દૂર કરવા બનાવ્યો હતો બ્રિજ

જે જગ્યા પર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે ભરચક વસ્તી ધરાવતા અને ટ્રાફિકથી ચક્કાજામ રહેતો વિસ્તાર છે. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ ઉદ્ઘાટન પહેલાં જ આ બ્રિજની ડિઝાઈન વિવાદ બની છે. બ્રિજની ડિઝાઈન મુદ્દે પીડબ્લ્યૂડી મંત્રી રાકેશ સિંહે સ્પષ્ટતા આપી હતી કે, બ્રિજ બન્યા બાદ અચાનક અમુક નિષ્ણાતોની જમાત ઉમટી પડે છે અને આ પ્રકારની વાતો કરે છે. વાસ્તવમાં કોઈપણ બ્રિજ બનાવતી વખતે વિવિધ ટેક્નોલોજીને ધ્યાનમાં લેવામાં આવે છે. જો કોઈપણ પ્રકારની ખામી જણાશે, તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

ભોપાલમાં ભાજપ સરકારનું ભોપાળું, બ્રિજની ડિઝાઈન જોઈ લોકો માથું ખંજવાળતા થયા 2 - image

Tags :