| Screen Grab Amit Malviya X |
Bhabanipur Election Rally Clash: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે ભવાનીપુરમાં શનિવારે ભારે તણાવ જોવા મળ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનરજી અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીની રેલીઓ માત્ર 100 મીટરના અંતરે યોજાતા બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી હતી કે સુરક્ષા દળોએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
શું હતો વિવાદ?
મુખ્યમંત્રી મમતા બેનરજી જ્યારે જનસભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે ભાજપ પર તેમની સભામાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. મમતાએ કહ્યું કે, નજીકમાં યોજાઈ રહેલી શુભેન્દુ અધિકારીની રેલીમાં મોટા અવાજે લાઉડસ્પીકર વગાડીને જાણીજોઈને અડચણ ઊભી કરવામાં આવી રહી છે. આ વિક્ષેપથી નારાજ થઈને મમતા બેનરજીએ અધવચ્ચે જ પોતાનું ભાષણ રોકી દીધું હતું અને ભીડની માફી માંગીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.
કાર્યકરો વચ્ચે સૂત્રોચ્ચાર અને ઘર્ષણ
મમતા બેનરજીના ગયા બાદ ગુસ્સે ભરાયેલા TMC કાર્યકરોએ ભાજપની રેલી તરફ કૂચ કરી હતી. બંને તરફથી ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થયા હતા અને જોતજોતામાં વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. સુરક્ષા જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.
ભાજપનો પલટવાર
શુભેન્દુ અધિકારીએ આ અંધાધૂંધી માટે મમતા બેનરજીને જવાબદાર ઠેરવતા કહ્યું કે, ભાજપ આ ગુંડારાજનો જડબાતોડ જવાબ આપશે. બીજી તરફ, ભાજપ નેતા અમિત માલવિયાએ આ ઘટનાનો વીડિયો શેર કરતા કટાક્ષ કર્યો કે હારના ડરથી મમતા બેનરજી પોતાનો સંયમ ગુમાવી રહ્યા છે.
ચૂંટણી ગણિત
ભવાનીપુર મમતા બેનરજીનો ગઢ માનવામાં આવે છે, જ્યાંથી તેઓ 2011થી સતત ત્રણ વખત જીત્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે 152 બેઠકો પર પૂર્ણ થયું છે. હવે 29 એપ્રિલે ભવાનીપુર સહિત 141 બેઠકો પર મતદાન થશે, જ્યારે મતોની ગણતરી 4 મેના રોજ હાથ ધરવામાં આવશે.


