Get The App

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે 1 - image

West Bengal Assembly Election 2026: પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી લાંબા સમયથી મુખ્યત્વે મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો બની જાય છે. પરંતુ હવે કોંગ્રેસ આ જંગને ત્રિકોણીય બનાવવા માટે ગંભીર પ્રયાસ કરી રહી છે. આ કારણે બંગાળની રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે. કોંગ્રેસની વ્યૂહનીતિ કેટલી સફળ થશે તે મત વિસ્તાર, સ્થાનિક નેતૃત્વ અને મતદારોના વલણ પર નિર્ભર રહેશે. ચાલો જાણીએ કે આ ચૂંટણીમાં કયાં પાસાં કોંગ્રેસને ફાયદો કરાવે એમ છે અને કયાં નુકસાન?

કોંગ્રેસે 284 ઉમેદવારોના નામ જાહેર કર્યા 

પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, એમાંની 284 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. આ વખતે કોંગ્રેસે કોઈ પણ ગઠબંધનથી દૂર રહીને એકલેહાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ માટે પાર્ટીએ જે અનુભવી નેતાઓને આગળ ધપાવ્યા છે, એ નીચે પ્રમાણે છે. 

1. અધીર રંજન ચૌધરી(બહેરામપુર)- આ મજબૂત નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરી લગભગ 30 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમને બહેરામપુરની ટિકિટ અપાઈ છે. અગાઉ 1996માં તેઓ નવગ્રામ મત વિસ્તારથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. 1999માં તેઓ લોકસભા ચૂંટણી બહેરામપુરથી જ જીત્યા હતા. આ બેઠક પરથી તેઓ પાંચ વખત સાંસદ ચૂંટાયા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે અધીર રંજન ચૌધરીને હરાવ્યા હતા. કોંગ્રેસે ફરી એકવાર તેમને વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે. 

2. પ્રદીપ પ્રસાદ(ભવાનીપુર)- ભવાનીપુર બેઠક માટે તૃણમૂલ કોંગ્રેસ તરફથી મમતા બેનરજી અને ભાજપ તરફથી સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર પ્રદીપ પ્રસાદને મેદાનમાં ઉતારીને કોંગ્રેસે ચૂંટણી જંગ રસપ્રદ બનાવી દીધો છે. 

3. મૌસમ બેનઝીર નૂર(માલતીપુર)- કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયેલાં મૌસમ બેનઝીર નૂર ઘરવાપસી કરીને તાજેતરમાં ફરી કોંગ્રેસમાં આવી ગયા છે. કોંગ્રેસે તેમને માલતીપુર બેઠકથી મેદાનમાં ઉતાર્યા છે. 

4. આ સિવાય અન્ય મહત્ત્વની બેઠકો અને કેટલાક નેતાઓની વાત કરીએ તો...  

- નંદીગ્રામ બેઠક પરથી શેખ જરિયાતુલ હુસૈન

- રાયગંજ બેઠક પરથી મોહિત સેનગુપ્તા

- જલંગી બેઠક પરથી અબ્દુલ રેઝાક મોલ્લા

- ચકુલિયા બેઠક પરથી અલી ઇમરાન રમ્ઝ 

- બાલીગંજ બેઠક પરથી રોહન મિત્રા 

સહિતના દિગ્ગજ નેતાઓને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. હાઈ-પ્રોફાઇલ બેઠકો પર ખાસ ઉમેદવારો ઊભા કરીને કોંગ્રેસ સીધો પડકાર ઊભો કરવા માગે છે, જેથી ચૂંટણી માત્ર બે પક્ષો વચ્ચે મર્યાદિત ન રહે. કોંગ્રેસે ખેલેલો દાવ ક્યાંક-ક્યાંક 'કાંટે કી ટક્કર' સર્જે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. 

આ પણ વાંચો: ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી

સોશિયલ એન્જિનિયરિંગની વ્યૂહરચના અપનાવી

બંગાળ ચૂંટણીમાં કોંગ્રેસે 'સોશિયલ એન્જિનિયરિંગ'ની વ્યૂહરચના અપનાવી છે અને એ માટે સમાજના વિવિધ વર્ગને ધ્યાનમાં રાખીને ઉમેદવારો પસંદ કર્યા છે. જેમ કે કોંગ્રેસે 68 દલિત, 64 મુસ્લિમ, 16 અનુસૂચિત જનજાતિ અને 42 મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. આંકડા જોતાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે કોંગ્રેસે મુસ્લિમ અને દલિત ઉમેદવારોને પ્રાધાન્ય આપીને એ વર્ગના મતદારોના વૉટ મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.

મહત્ત્વના વિસ્તારોમાં વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે 

કોંગ્રેસ ખાસ કરીને માલદા, મુર્શિદાબાદ, ઉત્તર દિનાજપુર જિલ્લાઓમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે. આ વિસ્તારોમાં મુસ્લિમ બહુમતી હોવાથી કોંગ્રેસ અહીંથી બેઠકો જીતવાની આશા રાખે છે. 

કોંગ્રેસનો નવા ચહેરા અને યુવાનો પર વિશ્વાસ 

કોંગ્રેસે માત્ર જૂના નેતાઓ જ નહીં, પણ નવા ચહેરાઓને પણ તક આપી છે. કોલકાતા અને હાવડા જેવા શહેરોમાં પણ યુવા અને પ્રોફેશનલ ઉમેદવારોને તક અપાઈ છે. યુવા ઉમેદવારો, પ્રોફેશનલ્સ અને મહિલા પ્રતિનિધિત્વ વધારીને પાર્ટી પોતાની નવી છબિ બનાવવા પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસને લીધે કોને નુકસાન થશે અને કોને ફાયદો?

સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોંગ્રેસની આક્રમક એન્ટ્રીથી નુકસાન કોને થશે? તો રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, પરંપરાગત રીતે મમતા બેનરજીની મજબૂત વૉટ બેંક છે એવા મુસ્લિમ મતદારોમાં વિભાજન થશે, એટલે તૃણમૂલ કોંગ્રેસને નુકસાન થશે.મુસ્લિમ મત વિભાજનનો સીધો લાભ ભાજપને થઈ શકે છે. જો કે, ત્રિપાંખિયો જંગ જામવાથી ભાજપને નુકસાન થાય એવું પણ બની શકે. 

કોંગ્રેસનો રાહ આસાન નથી, અન્ય પક્ષો નડી શકે છે

મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં જીતવું કોંગ્રેસ માટે પડકારસમાન બનશે. કારણ એ છે કે, અહીંના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં બીજા પક્ષો પણ સક્રિય છે. જેમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સૌથી મજબૂત છે. આ સિવાય સ્થાનિક નેતાઓના ગઠબંધન પણ છે, જેના કારણે મત વિભાજનની શક્યતા વધારે છે.

આ પણ વાંચો: નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ

2021 પછી કોંગ્રેસની સ્થિતિ શું છે?

2021ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું હતું. તેને એક પણ બેઠક મળી નહોતી. એ ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને 213 અને ભાજપને 77 બેઠકો મળી હતી. આમ, એ ચૂંટણી સીધી બે પક્ષ વચ્ચે સીમિત થઈ ગઈ હતી. આ વખતે કોંગ્રેસ ફરીથી પોતાની હાજરી નોંધાવવા પ્રયત્ન કરી રહી છે.

બંગાળમાં કોંગ્રેસના મુખ્ય ત્રણ લક્ષ્ય છે 

બંગાળ ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્ય ત્રણ લક્ષ્ય છે. પહેલું વૉટ બેંકમાં વધારો કરવો. બીજું, જૂના ગઢ ફરી હાંસલ કરવા અને ત્રીજું બંગાળમાં લાંબા સમય માટે ફરી મહત્ત્વના પક્ષ તરીકે ઉભરવું. કોંગ્રેસ માલદા અને મુર્શિદાબાદમાં 2-3 બેઠકો જીતશે, તો એ મોટી સિદ્ધિ માનવામાં આવશે.

શું બંગાળમાં કોંગ્રેસ હુકમનું પત્તું સાબિત થશે? 

હાલની સ્થિતિ જોતાં તો કોંગ્રેસની જીતવાની શક્યતા ઓછી લાગે છે, પરંતુ જો તે થોડા વિસ્તારોમાં મજબૂત પ્રદર્શન કરે અને વૉટ બેંકમાં ફેરફાર લાવે તો તે ચૂંટણીના પરિણામોને અસર કરનારો મહત્ત્વપૂર્ણ ખેલાડી બની શકે છે.

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે 2 - image