(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૧
બેંક ઓફ બરોડા,
આરબીએલ બેંક, યસ બેંક
અને ભારતીય સ્ટેટ બેંકે સેન્ટ્રલ ઇન્ફરમેશન કમિશન (સીઆઇસી)નો સંપર્ક કરી ડિફોલ્ટરો
અને એનપીએની યાદી, દંડ અને ઇન્સ્પેકશન રિપોર્ટ જેવી માહિતીને જાહેર કરવા સામે
વિરોધ નોંધાવ્યો છે.
બીજી તરફ આરબીઆઇએ જણાવ્યું છે કે આરટીઆઇ એક્ટ હેઠળ આ
રેકોર્ડ જાહેર કરી શકાય છે. આરટીઆઇ અરજકર્તાઓ ધીરજ મિશ્રા, વથિરાજ, ગિરીશ મિત્તલ
અને રાધા રામન તિવારીએ આરબીઆઇમાં અલગ અલગ
અરજી કરી આ અંગેની માહિતી માંગી હતી.
તેમણે યસ બેંકના ટોચની ૧૦૦ એનપીએ અને ઇરાદાપૂર્વક દેવું ન
ચુકવનારાઓ, એસબીઆઇ
અને આરબીએલનો ઇન્સ્પેકશન રિપોર્ટ અને બેંક ઓફ બરોડા પર કાયદાકીય ઇન્સ્પેકશન પછી
લાગેલા ૪.૩૪ કરોડ રૃપિયાનાં દંડ સંબધિત દસ્તાવેજો અને અન્ય માહિતી માંગી હતી.
આ બેંકોએ સીઆઇસી સમક્ષ અપીલ કરી છે કારણકે બેકિંગ નિયામક
આરબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે આરટીઆઇ કાર્યકરો દ્વારા માંગવામાં આવેલી આ માહિતી
આરટીઆઇ એક્ટ હેઠળ જાહેર કરવામાં આવી શકે છે.
માહિતી કમિશનર ખુશવંત સિંહ સેઠીએ બેંકો દ્વારા ઉઠાવવામાં
આવેલા મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે આ
કેસને સીઆઇસીની લાર્જર બેન્ચ સમક્ષ મોકલ્યો છે. અંતિમ નિર્ણય સુધી માહિતી આપવા પર
સ્ટે મૂકવામાં આવ્યો છે.
નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ કેસનું પરિણામ બેકિંગમાં
પારદર્શકતા, જમાકર્તાઓનાં
અધિકાર અને નિયામક જવાબદારીઓ પર લાંબા ગાળે મોટી અસર પડી શકે છે. ખાસ કરીને એવા
સંજોગોમાં કે જ્યારે એનપીએ,
દંડ અને નિરીક્ષણમાં ઘટાડા પર જાહેર ચકાસણી વધી ગઇ છે.


