1 નવેમ્બરથી બદલાઈ જશે બૅન્ક ખાતા અને લૉકરના નિયમ, આધાર કાર્ડ ફેરફાર કરવા હવે વધુ સરળ

Bank Account Rules: બૅન્ક સાથે જોડાયેલા અનેક નિયમોમાં પહેલી નવેમ્બરથી ફેરફાર થવા જઈ રહ્યા છે. દરેક ખાતાધારક માટે આ નિયમ જાણવા ખૂબ જ જરૂરી છે, જેથી બાદમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. કારણ કે, આ ફેરફારો તમારી રોજબરોજની જિંદગી પર પણ મોટી અસર પડશે. આ મુખ્ય ફેરફારમાં બૅન્ક એકાઉન્ટ અને લૉકરમાં નૉમિની સાથે જોડાયેલા બદલાવ પણ સામેલ છે. જે હેઠળ બૅન્ક ગ્રાહક હવે એક નહીં પરંતુ ચાર નૉમિની પણ રાખી શકે છે. આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મ્યુચ્યુઅલ ફન્ડ સાથે જોડાયેલા અમુક નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે.
બૅન્કિંગ નિયમોમાં બદલાવ
પહેલી નવેમ્બર, 2025થી બૅન્કિંગ ઍક્ટમાં એક મોટો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે. જે હેઠળ બૅન્કિંગ લૉ સંશોધન ઍક્ટ 2025 અનુસાર, નોમિનેશન સાથે જોડાયેલા નિયમો લાગુ થશે. જેનાથી બૅન્ક ગ્રાહક એક નહીં પરંતુ 4 લોકોને નૉમિની બનાવી શકે છે. ગ્રાહક કઈ નૉમિનીને સંપત્તિનો કેટલો ભાગ આપવા ઇચ્છે છે, તે પણ નોંધી શકાય છે. એફડી, આરડી અને અન્ય પ્રકારની ડિપોઝિટ માટે પણ નૉમિનીના નિયમ લાગુ થશે. આ સિવાય સિંગલ અને જોઇન્ટ એકાઉન્ટમાં પણ લાગુ પડશે.
આધાર કાર્ડ અપડેટ કરાવવું બન્યું સરળ
UIDAIએ આધાર કાર્ડ અપડેટ કરાવવાની પ્રક્રિયાને પણ સરળ બનાવી દીધી છે. આધાર કાર્ડ ધારકનું નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઇલ નંબર જેવી વિગતો અપડેટ કરાવવા માટે હવે આધાર કેન્દ્ર સુધી ધક્કો નહીં ખાવો પડે. કારણ કે, આ તમામ કાર્યવાહી ઘરે બેઠા ઓનલાઇન જ થઈ જશે. બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અથવા આંખો સ્કેન કરાવવા માટે જ ફક્ત સેન્ટર પર જવાનું રહેશે. UIDAI તમારા ડેટાને પાન કાર્ડ, રાશન કાર્ડ, મનરેગા જેવા ડેટાબેઝ સાથે આપમેળે જ વેરિફાઇ કરી લેશે. વેરિફિકેશન માટે કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નહીં રહે.
આ પણ વાંચોઃ યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર... રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો
બૅન્ક લૉકરના નિયમોમાં ફેરફાર
બૅન્કમાં લૉકર અને સેફ કસ્ટડીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આમાં પણ ખાતાધારક નૉમિનીનો ક્રમવાર ઉલ્લેખ કરી શકે છે. જેનાથી સંપત્તિના હસ્તાંતરણ સંબંધિત વિવાદ ઓછો થશે અને સરળતાથી તેને ટ્રાન્સફર કરી શકાશે. જો પહેલો નૉમિની જીવિત નથી તો બીજો નૉમિની સંપત્તિનો દાવેદાર રહેશે.

