India

Explainer: 1955ની ઐતિહાસિક બાંડુંગ સમિટથી 2026ની AI સમિટ સુધી, ભારતની વૈશ્વિક ભૂમિકા બદલાઈ પણ સિદ્ધાંતો નહીં

By GS TEAM
23 Feb 20265 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં 16થી 21 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલી India AI Impact Summitને આધુનિક ભારતના ટેક્નોલોજિકલ આત્મવિશ્વાસ તરીકે જોવામાં આવી રહી છે. આ સમિટની સફળતા યાદ અપાવે છે કે, 70 વર્ષ અગાઉ ભારત ભૂખ્યા વિશ્વનો હિસ્સો ગણાતું હતું. અને એ દિવસોમાં ભારતની જ પહેલથી સમગ્ર વિશ્વનો અવાજ ઇન્ડોનેશિયાના બાંડુંગ શહેરમાં બુલંદ બન્યો હતો. વાત છે 18થી 24 એપ્રિલ, 1955 દરમિયાન યોજાયેલી ‘બાંડુંગ સમિટ’ની, જેમાં નવા સ્વતંત્ર થયેલા એશિયન અને આફ્રિકન દેશોએ એકઠા થઈને વસાહતવાદ એટલે કે કોલોનિયાલિઝમ સામે અવાજ ઉઠાવ્યો હતો. એ પરિષદ ભૂખ્યા અને શોષિતોનો અવાજ ગણાવાયો હતો. એવી જ રીતે, 2026માં યોજાયેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ એ ઝડપથી પ્રગતિ કરી રહેલા ભારતની જ પહેલ છે. તો ચાલો, 1955ની ‘બાંડુંગ સમિટ’ અને 2026ની ‘AI સમિટ’ વચ્ચે ભારતે ખેડેલી વૈશ્વિક યાત્રાનું વિશ્લેષણ કરીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: 1955ની ઐતિહાસિક બાંડુંગ સમિટથી 2026ની AI સમિટ સુધી, ભારતની વૈશ્વિક ભૂમિકા બદલાઈ પણ સિદ્ધાંતો નહીં

Recalling Bandung 1955: નવી દિલ્હીમાં 16થી 21 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલી India AI Impact Summitને આધુનિક ભારતના ટેક્નોલોજિકલ આત્મવિશ્વાસ તરીકે જોવામાં આવી રહી છે. આ સમિટની સફળતા યાદ અપાવે છે કે, 70 વર્ષ અગાઉ ભારત ભૂખ્યા વિશ્વનો હિસ્સો ગણાતું હતું. અને એ દિવસોમાં ભારતની જ પહેલથી સમગ્ર વિશ્વનો અવાજ ઇન્ડોનેશિયાના બાંડુંગ શહેરમાં બુલંદ બન્યો હતો. વાત છે 18થી 24 એપ્રિલ, 1955 દરમિયાન યોજાયેલી ‘બાંડુંગ સમિટ’ની, જેમાં નવા સ્વતંત્ર થયેલા એશિયન અને આફ્રિકન દેશોએ એકઠા થઈને વસાહતવાદ એટલે કે કોલોનિયાલિઝમ સામે અવાજ ઉઠાવ્યો હતો. એ પરિષદ ભૂખ્યા અને શોષિતોનો અવાજ ગણાવાયો હતો. એવી જ રીતે, 2026માં યોજાયેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ એ ઝડપથી પ્રગતિ કરી રહેલા ભારતની જ પહેલ છે. 

તો ચાલો, 1955ની ‘બાંડુંગ સમિટ’ અને 2026ની ‘AI સમિટ’ વચ્ચે ભારતે ખેડેલી વૈશ્વિક યાત્રાનું વિશ્લેષણ કરીએ.

બાંડુંગ પરિષદ: શીત યુદ્ધનો દોર અને નવા સ્વતંત્ર દેશોની મુશ્કેલી

બીજા વિશ્વયુદ્ધ પછીનો દાયકો એશિયા અને આફ્રિકામાં વસાહતવાદના પતનનો સાક્ષી બન્યો. એક પછી એક દેશ સ્વતંત્ર થઈ રહ્યા હતા, પરંતુ સદીઓના શોષણને કારણે તેમના અર્થતંત્રો તૂટીફૂટી ગયા હતા. આ નવા દેશો ગરીબી, ભૂખમરો અને અજ્ઞાનતા સામે ઝઝૂમી રહ્યા હતા. આ દરમિયાન વિશ્વ બે મહાસત્તા, અમેરિકા અને સોવિયેત સંઘ, વચ્ચે વહેંચાઈ ગયું હતું. બંને પોતાના પ્રભાવ ક્ષેત્રને વિસ્તારવા નવા દેશોને તેમની સાથે જોડવા ઉતાવળ કરી રહ્યા હતા. ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, યુગોસ્લાવિયાના જોશિપ બ્રોઝ ટીટો અને ઇન્ડોનેશિયાના સુકર્ણો જેવા નેતાઓ સમજી ગયા હતા કે કોઈપણ એક ગઠબંધનમાં જોડાવાથી તેમને મળેલું સાર્વભૌમત્વ જોખમમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચો : ઠગાઈનો મહાગુરુ ‘નટવરલાલ’, ડિજિટલ યુગ પહેલાંનો માસ્ટર માઇન્ડ જેણે તાજમહેલ, સંસદ અને લાલ કિલ્લો પણ વેચી દીધા હતા

અને પછી નંખાયો પંચશીલનો પાયો, એ શું છે?  

જૂન 1954માં નહેરુ અને ચીનના વડાપ્રધાન ચો એન-લાઈ વચ્ચે એક ઐતિહાસિક કરાર થયો, જે પંચશીલના સિદ્ધાંતો તરીકે ઓળખાયો. એમાં પાંચ સિદ્ધાંતો હતા. 

1. પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનો પરસ્પર આદર જાળવવો.

2. અનાક્રમણની નીતિ અનુસરવી.

3. એકબીજાની આંતરિક બાબતોમાં દખલ ન કરવી.

4. સમાનતા અને પરસ્પર લાભ સુનિશ્ચિત કરવા.

5. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ જાળવવું.

અમેરિકાની સંધિમાં જોડાવાનો ભારતનો ઇનકાર

વર્ષ 1954માં અમેરિકાએ દક્ષિણ-પૂર્વ એશિયામાં સામ્યવાદ વિરોધી લશ્કરી સંધિ SEATO (South East Asia Treaty Organization - દક્ષિણ-પૂર્વ એશિયા સંધિ સંસ્થા)ની રચના કરી, જેમાં જોડાવાનો ભારતે સ્પષ્ટ ઇનકાર કર્યો. નહેરુએ ઇન્ડોનેશિયાના વડાપ્રધાન સાથે મળીને એશિયન-આફ્રિકન પરિષદના આયોજનની તૈયારી શરૂ કરી દીધી. એપ્રિલ 1955માં બાંડુંગમાં આ ઐતિહાસિક પરિષદ યોજાવાની હતી.

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના 'મોહમ્મદ દીપક'ને ગળે લગાવ્યા, કહ્યું- ‘આ જ સાચી ભારતીયતા’

'કાશ્મીર પ્રિન્સેસ' વિમાન કાંડ: આતંકવાદનું કાળું પ્રકરણ

11 એપ્રિલ 1955ના રોજ ચીનના પ્રતિનિધિમંડળને બાંડુંગ લઈ જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન 'કાશ્મીર પ્રિન્સેસ'એ હોંગકોંગથી ઉડાન ભરી. દક્ષિણ ચીન સમુદ્રમાં હવામાં જ વિસ્ફોટ કરીને તે તોડી પડાયું. આ આતંકવાદી હુમલામાં 19માંથી 16 લોકો માર્યા ગયા. આ હુમલો ચીનના વડાપ્રધાન ચો એન-લાઈને મારવા માટે કરાયો હતો, જેઓ બીજા માર્ગે મુસાફરી કરી રહ્યા હોવાથી બચી ગયા. આ હુમલો તાઇવાનની ગુપ્તચર એજન્સીએ પશ્ચિમી દેશોની અન્ય ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને કરાવ્યો હોવાના અહેવાલો હતા. એ વાત સાબિત કરે છે કે, પશ્ચિમી દેશો કેટલી હદે બાંડુંગ પરિષદની વિરોધમાં હતા. 

બાંડુંગ પરિષદની સિદ્ધિઓ અને દસ સિદ્ધાંતો

બાંડુંગ પરિષદમાં 29 દેશના 340 પ્રતિનિધિએ ભાગ લીધો હતો, જે તે સમયે વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ પરિષદના અંતિમ ઘોષણાપત્રમાં દસ સિદ્ધાંતો (Ten Principles of Bandung) રજૂ કરાયા, જે સંયુક્ત રાષ્ટ્રો (UN)ના ચાર્ટર અને પંચશીલના વિચારો પરથી પ્રેરિત હતા.

1. બધા દેશોએ માનવ અધિકારો અને માનવીય ગૌરવનું સન્માન કરવું.

2. સંયુક્ત રાષ્ટ્રોના હેતુઓ અને સિદ્ધાંતોનું પાલન કરવું.

3. દરેક દેશના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું માન જાળવવું.

4. મોટા કે નાના તમામ દેશો સમાન છે.

5. એક દેશે બીજા દેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવો.

6. દરેક દેશને સ્વરક્ષણ કરવાનો અધિકાર છે.

7. સામૂહિક રક્ષણ ગઠબંધનોનો દુરુપયોગ ન કરવો.

8. એક દેશે બીજા દેશ પર દબાણ અથવા આક્રમણ ન કરવું.

9. વાટાઘાટ, મધ્યસ્થી અને કૂટનીતિ દ્વારા વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો.

10. આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક સહકાર વધારવો.

બાંડુંગ પરિષદનું ઐતિહાસિક મહત્ત્વ ઓછું નથી 

  • બાંડુંગ પરિષદે બિન-જોડાણવાદી ચળવળ (NAM - Non-Aligned Movement)નો પાયો નાખ્યો. 
  • આ પરિષદે સ્વતંત્ર દેશોમાં આત્મવિશ્વાસ જગાડ્યો અને Global South (વૈશ્વિક દક્ષિણ)ની સામૂહિક ઓળખ સ્થાપિત કરી. હા, આ શબ્દ ત્યારે જ પ્રચલિત થઈ ગયો હતો. 
  • બાંડુંગના સિદ્ધાંતો આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સમાનતા અને સ્વતંત્રતાનો અવાજ બન્યા. એ સિદ્ધાંતોને આજે પણ વિકાસશીલ દેશોની વિદેશ નીતિમાં માર્ગદર્શક મનાય છે.

આ પણ વાંચો : આતંકવાદ સામે ભારતનો 'પ્રહાર': સરકારે જાહેર કરી એન્ટિ-ટેરર પોલિસી; જેહાદી સંગઠનોની હવે ખેર નહીં

ભારતનું આર્થિક પરિવર્તન: 1955થી 2026 સુધીની સફર

  • 1955માં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં દસમા ક્રમે હતું અને માથાદીઠ આવક ₹250-270ની વચ્ચે હતી. આજે ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે અને ત્રીજા ક્રમ તરફ આગળ વધી રહ્યું છે. દેશની માથાદીઠ આવક ₹2 લાખને વટાવી ગઈ છે. 
  • સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના તાજેતરના સંશોધન અનુસાર, AI ના ક્ષેત્રમાં ભારત વિશ્વનો ત્રીજો સૌથી સ્પર્ધાત્મક દેશ છે. 
  • વૈશ્વિક સ્તરે કુલ AI નિષ્ણાતોમાંથી 16 ટકા ભારતીય મૂળના છે. 
  • જનરેટિવ AI પ્રોજેક્ટ્સમાં ભારત બીજા ક્રમે છે અને 89 ટકા ભારતીય સ્ટાર્ટ-અપ્સ AI નો ઉપયોગ કરે છે. 
  • ભારતનું AI બજાર હાલમાં ₹2 લાખ કરોડ જેટલું છે. 2033 સુધીમાં તે વધીને ₹29 લાખ કરોડ થવાનો અંદાજ છે.

AI સમિટનું ભવ્ય આયોજન અને વૈશ્વિક ઉપસ્થિતિ

ભારત મંડપમમાં આયોજિત AI સમિટમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ, 100થી વધુ વૈશ્વિક AI નેતાઓ અને 118 દેશોના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ જેવા વૈશ્વિક નેતાઓએ હાજરી આપી હતી. ઉદ્યોગ જગતમાંથી ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન, એન્થ્રોપિકના ડારિયો અમોડેઈ સહિત 600થી વધુ નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

દિલ્હી ઘોષણાપત્ર: AI ના લોકશાહીકરણનો મંત્ર

AI સમિટનું સૌથી મહત્ત્વપૂર્ણ પરિણામ 'દિલ્હી ઘોષણાપત્ર' (Delhi Declaration) રહ્યું, જેના પર અમેરિકા, ચીન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન સહિત 88 દેશ અને આંતરરાષ્ટ્રીય સંગઠને હસ્તાક્ષર કર્યા. આ ભારત માટે એક મોટી રાજદ્વારી સફળતા છે કારણ કે, ગયા વર્ષે પેરિસમાં યોજાયેલી AI સમિટમાં અમેરિકા અને બ્રિટને સમાન ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ ઘોષણાપત્રમાં માનવકેન્દ્રિત AI વિકાસ, AI સંસાધનોની વહેંચણી, AI વિકાસનો લાભ ગરીબ અને વિકાસશીલ દેશોને પણ સમાન રીતે મળે, AI સંશોધન માટે આંતરરાષ્ટ્રીય નેટવર્કની સ્થાપના, નૈતિક ધોરણોનું પાલન અને AI યુગમાં ગોપનીયતાનું રક્ષણ જેવા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. 

ભારત AI ક્ષેત્રે પણ સમાનતા પર ભાર આપે છે 

બાંડુંગ પરિષદની 70મી વર્ષગાંઠ એપ્રિલ, 2025માં હૈદરાબાદમાં યોજાયેલી 'ભારત સમિટ' દ્વારા ઉજવાઈ હતી, જેમાં એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું કે, વિશ્વ વ્યવસ્થા એવી બનાવવી જેમાં તમામ દેશોને સમાન તક, ન્યાયસંગત આર્થિક-ટેક્નોલોજિકલ પહોંચ અને નીતિનિર્ધારણમાં સમાન અવાજ મળે. 2026ની AI સમિટે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત ટેક્નોલોજી ક્ષેત્રે પણ એ જ ભૂમિકા ભજવવા માંગે છે, જે તેણે 1950ના દાયકામાં બાંડુંગ પરિષદ દ્વારા રાજકીય ક્ષેત્રે ભજવી હતી.