ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ફ્રાંસ પ્રમુખ મેક્રોને કરી અપીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India AI Impact Summit 2026: ઇન્ડિયા AI સમિટ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એક અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વના મુદ્દે વૈશ્વિક સ્તરે ભારતનો સાથ માંગ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે ભારત પણ બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી બચાવવા માટે ફ્રાન્સ જેવી કડક નીતિ અપનાવે.
15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર પ્રતિબંધની તૈયારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે, 'ફ્રાન્સ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરુ કરી રહ્યું છે. ગ્રીસ, સ્પેન અને અન્ય યુરોપિયન દેશો પણ આ પહેલમાં ભાગ લઈ રહ્યા છે, અને ભારત પણ તેમાં જોડાય તેવી અપેક્ષા છે. મને ખબર છે, વડાપ્રધાન મોદી તમે પણ આ પહેલમાં જોડાઓ છો. જો ભારત પણ બાળકો રક્ષણ માટેના આવા પગલામાં જોડાય તો તે ખૂબ જ સારા સમાચાર હશે. બાળકોનું રક્ષણ કરવું એ ફક્ત નિયમો બનાવવાની બાબત નથી, પરંતુ સભ્યતાની બાબત છે.'
ભારત માટે આ અપીલ કેમ મહત્ત્વની?
ઓસ્ટ્રેલિયા પહેલા જ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી ચૂક્યું છે. જો ભારત પણ ફ્રાન્સની આ પહેલમાં જોડાય છે, તો તે વિશ્વના સૌથી મોટા યુવા વસ્તી ધરાવતા દેશમાં સોશિયલ મીડિયાના વપરાશમાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે. મેક્રોને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પીએમ મોદી પણ બાળ સુરક્ષાના આ મહત્ત્વના પગલામાં સહમત થશે.
ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કર્યા ભારોભાર વખાણ
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ભારતના ડિજિટલ ઉત્ક્રાંતિની પ્રશંસા કરતાં કહ્યું કે, 'ભારતે એવું સિદ્ધ કર્યું છે જે વિશ્વના અન્ય કોઈ દેશે કર્યું નથી. 1.4 બિલિયન લોકો માટે ડિજિટલ ઓળખ. એક ચૂકવણી પ્રણાલી જે હવે દર મહિને 20 બિલિયલ ટ્રેન્જેક્શન પ્રોસેસ કરે છે. એક આરોગ્ય માળખા કે જેણે 500 મિલિયન ડિજિટલ આરોગ્ય ID જાહેર કર્યા છે.'
પીએમ મોદીએ 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026'નું ઉદ્ઘાટન કર્યું
ઉલ્લેખનીય છે, દિલ્હીના ભારત મંડપમ ખાતે 19 ફેબ્રુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટની થીમ 'સર્વજન હિતાય, સર્વજન સુખાય'(સૌનું કલ્યાણ, સૌની પ્રસન્નતા) રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનાવવાનો અને માનવતાના ઉત્થાન માટે AIનો ઉપયોગ કરવાનો છે.
ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીની સાથે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને વિશ્વભરના ટોચના ઉદ્યોગપતિઓએ પણ સંબોધન કર્યું હતું. આ સમિટમાં 500થી વધુ AI લીડર્સ, 100થી વધારે સરકારી પ્રતિનિધિઓ, 20થી વધુ રાષ્ટ્રાધ્યક્ષો, અંદાજે 60 મંત્રીઓ, 150થી વધુ શિક્ષણશાસ્ત્રીઓ અને સંશોધકો સહિત સેંકડો ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સે ભાગ લીધો હતો.








