Get The App

યુપીમાં સ્થિતિ કાબૂ બહાર, સવાર પડતાં જ લોકોનું ટોળું રસ્તા પર ઉતર્યું, દુકાનોમાં કરી આગચંપી

Updated: Oct 14th, 2024

GS TEAM

Google News
Google News
યુપીમાં સ્થિતિ કાબૂ બહાર, સવાર પડતાં જ લોકોનું ટોળું રસ્તા પર ઉતર્યું, દુકાનોમાં કરી આગચંપી 1 - image

Bahraich Violence: દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન ઉત્તર પ્રદેશના બહરાઈચમાં થયેલી હિંસાને લઈને જિલ્લામાં આજે પણ તણાવનો માહોલ છે. ગોળીબારમાં માર્યા ગયેલા રામગોપાલ મિશ્રાના મૃતદેહને લઈને સેંકડો લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું છે. તેઓ પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને દોષિતોની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

ઘટના સ્થળ પર ભારે પોલીસ ફોર્સ તેહનાત

પરિવારના સભ્યો અને ગ્રામજનોએ મૃતદેહને મહસી તહસીલના મુખ્યાલય પર રાખી દીધો છે. ઘટના સ્થળ પર ભારે પોલીસ ફોર્સ હાજર છે. ડીએમ, એસપીથી લઈને ડઝનબંધ અધિકારીઓ આક્રોશિત લોકોને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પરિવાર તેમની એક વાત નથી માની રહ્યું. તેમણે અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો છે. 

ફાયરિંગમાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકનું મોત

ઘટના એમ છે કે, 13 ઑક્ટોબરના રોજ સાંજે બહરાઈચના મહસી તહસીલના હરડી વિસ્તારના મહારાજગંજ નગરમાં વિશિષ્ટ સમુદાયના મહોલ્લામાંથી દુર્ગા મૂર્તિ વિસર્જન યાત્રા નીકળી રહી હતી. આરોપ છે કે આ દરમિયાન જ ડીજે વગાડવાને લઈને બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ધાબા પરથી પથ્થરમારો શરુ કરી દીધો અને વિરોધ કરવા પર ફાયરિંગ કરી દીધું, જેમાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકને ગોળી વાગી ગઈ હતી.

લોકોએ રસ્તા પર ઉતરી તોડફોડ કરી આગચંપી શરુ કરી

આ ઘટનામાં લગભગ 15થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ રામ ગોપાલ મિશ્રાને મૃત જાહેર કર્યા હતા. રામ ગોપાલના મોતના સમાચાર ફેલાતાં જ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા તોડફોડ તથા દુકાનોમાં આગચંપી શરુ કરી દીધી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે પણ બળપ્રયોગ કરવો પડ્યો હતો. મોડી રાત્રે પોસ્ટમોર્ટમ થયા બાદ આજે સવારે અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી છે.

પથ્થરમારો અને ફાયરિંગની ઘટના બાદ તણાવ યથાવત

હાલમાં પણ બહરાઈચના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના મહારાજગંજમાં દુર્ગા મૂર્તિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો અને ફાયરિંગ બાદ તણાવ યથાવત્ છે. શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ હાજર છે. ગોળીબારમાં માર્યા ગયેલા રામ ગોપાલનો મૃતદેહ સોમવારે વહેલી સવારે ગામમાં પહોંચતા જ કોહરામ મચી ગયો હતો. પરિવારના સભ્યો સાથે સેંકડો લોકો લાઠી-ડંડા સાથે રામગોપાલના મૃતદેહને લઈને તહેસીલ પરિસર તરફ ચાલ્યા ગયા. આ દરમિયાન બહરાઈચની મહિલા ડીએમ મોનિકા રાની મહિલાઓને સમજાવતા નજર આવી રહ્યા હતા. આ દરમિયાન એસપી વૃંદા શુક્લા પણ હાજર રહ્યા હતા.