Ayodhya Ramleela 2023: અયોધ્યાની રામલીલામાં થશે ફિલ્મી સ્ટાર્સનો જલવો, આ કલાકારો કરશે અભિનય
Updated: Sep 19th, 2023
- આઠ અભિનેત્રીઓ રામલીલાના મંચ પર રામાયણના પાત્રને ભજવશે અને 22થી વધુ ફિલ્મી કલાકાર વિભિન્ન પાત્ર ભજવશે
નવી દિલ્હી, તા. 19 સપ્ટેમ્બર 2023, મંગળવાર
અયોધ્યામાં યોજાનારી રામલીલામાં આ વખતે ફિલ્મી સ્ટાર્સનો જલવો જોવા મળશે. એવું લાગશે કે, રામલીલાનો મંચ નહીં પરંતુ રામાયણ આધારિત ધારાવાહિક જોઈ રહ્યા છો.
ખાસ વાત એ છે કે, આઠ અભિનેત્રીઓ રામલીલાના મંચ પર રામાયણના પાત્રને ભજવશે અને 22થી વધુ ફિલ્મી કલાકાર વિભિન્ન પાત્ર ભજવશે.
તેમાં પૂનમ ઢિલ્લો (મા શબરી), ગજેન્દ્ર ચૌહાણ (રાજા જનક), રઝા મુરાદ (અહિરાવણ), રાકેશ બેદી (વિભીષણ), ગિરિજા શંકર (રાવણ), અનિલ ધવન (ઈન્દ્રદેવ), રવિ કિશન (કેવટ), વરૂણ સાગર (હનુમાન), સુનિલ પાલ (નારદ મુનિ), રાહુલ ભુચર (શ્રી રામ), લીલી સિંહ (માતા સીતા), જિયા (કૈકેયી), ભાગ્યશ્રી (વેદમતી) સહિત અન્ય છે. આમાંથી ઘણા કલાકારો એવા છે જેમણે ગત વર્ષે પણ આ રામલીલામાં અભિનય કર્યો હતો.
આ અંગે રામલીલાના અધ્યક્ષ સુભાષ માલિક અને મહાસચિવ શુભમ મલિકે જણાવ્યું કે, આ વર્ષે રામલીલા આયોજનનો આ ચોથી વખતનું પ્રદર્શન હશે.
તેમણે જણાવ્યું કે, અયોધ્યાની રામલીલા 14 ઓક્ટોબરથી 24 ઓક્ટોબરના રોજ સાંજે 7:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી અયોધ્યામાં રામ કથા પાર્કમાં આયોજિત કરવામાં આવશે. આ અવસર પર બોલીવુડ અભિનેતા રાહુલ ભૂચરે કહ્યું કે, તેમને એ વાતની વિશેષ ખુશી છે કે, તેઓ અયોધ્યાની રામલીલામાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યા છે.