અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દાન
Ayodhya Ram Darbar: આજે અયોધ્યામાં રામ મંદિરમાં રામ દરબાર અને સંકુલના 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ દરમિયાન રામ મંદિરના પહેલા માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા અભિજિત મુહૂર્તમાં કરાઈ છે, જેની પહેલી તસવીર સામે આવી છે. રામ દરબારમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, માતા જાનકી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. આ પ્રસંગે દેશભરના લોકોએ રામ મંદિરમાં જાતભાતનું દાન આપ્યું હતું, જેમાં ગુજરાતના પણ અનેક લોકો સામેલ છે.
સુરતના ઉદ્યોગપતિએ કર્યું ઘરેણાનું દાન
આ પ્રસંગે સુરતના એક હીરાના વેપારીએ પણ રામ મંદિરને સોના-ચાંદીના હીરાજડિત આભૂષણો તેમજ ભગવાનના શસ્ત્રોની ભેટ આપી છે. આ આભૂષણો બનાવવાનું કામ કતાર ગામના એક જ્વેલર્સ દ્વારા પૂર્ણ કરાયું છે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેશભરમાંથી લોકો રામ મંદિર ઉમટી પડ્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નેવાડિયાએ જણાવ્યું હતું કે, 'દાનમાં મળેલા અન્ય ઘરેણાંમાં 1000 કેરેટનો હીરો, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, 300 કેરેટ રૂબીથી બનેલા 11 મુગટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભગવાન રામ સહિત ચારેય ભાઈ માટે હાર, બુટ્ટી, તિલક, ધનુષ્ય અને તીર પણ છે. આ ઘરેણાં ચાર્ટર્ડ પ્લેન દ્વારા અયોધ્યા લાવવામાં આવ્યા હતા.
101 વૈદિક આચાર્યો દ્વારા કરાયા મંત્રોચ્ચાર
રામ દરબાર રામલલાના ગર્ભગૃહની ઉપર એટલે કે પહેલા માળે બનાવાયો છે. કાશીના પૂજારી જય પ્રકાશ ત્રિપાઠીએ 101 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કર્યા પછી, મૂર્તિઓ પર બાંધેલી આંખો પર પટ્ટી ખોલવામાં આવી હતી અને તેમને અરીસો બતાવવામાં આવ્યો હતો. ભગવાન રામ ગર્ભગૃહમાં બાળકના રૂપમાં છે, જ્યારે તેઓ રામ દરબારમાં રાજા તરીકે બિરાજમાન છે. ભક્તો ક્યારે રામ દરબારના દર્શન કરી શકશે તે અંગે ટ્રસ્ટે હજુ સુધી કોઈ માહિતી આપી નથી.
રામ મંદિરમાં પહેલા માળે રામ દરબાર સ્થાપિત
રામ દરબાર મંદિરના પહેલા માળે છે. તેનું કોતરકામ પણ ગર્ભગૃહની જેમ કરવામાં આવ્યું છે. રામ દરબારનું નિર્માણ રામ મંદિરમાં પહેલા માળે કરવામાં આવ્યું છે. આ મંદિરનું નકશીકામ પણ ગર્ભગૃહની જેમ કરવામાં આવ્યું છે. તેમજ જયપુરમાં રામ દરબારની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિઓ મકરાણાના સફેદ આરસપહાણમાંથી બનાવવામાં આવી છે.
રામ દરબાર ઉપરાંત, મંદિરના ભોંયતળિયે બનેલા 6 મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેમાં ભગવાન શિવ, શ્રી ગણેશ, હનુમાન, સૂર્ય ભગવાન, મા ભગવતી, મા અન્નપૂર્ણાની મૂર્તિઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જોડાઈ જશે શશી થરુર? અમેરિકાથી દિગ્ગજે આપ્યો જવાબ
ટ્રસ્ટના અધિકારીઓ અને સંતોને આપવામાં આવ્યું હતું આમંત્રણ
ગયા વર્ષે, રામલલાના અભિષેક માટે દેશભરના મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આજે, રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા માટે 350 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાંથી મોટાભાગના ટ્રસ્ટના અધિકારીઓ અને સંતો છે.