રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી શકે છે રાહુલ ગાંધી, ટીમના સભ્યો આચાર્યને મળ્યા બાદ ચર્ચા શરુ
રાહુલ ગાંધીના મુખ્ય સલાહકારે ગઈકાલે શ્રી રામ જન્મભૂમિની મુલકાત લીધી હતી
Updated: Sep 26th, 2023
Ayodhya : શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની તૈયારી શરૂ કરી દીધી છે અને અગાઉ તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. 2024ના જાન્યુઆરી મહિનાની 21, 22 અને 23 તારીખે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. એવામાં માહિતી મળી રહી છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ નજીકના સમયમાં રામલલાના દર્શન કરવા માટે જઈ શકે છે. ગઈકાલે રાહુલ ગાંધીના મુખ્ય સલાહકાર અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનના CEO વિજય મહાજનની અયોધ્યાની ગુપ્ત મુલાકાતથી આ શક્યતા ચર્ચામાં આવી છે. આ યાત્રા દરમિયાન તેમણે કેટલાક સંતો અને રામજન્મભૂમિના મુખ્ય આચાર્ય સત્યેન્દ્રદાસને મળવા માટે રામઘાટ સ્થિત તેમના આશ્રમ પહોંચ્યા હતા.
જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ભવ્ય કાર્યક્રમ
જો રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની ચર્ચા કરવામાં આવે તો ટ્રસ્ટના મહાસચિવ સંપત રાયે જણાવ્યું હતું કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાધુ સંતો અને મહાનુભાવોને આમંત્રણ આપવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં 21થી 23 દરમિયાન યોજાશે.
આ કાર્યક્રમને રાજકારણથી અલગ રખાશે
તેમણે કહ્યું હતું કે, કાર્યક્રમ રાજકારણથી પર રહેશે. તમામ પક્ષોના નેતાઓને પણ યોગ્ય સન્માન સાથે આમંત્રણ અપાશે. કાર્યક્રમમાં કોઈ મંચ નહીં હોય. કોઈ સાર્વજનિક બેઠકનું આયોજન થશે નહીં. માત્ર ધાર્મિક વિધિવિધાનથી ભગવાન શ્રીરામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.