India

VIDEO: 'સપાએ રામભક્તો પર ગોળીઓ ચલાવી, અમે દીપ પ્રગટાવ્યા', દીપોત્સવમાં બોલ્યા CM યોગી

By GS TEAM
19 Oct 20253 mins read
TukuTouch Logo
રામનગરી અયોધ્યામાં રવિવારે (19 ઓક્ટોબર) ઐતિહાસિક દીપોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. રામ કી પૈડી સહિત સરયૂ તટે બનેલા 56 ઘાટ પર 28 લાખથી વધુ દીવડા સજાવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 'સપાએ રામભક્તો પર ગોળીઓ ચલાવી, અમે દીપ પ્રગટાવ્યા', દીપોત્સવમાં બોલ્યા CM યોગી

Image Source: CM Yogi/X
Ayodhya Deepotsav 2025: રામનગરી અયોધ્યામાં રવિવારે (19 ઓક્ટોબર) ઐતિહાસિક દીપોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. રામ કી પૈડી સહિત સરયૂ તટે બનેલા 56 ઘાટ પર 28 લાખથી વધુ દીવડા સજાવાયા છે. જેમાં 26 લાખ 11 હજાર 101 દીવડાઓ પ્રગટાવીને ઈતિહાસ રચવાનો લક્ષ્ય રખાયો છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ ત્યાં હાજર છે. સૂર્યાસ્ત થતા જ દીવડા પ્રગટાવી દેવાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સંબોધનની શરૂઆત દીપોત્સવની શુભકામાઓ સાથે કરી છે. મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં હાજર તમામ સંતો, ધર્માચાર્યો અને શ્રદ્ધાળુઓનું સ્વાગત કર્યું.


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, 'હું તમામ લોકોને દીપોત્સવની હાર્દિક શુભકામનાઓ આપું છું અને અહીં તમામ સંતો અને અતિથિઓનું સ્વાગત કરું છું. અયોધ્યા તે નગરી છે જ્યાં ધર્મએ માનવ રૂપે અવતાર લીધો, જ્યાં ભગવાન રામ સર્વત્ર છે. જ્યારે આપણે 2017માં અયોધ્યામાં પહેલો દીપોત્સવ મનાવ્યો હતો, તો અમારું એક માત્ર લક્ષ્ય દુનિયાને એ બતાવવાનું હતું કે જ્યારે આખી દુનિયા અંધકારનો સામનો કરી રહી હતી, ત્યારે અયોધ્યાએ ભગવાન રામનું સ્વાગત કેવી રીતે કર્યું.'


'આ દીવડા 500 વર્ષના સંઘર્ષ બાદના વિશ્વાસની જીત છે'

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, '2017માં આપણે પ્રગટાવવા માટે દીવડાઓ ઓછા પડી ગયા હતા. અમને અયોધ્યામાં માત્ર 25 હજાર માટીના દીવડા મળ્યા. અમે લોકોને અપીલ કરી અને માત્ર 51 હજાર મળ્યા. આજે, આખા ભારતના સંકલ્પ રૂપે અયોધ્યામાં લાખો દીવડાઓ પ્રગટાવાયા છે. આ માત્ર દીવડા નથી, પરંતુ અપમાન, અહંકાર અને 500 વર્ષના સંઘર્ષ બાદ વિશ્વાસની જીત છે.'


'સત્ય પરેશાન હોય શકે, પરાજિત નહીં'

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, '2017માં ભગવાન રામ એક તંબૂમાં હતા અને આજે તેઓ એક ભવ્ય મંદિરમાં વિરાજમાન છે. દરેક દીપ આપણને એ યાદ અપાવે છે કે સત્ય પરેશાન હોય શકે છે, પરંતુ પરાજિત ન હોય શકે. સત્યની નિયતિ હોય છે વિજય થવાની. વિજય થવાની તે નિયતિની સાથે સનાતન ધર્મ સતત 500 વર્ષ સુધી સંઘર્ષ કરતો રહ્યો. તે સંઘર્ષોના પરિણામ રૂપે અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થયું.'

'તેમણે ગોળીઓ ચલાવી, અમે દીપ પ્રગટાવ્યા'

મુખ્યમંત્રી યોગીએ અયોધ્યા દીપોત્સવના પ્રસંગે પોતાના સંબોધનમાં નામ લીધા વગર સમાજવાદી પાર્ટ અને કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, 'જે લોકો રામ ભક્તો પર ગોલીઓ ચલાવે છે તેઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં નથી આવતા. તેમણે અયોધ્યામાં રામ મંદિર ના બને તેના માટે વિઘ્નો ઉભા કર્યા. તેમણે ગોળીઓ ચલાવી, અમે દીવડા પ્રગટાવી રહ્યા છીએ. તેમણે અયોધ્યાને ફૈઝાબાદ બનાવ્યું હતું, અમે ફરીથી અયોધ્યા બનાવી દીધું.'

જણાવી દઈએ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પુષ્પક વિમાન રૂપે હેલિકોપ્ટરથી રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના સ્વરૂપોનોના રામકથા પાર્ક હેલીપેડ પર સ્વાગત કર્યું. અહીં રામ જાનકીની વંદનાની સાથે ભરત મિલાપ પણ થયો. મુખ્યમંત્રી યોગીએ રામકથા પાર્કના મંચ પર શ્રીરામનું રાજ તિલક કર્યું. શ્રીરામ રાજ્યાભિષેક સમારોહ દરમિયાન રામકથા પાર્ક જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યો.