Get The App

અયોધ્યા દીપોત્સવઃ 36000 લીટર તેલ, 12 હજાર વોલેન્ટિયર્સ... 12 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી

Updated: Nov 3rd, 2021

GS TEAM

Google News
Google News
અયોધ્યા દીપોત્સવઃ 36000 લીટર તેલ, 12 હજાર વોલેન્ટિયર્સ... 12 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી 1 - image

- બસ્તી જનપદના મખોડા ધામ સહિત 84 કોસી પરિક્રમાની અંદર આવતા અનેક સ્થળે પણ દીવડા પ્રગટાવવામાં આવશે

નવી દિલ્હી, તા. 03 નવેમ્બર, 2021, બુધવાર

ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર બની તે સાથે જ 2017માં અયોધ્યા ખાતે રામ કી પૌડી પર દીપોત્સવ કાર્યક્રમની શરૂઆત થઈ. સૌથી પહેલા આશરે 1,80,000 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. તે જ રીતે 2018ના વર્ષમાં 3,01,152 અને ત્યાર બાદ 2019માં 5 લાખ 50 હજાર અને 2020માં 5 લાખ 51 હજાર. હવે 2021માં યોગી સરકારના આ કાર્યકાળના અંતિમ વર્ષમાં અયોધ્યા પોતાના તમામ પાછલા રેકોર્ડ તોડશે અને એક એવો કીર્તિમાન સ્થાપિત કરશે જે એક મોટા પડકાર સમાન હશે. 

અયોધ્યામાં રામ કી પૌડી ખાતે આ વર્ષે આશરે 9 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝની ટીમ તેની ગણતરી કરશે. બાકી અયોધ્યામાં 3 લાખ દીવડા પ્રજ્વલિત થશે અને આ રીતે બધા મળીને કુલ 12 લાખ દીવડા પ્રજ્વલિત થશે. 

અયોધ્યામાં બુધવારે ભવ્ય કાર્યક્રમોનું આયોજન થશે. સવારે 10:00 વાગ્યે ભગવાન રામની શોભા યાત્રા અને ઝાંખીઓ કાઢવામાં આવશે. તે સાકેત મહાવિદ્યાલયથી શરૂ થઈને રામકથા પાર્ક પહોંચશે. તેમાં કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી પણ સામેલ થશે. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ દરમિયાન ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા રામ-સીતાનું આગમન થશે, ભરત મિલાપ અને રામાયણ ચિત્ર પ્રદર્શનીનું પણ ઉદ્ઘાટન થશે. 

અયોધ્યામાં આ વર્ષે દીપ પ્રાગટ્યની સંખ્યા ગત વર્ષની તુલનાએ ખૂબ જ વધારે છે. માત્ર રામ કી પૌડી પર જ આશરે 9 લાખ દીપક પ્રગટાવવામાં આવશે. રામ જન્મભૂમિ પરિસરમાં 51,000 દીપક પ્રગટાવવામાં આવશે, અયોધ્યાના પ્રાચીન મંદિરો અને સ્થળોએ 3 લાખ કરતા પણ વધારે દીવડા પ્રગટાવવામાં આવશે. તે સિવાય અયોધ્યાની 14 કોસી પરિક્રમાની અંદર લગભગ તમામ પૌરાણિક સ્થળો, કુણ્ડો, મંદિરો ખાતે દીવડા પ્રગટાવવામાં આવશે. એટલું જ નહીં, અયોધ્યા સિવાય બસ્તી જનપદના મખોડા ધામ સહિત 84 કોસી પરિક્રમાની અંદર આવતા અનેક સ્થળે પણ દીવડા પ્રગટાવવામાં આવશે. મખૌડા ધામ એ જ સ્થળ છે જ્યાં મહારાજા દશરથે પુત્રેષ્ટ યજ્ઞ કરાવ્યો હતો. ત્યાર બાદ મહારાજા દશરથના ઘરે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો હતો.

લાખો બાળકોની નિસ્વાર્થ મહેનત

અયોધ્યામાં રામ કી પૌડી હોય કે પછી રામ જન્મભૂમિ પરિસર, જ્યારે દીવડાઓની રોશની જોવા મળશે ત્યારે અનેક બાળકોના ચહેરા પર પણ ખુશી જોવા મળશે. હકીકતે તે બાળકોએ જ આ દીપોત્સવ માટે આકરી મહેનત કરી છે. દીપોત્સવમાં આ વખતે 45 સ્વયંસેવી સહાયતાના લોકો ઉપરાંત 15 મહાવિદ્યાલય, 5 કોલેજ, 35 રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ વોલેન્ટિયર તરીકે પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેની કુલ સંખ્યા 12 હજાર જેટલી છે. આ તમામ દીવડાઓને પ્રગટાવવા માટે 36,000 લીટર સરસિયાનો ઉપયોગ કરવામાં આવશે. તેમને 32 ટીમોમાં અલગ અલગ કરવામાં આવ્યા છે. રામ મનોહર લોહિયા અવધ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર શૈલેન્દ્ર વર્માને તેના નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે.