Get The App

યુદ્ધને કારણે ઓઈલ-ગેસની કટોકટી વચ્ચે ઓસ્ટ્રેલિયા-કેનેડાએ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધને કારણે ઓઈલ-ગેસની કટોકટી વચ્ચે ઓસ્ટ્રેલિયા-કેનેડાએ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો 1 - image

Iran vs Israel-USA War effect : મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે ઈરાને દુનિયાના ક્રૂડ ઓઈલના પૂરવઠાની સૌથી મોટી સપ્લાય ચેઈન હોર્મુઝની ખાડીમાં ગેસ અને ઓઈલ ટેન્કરોના પરીવહન પર પ્રતિબંધ મૂકી દેતાં દુનિયામાં ઓઈલ કટોકટી સર્જાઈ છે. આવા સમયે ભારતમાં ક્રૂડ ઓઈલ કરતાં ગેસ પુરવઠાની અછત સર્જાઈ શકે છે. જોકે, હવે ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ભારતને વધારાનો ગેસ પૂરો પાડવા તૈયારી બતાવી છે. એટલું જ નહીં ભારતે તેના ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદીના સ્રોત વધાર્યા છે. બીજીબાજુ ભારતે ૧૧ મહિનામાં જ બીજી વખત રાંધણ ગેસના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે.

મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન સામે સંયુક્ત યુદ્ધના પગલે દુનિયભારમાં ઊર્જા કટોકટીની આશંકા પ્રવર્તી રહી છે. આવા સમયે ભારતે પણ તેના વૈકલ્પિક ઊર્જા સ્રોતો મારફત તેની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાનું વલણ અપનાવ્યું છે. આ સંજોગોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અન્ય કેટલાક દેશોએ ભારતને વધારાનો ગેસ પુરવઠો ઓફર કર્યો છે તેમ સરકારી સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું.

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી હોવાની બાબતને ટાંકીને સરકારી સૂત્રોએ કહ્યું કે, ભારત માટે તેની ક્રૂડ આયાતો માટે આ જ એકમાત્ર માર્ગ નથી. તેમણે ખાતરી આપી કે એક જ જળમાર્ગે પર ભારતની નિર્ભરતાનો સમય પૂરો થઈ ગયો છે.

ભારતે તેની ઊર્જા સુરક્ષા માટે અનેક વિવિધ સ્રોતો પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદીના વિકલ્પો ઘણા સમય પહેલા જ અપનાવી લીધા હતા. ભારત હાલમાં રશિયા, પશ્ચિમ આફ્રિકા, અમેરિકા, મધ્ય એશિયા અને નોન ગલ્ફ મીડલ ઈસ્ટર્ન માર્ગોથી ઊર્જા સંશાધનોની આયાત કરે છે. આથી કોઈ એક કોરીડોરમાં વિક્ષેપથી પુરવઠો ખોરવાતો નથી. 

ભારતે છેલ્લા ૧૦ વર્ષમાં તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતો માટેના સ્રોત ૨૭ દેશોથી વધારીને ૪૦ દેશ કરી નાંખ્યા છે, જે છ ખંડોમાં ફેલાયેલા છે. આથી મધ્ય-પૂર્વના યુદ્ધની ભારતની ઊર્જા સુરક્ષા પર ગંભીર અસર નહીં થાય અને ભારતમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નહીં સર્જાય.

ભારતની માત્ર ૪૦ ટકા ક્રૂડ આયાતો હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે જ્યારે બાકીની ૬૦ ટકા જરૂરિયાતો અન્ય માર્ગો પરથી આવે છે, જેના પર આ યુદ્ધની કોઈ અસર પડી નથી. ભારત તેની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે વૈકલ્પિક સંશાધનોની શોધ ચાલુ રાખશે.