મણિપુરમાં કોન્ટ્રાક્ટ કિલિંગથી શાંતિ ડોળવા પ્રયાસ, 15 ઉગ્રવાદી ઝડપાયા

ઉગ્રવાદી સંગઠન પીએલએ ફરી સક્રિય
રાષ્ટ્રપતિ શાસનમાં ખલેલ પહોંચાડવા તાજેતરમાં આસામ રાઇફલ્સના કાફલા પર હુમલો થયો હોવાની શંકા
૧૯મી સપ્ટેમ્બરના રોજ આસામ રાઇફલ્સના બે જવાનો શહીદ થયા હતા, આ હુમલો ઘાટીના પ્રતિબંધિત સંગઠન પીએલએ દ્વારા કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. જોકે સંગઠને હુમલાની જવાબદારી નહોતી લીધી. એવા પણ અહેવાલો છે કે પીએલએના ટોચના નેતાઓ આ હુમલાથી અજાણ રહ્યા અથવા મંજૂરી નહીં આપી હોય તેથી જ હુમલાની જવાબદારી સંગઠન દ્વારા સ્વીકારવામાં નથી આવી તેવું વર્ષો બાદ પ્રથમ વખત જોવા મળ્યું.
જોકે આ હુમલાને પગલે બાદમાં સુરક્ષાદળોએ પીએલએ સામે મોટાપાયે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને અત્યાર સુધીમાં ૧૫ જેટલા ઉગ્રવાદીઓને ઝડપી પાડયા છે. જેમાં થોંગરામ સદાનંદ, ખોદરામ ઓજિત, કૈલાલ વગેરે શંકાસ્પદોનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ સુરક્ષાદળોએ પોલીસ પાસેથી ચોરાયેલા છ હથિયારો પણ જપ્ત કર્યા હતા. પીએલએને કોઇ રાજકીય પક્ષ દ્વારા સમર્થન મળી રહ્યું છે કે કેમ તેની પણ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ શાસનને અસર પહોંચાડવાના ઇરાદાથી પણ આ હુમલા કરવામાં આવ્યા હોવાની એજન્સીઓને શંકા છે. પીએલએ મણિપુરને આઝાદ કરાવી મૈતેઇ શાસનની માગ કરી રહ્યું છે.









