પહેલાં તો બધા હિન્દુઓ : ધર્માંતર કરી મુસ્લિમ બન્યા : કાશ્મીરની ભૂમિ પર ગુલામનબી આઝાદનું કથન
- આ વીડિઓ વાઇરલ થઈ રહ્યો છે
- આઝાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, લાંબા સમય સુધી પક્ષમાં વિવિધ હોદ્દા પર રહ્યા : ગત વર્ષે કોંગ્રેસ છોડી પોતાની પાર્ટી રચી
ડોડા (જમ્મુ-કાશ્મીર) : પૂર્વ કોંગ્રેસી નેતા, અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના સ્થાપક પ્રમુખ ગુલાબ નબી આઝાદ હિન્દૂ ધર્મ ઉપર એક મહત્ત્વની વાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં ડોડામાં યોજાયેલી એક જાહેર સભાને સંબોધન કરતા તેઓએ કહ્યું હતું કે કાશ્મીરમાં તમામ મુસ્લીમો હિન્દૂ-ધર્મમાંથી કન્વર્ટ થઈ મુસ્લીમ બન્યા છે. બહારથી થોડા લોકો આવ્યા હશે બાકીના બીજા બધા તો મૂળ હિન્દૂ જ હતા. વિશેષત: કાશ્મીર અંગે બોલતાં તેઓએ કહ્યું કે આજથી ૬૦૦ વર્ષ પૂર્વે કોઈ મુસલમાન અહીં ન હતો. માત્ર કાશ્મીરી પંડિતો જ હતા, તે સર્વેને ધર્માંતરિત કરી મુસલમાન બનાવી દેવામાં આવ્યાં. આપણે બહારથી આવ્યા નથી, આપણે આ માટીમાંથી જ પેદા થયા છીએ, આપણે આ માટીમાં જ મળી જવાનું છે.
ઉલ્લેખનીય છે કે, આઝાદ તે ગુલાબ નબીની અટક નથી. તે તેઓના પિતાશ્રીના સમયથી સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે, સ્વીકારેલી અટક છે. ગુલાબ નબીની મૂળ અટક તો દેવ છે. સાથે તે પણ ઉલ્લેખનીય છે કે આઝાદે આ કથન ૯મી ઓગસ્ટે આપ્યું હતું. પરંતુ તેનો વિડીયો હમણાં જ વાયરલ થયો છે. આ પૂર્વે જેએનયુ છાત્ર-સંઘના નેતા શહલા રશિદે જમ્મુ-કાશ્મીરમાં થયેલા વિકાસ માટે નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરી હતી.
૯મી ઓગસ્ટે તૈયાર થયેલા આ વિડીયોમાં આઝાદ તેવું કહેતા સંભળાય છે કે આપણે હિન્દૂ-મુસલમાન, બ્રાહ્મણ કે દલિત તેવા તમામ કાશ્મીરીઓએ સાથે મળી આ ઘર બનાવવાનું છે...આ આપણું ઘર છે. અહીં કોઈ બહારથી આવ્યા નથી. આપણે આ માટીમાંથી જ પેદા થયાં છીએ, આ માટીમાં જ મળી જવાનું છે. હું પાર્લામેન્ટમાં છું અને ઘણી બધી સારી ચીજો, આપણા સુધી પહોંચતી નથી.
અહીં ઈસ્લામ ધર્મ આવ્યો છે, પંદરસો સાલ પહેલાં પરંતુ હિન્દૂ ધર્મ તો ઘણો પ્રાચીન છે. થોડા બહારથી આવ્યા હશે. ૧૦-૨૦ ટકા બાકી તો બીજા બધા કન્વર્ટ છે. જેઓ મુઘલ સમયમાં તેની ફોજમાં ગયા.
તે સર્વવિદિત છે કે, એક સમયે તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પૈકીના એક હતા તેઓ પક્ષમાં પણ વિવિધ હોદ્દાઓ ઉપર હતા. તેઓ રાજ્યના મુખ્યમંત્રી પણ હતા, ગુલામ નબી જ્યારે રાજ્ય સભામાંથી નિવૃત્ત થયા ત્યારે તેઓની પ્રશંસા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતા.