'કોંગ્રેસે AAPને દગો કર્યો', ગુજરાતની પેટા ચૂંટણી મુદ્દે કેજરીવાલ અને ગોપાલ ઈટાલિયાનું નિવેદન
Kejriwal-Italia statement On Congress : ગુજરાત અને પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ને બે વિધાનસભાની બે બેઠકો પર જીત થતાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ ભાજપનો વિકલ્પ નથી, પણ તેના ખોળામાં બેઠી છે. કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ ભાજપ સાથે મળેલુ છે. AAPના સંયોજકે આરોપ લગાવ્યો કે, ગુજરાતમાં કોંગ્રેસે તેમની પાર્ટીને દગો આપ્યો છે. તેમણે જમાવ્યું કે, બંને પક્ષ વચ્ચે પેટાચૂંટણીને લઈને સમજૂતી થઈ હતી, જેનો કોંગ્રેસે પાલન ન કર્યું.
કેજરીવાલે શું કહ્યું?
ગુજરાતની વિસાવદર અને પંજાબની લુધિયાણાની પશ્ચિમ વિધાનસભાની પેટાચૂંટણીમાં AAPને જીત મળી છે, ત્યારે પાર્ટીના બેવડા વિજયની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં કેજરીવાલે સંબોધન આપ્યું હતું. ગુજરાતમાં કોંગ્રેસ સાથે થયેલી સમજૂતીની વાત કરતાં કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ તેમના પાંચ ધારાસભ્ય ભાજપમાં જતા રહ્યા હતા અને AAPના એક ધારાસભ્યે પણ આવું કર્યું હતું. જેને લઈને બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ હતી.
કેજરીવાલે કહ્યું કે, 'કોંગ્રેસે કહેલુ કે જે પાંચ બેઠક પર તેમના ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા, તેના પર AAP ચૂંટણી ન લડે અને જે બેઠક પર AAPના ધારાસભ્યે ભાજપમાં જોડાયા તે બેઠક પર કોંગ્રેસ ચૂંટણી નહી લડે. જ્યારે ગત વર્ષે આ પાંચ બેઠકો પર ચૂંટણી થઈ અને જેમાં AAPએ એકપણ બેઠક પર ચૂંટણી લડી ન હતી. જ્યારે AAPની બેઠક પર આ વર્ષે ચૂંટણી થઈ, જેમાં ભાજપના આદેશ આવવાથી કોંગ્રેસ ચૂંટણી લડવાની ના પાડી શકી નહી. કોંગ્રેસ AAP સાથે દગો કર્યો અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.'
'કોંગ્રેસ ભાજપ સાથે છે...'
કેજરીવારે આરોપ લગાવતા કહ્યું કે, 'દેશની સૌથી જૂની પાર્ટીનું ટોચનું નેતૃત્વ ભાજપ સાથે ગઠબંધનમાં છે. તેઓએ અમને હરાવવા માટે પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશને કોંગ્રેસ પાસેથી કોઈ અપેક્ષા નથી. કોંગ્રેસ ભાજપ સાથે છે. કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ અમારી સાથે ગઠબંધનમાં છે. હું આ વાત સંપૂર્ણ જવાબદારી સાથે કહી શકું છું. આના પૂરા પુરાવા છે. અમે તે પાંચ બેઠકો છોડી દીધી હતી, પરંતુ તેમ પણ તે હારી ગયા. તેમણે લડવા છતાં અમે જીત્યા.'
ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?
બીજી તરફ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, 'કોંગ્રેસના પાંચ અને અમારા એક ધારાસભ્યે પાર્ટી બદલી. પાંચ પર ચૂંટણી થઈ પરંતુ અમારી બેઠક પર ચૂંટણી ન થઈ. જ્યારે 6 બેઠક પર ચૂંટણી આવવાની હતી. કોંગ્રેસ સાથે અમારી સમજૂતી થઈ હતી કે, અમે કોંગ્રેસની બેઠકો પર ઉમેદવારોને નહી ઉતારીએ અને અમે તેમની પાંચ બેઠક પર ઉમેદવારો ન ઉતાર્યા. પરંતુ તેમણે અમારી બેઠક પર ઉમેદવાર ઉતાર્યા. ગઈ વખતે કોંગ્રેસને 18000 મત મળ્યા, જ્યારે આ વખતે 5000 મત મળ્યા. પરંતુ અમારા મત વધુ રહ્યા.'