એપલે સરકારનો આદેશ માનવાનો કર્યો ઈનકાર! 'સંચાર સાથી' એપ મુદ્દે વિવાદ વધવાના એંધાણ

Apple To Protest Sanchar Saathi App: ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા એક નવો આદેશ આપવામાં આવ્યો છે કે ભારતના દરેક નવા મોબાઇલમાં હવે ‘સંચાર સાથી’ એપ્લિકેશન પહેલેથી ઇન્સ્ટોલ હોવી જોઈએ. આ આદેશનો વિપક્ષ વાંધો ઉઠાવી રહ્યાં છે અને એને પેગાસસની સાથે પણ સરખાવી રહ્યાં છે. જોકે આ તમામની વચ્ચે અમેરિકાની કંપની એપલ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ એપ્લિકેશનને ડિલીટ નહીં કરી શકાય એ વાતે જોર પકડતાં ટેલિકોમ મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે યુઝર જ્યારે ઇચ્છે ત્યારે આ એપ્લિકેશનને કાઢી શકશે.
એપલ દ્વારા કરવામાં આવશે વિરોધ
એપલ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવશે એવી ચર્ચા છે. હાલમાં વિપક્ષ દ્વારા સર્વેલન્સનો મુદ્દો ખૂબ જ ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમની સાથે એપલને પણ આ વાતની ચિંતા છે અને એથી જ તેઓ આ આદેશનું પાલન નહીં કરે એવી તૈયારી ચાલી રહી છે. તેઓ આ વિશે બહુ જલદી સરકારને જવાબ આપશે એવી ચર્ચા છે. એપલને સર્વેલન્સનો ડર છે અને તેમના યુઝરની પ્રાઇવસી તેમની જવાબદારી હોવાથી તેઓ આ વિશે સરકારને જણાવશે. એપલ દુનિયાભરના કોઈ પણ દેશમાં આ પ્રકારના આદેશનો સ્વીકાર નથી કરતી. જો એપલ આ માટે સહમતી ભરે તો iOSની ઇકોસિસ્ટમમાં ઘણી પ્રાઇવસી અને સિક્યોરિટીમાં ખામીઓ આવી શકે છે. આ એપ્લિકેશનની મદદથી હેકર્સ ફોનને હેક કરી શકે છે કારણ કે આ એપ્લિકેશન એપલની નથી એથી એ કેટલી સિક્યોર છે એ વિશે એપલ કોઈ જવાબદારી નહીં લઈ શકે. આ વિશે હજી સુધી એપલ અને ટેલિકોમ મિનિસ્ટ્રી દ્વારા કોઈ જવાબ આપવામાં નથી આવ્યો.
કંપનીઓને છુપી રીતે આપવામાં આવી હતી નોટિસ
એવી ચર્ચા છે કે સરકાર દ્વારા એપલ, સેમસંગ અને શાઓમી જેવી કંપનીઓને ચોરી છૂપે આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ 90 દિવસની અંદર આ આદેશનું પાલન કરીને તેમના મોબાઇલમાં સંચાર સાથી એપ્લિકેશન ડાઉનલોડ કરે. આ એપ્લિકેશનનો હેતુ ચોરી થયેલા ફોનને શોધવાનો, એને બ્લોક કરવો અને એનો ખોટી રીતે ઉપયોગ થતો અટકાવવું છે. સરકાર હાલમાં એ ઇચ્છી રહી છે કે આ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ નહીં કરી શકાય. જોકે કોઈ કંપની એ માટે તૈયાર થાય એવી શક્યતા ઓછી છે. જોકે એપલ વિરોધ કરશે એવી ચર્ચા છે, પરંતુ એ ખુલીને ક્યારે સ્ટેટમેન્ટ દ્વારા જાહેર કરે એની રાહ જોવામાં આવી રહી છે. તેમ જ એપલ બાદ અન્ય કોઈ કંપનીઓ પણ એનો વિરોધ કરે કે નહીં એ જોવું રહ્યું.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું કહ્યું?
કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, 'આ એપના આધારે કોઈ જાસૂસી કે કોલ મોનિટરિંગ નથી થવાનું. જો તમે ઇચ્છો તો તેને એક્ટિવ રાખી શકો છે. યુઝરની ઇચ્છા ન હોય તો એને ઇનએક્ટિવ રાખી શકે છે. યુઝર એને ફોનમાં રાખવા માગતા હોય તો રાખી શકે છે અને જો ન રાખવા માગતા હોય તો તેને કાઢી શકાય છે. એમાં કોઈ સમસ્યા નથી. આ ગ્રાહકની સુરક્ષાની વાત છે. જો તમે તેને કાઢી નાખવા માંગતા હો, તો તમે તેને કાઢી શકો છો. તે ફરજિયાત નથી. જો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવા માંગતા હો, તો તેના પર રજિસ્ટર્ડ ન કરતા. પરંતુ દેશમાં દરેકને ખબર નથી કે આ એપ્લિકેશન ચોરી અને છેતરપિંડી સામે રક્ષણ આપવા માટે છે. આ એપ્લિકેશન દરેકને ઉપલબ્ધ કરાવવાની અમારી જવાબદારી છે. જો તમે તેને કાઢી નાખવા માંગતા હો, તો તેને કાઢી નાખો.’

