પાકિસ્તાનનું એક વધુ દુસ્સાહસ : ભારતીય સીમા પાસે ટેન્કો ઊભી રાખી : લાઈવ-ફાયરિંગની પ્રેક્ટિસ
- લાઈવ-ફાયરિંગમાં, સાંચાં અને ભારે શસ્ત્રો, અને ટેન્કો તથા તોપોનો ઉપયોગ કરવામાં આવે છે
નવીદિલ્હી : પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી પ્રવર્તી રહી છે. તેવામાં પાકિસ્તાનનું અન્ય દુસ્સાહસ બહાર આવ્યું છે. પાકિસ્તાની સેનાએ એલઓસી (લાઇ ઓફ કન્ટ્રોલ) પાસે યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે તે દરમિયાન લાઇવ ફાયરિંગ ડ્રીલ કરવામાં આવી જેમાં સાચાં ભારે શસ્ત્રો, ટેન્કો તથા તોપોનો ઉપયોગ કરવામાં આવે છે.
જ્યારથી ભારતે આતંકીઓ ઉપર એકશન લેવાની વાત કરી છે, ત્યારથી પાકિસ્તાન ડરી ગયું છે. રાત-દિવસ તેને ભારતના હુમલાનો ડર સતાવી રહ્યો છે. તેના મંત્રીએ અર્ધી રાતે મીડિયાને બોલાવી કહ્યું હતું કે, ભારત ગમે ત્યારે હુમલો કરી શકે તેમ છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી પણ ભારતના હુમલાનો ભય દર્શાવી ચૂક્યા છે. તેવામાં પાકિસ્તાનની સેનાએ સાચાં શસ્ત્રો અને ગોળા-બારૂદ સાથે લાઈવ ફાયરિંગ પ્રેક્ટિસ શરૂ કરવાનું છે. લાઈવ ફાયરિંગ પ્રેક્ટિસનો અર્થ સાચા દારૂ-ગોળા સાથે ફાયરિંગ કરવાનો છે. આ તે પ્રકારની ડ્રીલ છે કે જેમાં કોઈપણ દેશ યુદ્ધ પૂર્વે પોતાની શક્તિનું પરીક્ષણ કરવા માટે કરે છે.
પાકિસ્તાનની ચેનલ જીઓ-ન્યૂઝે સેનાનો હવાલો આપતાં કહ્યું હતું કે આ અભ્યાસનો હેતુ દુશ્મનની કોઈ પણ આક્રમકતાનો મુંહ-તોડ જવાબ આપવાનો છે તે સાચાં યુદ્ધની તૈયારી રૂપે કરાય છે. તે યુદ્ધાભ્યાસમાં સેનાના જવાનો અને અધિકારીઓ સક્રિય હોય છે.
પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ૨૯-૩૦ એપ્રિલ વચ્ચે કીયાની અને મંડલ સેક્ટર જે નિયંત્રણ પાસે છે ત્યાં કરવામાં આવ્યો હતો. કેટલાંક રિપોર્ટમાં ટિલ્લા-ટેસ્ટ-ફાયરિંગ-રેન્જનો પણ ઉલ્લેખ છે. ત્યાં પાકિસ્તાની સેના ઘણીવાર તેનાં શસ્ત્રોનું પરીક્ષણ કરે છે.
પાકિસ્તાની સેના કહે છે કે, ''આ સામાન્ય યુદ્ધાભ્યાસ છે, પરંતુ ઘટનાક્રમ જોતાં તે યુદ્ધાભ્યાસનો સમય અને સ્થળ સામા પક્ષને (ભારતને) ઉશ્કેરવા માટે જ હોઈ શકે તેમ વિશ્લેષકોનું કહેવું છે.''
ભારતે પાકિસ્તાન ઉપર પહેલાં જ આક્ષેપ કર્યો છે કે જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં ૨૬ નિર્દોષ સહેલાણીઓની હત્યા પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ જ કરી હતી.