એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ, 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરના જીવ તાળવે ચોંટ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Air India News : જ્યારથી અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે ત્યારથી એક પછી એક અનેક વિમાનોમાં ગરબડના અહેવાલ સામે આવવા લાગ્યા છે. ત્યારે વધુ એક એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2455 ને ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણે ચેન્નાઈમાં ડાઈવર્ટ કરવી પડી છે.
વિમાનમાં 5 સાંસદ સવાર હતા
આ વિમાન ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું, જ્યાં વિમાનની જરૂરી તપાસ શરૂ કરાઈ છે. આ ફ્લાઇટમાં પાંચ સાંસદો - કેસી વેણુગોપાલ, કોડિક્કુનીલ સુરેશ, અદૂર પ્રકાશ, કે. રાધાકૃષ્ણન અને રોબર્ટ બ્રુસ - દિલ્હી જઈ રહ્યા હતા.
કોંગ્રેસ નેતાએ આપી માહિતી
કોંગ્રેસના નેતા અને સાંસદ કેસી વેણુગોપાલે સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે માહિતી શેર કરી. તેમણે કહ્યું કે ફ્લાઇટ મોડી શરૂ થઈ હતી અને ટેક-ઓફ પછી તરત જ અમને અભૂતપૂર્વ ટર્બુલન્સનો સામનો કરવો પડ્યો. લગભગ એક કલાક પછી કેપ્ટને ફ્લાઇટ સિગ્નલમાં ખામી જાહેર કરી અને વિમાનને ચેન્નાઈ તરફ વાળ્યું.
બે કલાક ક્લિયરન્સ માટે વિમાને રાહ જોઈ
વેણુગોપાલના જણાવ્યા મુજબ, વિમાન ચેન્નાઈ એરપોર્ટ ઉપર લગભગ બે કલાક સુધી ક્લિયરન્સ માટે રાહ જોતું રહ્યું. પ્રથમ લેન્ડિંગ પ્રયાસ દરમિયાન એક આઘાતજનક ક્ષણ આવી કેમ કે બીજું વિમાન તે જ રનવે પર હાજર હતું. કેપ્ટનના ઝડપી નિર્ણયથી વિમાન ઉપર ખેંચાયું અને બધા મુસાફરોના જીવ બચી ગયા. બીજા પ્રયાસમાં ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી ગઈ.
મુસાફરોની સલામતી નસીબ પર આધારિત ન હોવી જોઈએ : કેસી વેણુગોપાલ
કોંગ્રેસ સાંસદે કહ્યું, "કુશળતા અને નસીબ બંનેએ આપણને બચાવ્યા, પરંતુ મુસાફરોની સલામતી નસીબ પર આધારિત ન હોવી જોઈએ. હું ડીજીસીએ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને અપીલ કરું છું કે તેઓ આ ઘટનાની તાત્કાલિક તપાસ કરે, જવાબદારી નક્કી કરે અને ખાતરી કરે કે આવી ભૂલ ફરીથી ન થાય." જ્યારે આ મામલે એર ઈન્ડિયાનું કહેવું છે કે પહેલી લેન્ડિંગ વખતે રન વે પર બીજું કોઈ વિમાન હતું જ નહીં









