India

સમજૂતી બાદ પત્ની છેલ્લી ઘડીએ ફરી જતાં નારાજ સુપ્રીમે પતિને ધરાર ડાઇવોર્સ આપ્યા

By GS TEAM
16 Apr 20262 mins read
સમજૂતી બાદ પત્ની છેલ્લી ઘડીએ ફરી જતાં નારાજ સુપ્રીમે પતિને ધરાર ડાઇવોર્સ આપ્યા

- પતિ દોઢ કરોડ રોકડા આપવા તૈયાર હતો છતાં પત્નીએ કેસ કર્યો   

- પત્નીને બ્લેકની મિલક્તમાં ભાગ પડાવવાની લાલચ ભારે પડી, લેખિતમાં તેનો  ઉલ્લેખ ન હોઇ કોર્ટે તેની વાત નકારી કાઢી પતિને ડાઇવોર્સ આપી દીધાં

નવી દિલ્હી : પતિ અને પત્ની વચ્ચે ડાઇવોર્સ મામલે થયેલાં સમાધાન બાદ અલગ થવા માટે નાણાંકીય વળતરની પતાવટ થઇ ગયા પછી પણ પત્નીએ ફરી જઇ પતિ અને તેના પરિવારજનો પર ફોજદારી કેસ નોંધાવતાં સુપ્રીમ કોર્ટે કાયદાની પ્રક્રિયાનો દુરૂપયોગ થતો અટકાવવાના એક પગલાંમાં કલમ ૧૪૨ હેઠળ પ્રાપ્ત પોતાની ખાસ સત્તાનો ઉપયોગ કરી એક જ ઝાટકે ૨૩ વર્ષના લગ્નજીવનનો અંત આણી પતિને ડાઇવોર્સ આપી દીધાં હતા. 

લગ્નવિવાદોમાં અદાલતી પ્રક્રિયાનો દુરૂપયોગ કરવાના ચલણ સામે લાલ આંખ કરી સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરી પત્નીના વિરોધને કોરાણે હડસેલી દઇ ૨૩ વર્ષના લગ્નજીવનનું વિસર્જન કરી તેના દ્વારા પતિ સામે નોંધાવવામાં આવેલો ઘરેલુ હિંસાનો કેસ પણ કાઢી નાંખ્યો હતો. 

આ કિસ્સામાં પતિ-પત્ની વચ્ચે ૨૦૦૦ના વર્ષમાં લગ્ન થયા હતા. ૨૦૨૩માં ત્રેવીસ વર્ષના લગ્નજીવન બાદ પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી. ફેમિલિ કોર્ટે બંને પક્ષોને સમજૂતી કરી લેવા જણાવ્યું હતું. 

બંને પક્ષો પરસ્પર સંમતિથી છૂટાછેડાં લેવા અને તમામ વિવાદ પુરાં કરવા  માટે સંમત થયા હતા. 

આ સમજૂતી અનુસાર પતિએ પત્નીને દોઢ કરોડ રૂપિયા રોકડાં આપવા, કાર લેવા માટે ૧૪ લાખ આપવા અને ઘરેણાં આપવાની સંમતિ આપી હતી. 

પત્નીએ પણ જોઇન્ટ બિઝનેસ એકાઉન્ટમાંથી ૨.૫ કરોડ રૂપિયા પતિને ટ્રાન્સફર કરી આપવાની પણ વાત માની હતી. પણ છેલ્લી ઘડીએ પત્નીએ છૂટાછેડા આપવાની સંમતિ પાછી ખેંચી લઇ પતિ અને તેના પરિવારજનો સામે ઘરેલૂહિંસાનો કેસ પણ નોંધાવી દીધો હતો. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ રાજેશ બિંદાલ અને જસ્ટિસ વિજય બિશ્નોઇની બનેલી બેન્ચે આ મામલે કડક વલણ અપનાવી જણાવ્યું હતું કે પરસ્પર સંમતિથી ડાઇવોર્સના કેસમાં કોઇપણ પક્ષ આખરી આદેશ પૂર્વે પોતાની સંમતિ પાછી ખેંચી શકે છે પણ જો બંને પક્ષો વચ્ચે સમજૂતી સધાઇ ચૂકી હોય તો તેમાંથી પાછળ હટવાના પગલાંને માન્ય ન કરી શકાય. 

સમજૂતીને કોર્ટે મંજૂર રાખી હોય તે આગળની કાર્યવાહીનો આધાર બની જાય છે. આવી સમજૂતીમાંથી મુકરી જવાથી સિસ્ટમ નબળી પડે છે. 

પત્નીએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે પરસ્પર સમજૂતી ઉપરાંત પતિએ ૧૨૦ કરોડ રૂપિયાના ઘરેણાં અને ૫૦ કરોડ રૂપિયાના સોનાના બિસ્કિટ પાછાં આપવાનું વચન આપ્યું હતું. ટેક્સ બચાવવાની દાનતે આ બાબતનો કોઇ લેખિત ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. આ બાબતે બેન્ચે નારાજી વ્યક્ત કરી જણાવ્યું હતું કે આવી દલીલ કરવી એ ન્યાય વ્યવસ્થાનું ગંભીર અનાદર  કરવા સમાન છે.

 ૨૩ વર્ષના લગ્નજીવનમાં પહેલીવાર ઘરેલું હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ કેસને બાદમાં ઇરાદાપૂર્વક નોંધાવવામાં આવ્યો જેથી વિવાદ ચાલુ રહે.બેન્ચે તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે આવી રીતે સમજૂતીમાંથી મુકરી જનારને તો આકરો દંડ કરવો જોઇએ.