અનંત અંબાણી પ્રતિષ્ઠિત 'ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ'થી સન્માનિત, વનતારાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Animal Welfare Award: વન્યજીવન સંરક્ષણ અને પશુ કલ્યાણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ યુનાઇટેડ સ્ટેટ્સ(US)માં આયોજિત એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં અનંત અંબાણીને ગ્લોબલ હ્યુમનિટેરિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને વનતારા દ્વારા પ્રાણીઓના બચાવ, સારવાર, પુનર્વસન અને સંરક્ષણમાં તેમના નેતૃત્વ માટે આપવામાં આવ્યું હતું.
આ સિદ્ધિ સાથે, અનંત અંબાણીએ એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે. તેઓ આ સન્માન મેળવનારા સૌથી યુવા અને પ્રથમ એશિયન વ્યક્તિ બની ગયા છે. અગાઉ, આ પુરસ્કાર હોલિવૂડ સેલિબ્રિટીઓ અને અમેરિકન પ્રમુખ જૉન એફ કેનેડી અને બિલ ક્લિન્ટન સહિત અનેક વૈશ્વિક નેતાઓને આપવામાં આવ્યો છે. આ સન્માન સાથે ફરી એકવાર વનતારાનું કાર્ય વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યું છે. વનતારા આજે વિશ્વના સૌથી અનોખા અને સૌથી મોટા વન્યજીવન સંરક્ષણ પ્રોજેક્ટ્સમાં સામેલ છે. તે ઈજાગ્રસ્ત, બીમાર અને લુપ્તપ્રાય પ્રાણીઓને નવું જીવન આપવા તેમજ તેવી પ્રજાતિઓને બચાવીને સુરક્ષિત વાતાવરણમાં પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

સંરક્ષણ ભવિષ્યની બાબત નથી, પરંતુ આજની જવાબદારી છે: અનંત અંબાણી
આ એવોર્ડ સ્વીકારતા અનંત અંબાણીએ કહ્યું, 'આ સન્માન મને 'સર્વભૂત હિતા' એટલે કે ‘બધા જીવોનું કલ્યાણ’ના માર્ગ પર વધુ મજબૂત રીતે આગળ વધવા માટે પ્રેરણા આપે છે. પ્રાણીઓ આપણને જીવનમાં સંતુલન અને સંવેદનશીલતા શીખવે છે. વનતારા દ્વારા અમારું લક્ષ્ય દરેક જીવને સન્માન, સંભાળ અને વધુ સારું જીવન પૂરું પાડવાનું છે. અમારા માટે સંરક્ષણ એ ભવિષ્યની બાબત નથી, પરંતુ આજની જવાબદારી છે.'
પ્રાણી કલ્યાણ અને તેમના સંરક્ષણના ક્ષેત્રમાં વિશ્વભરમાં સૌથી અગ્રણી વૈશ્વિક સન્માનમાંનો એક ગણાતો આ એવોર્ડ અનંત અંબાણીના કામને બિરદાવે છે. આ વાત સાબિત કરે છે કે, તેઓ વન્યજીવ કલ્યાણ યોજનાઓ અને વિજ્ઞાન આધારિત સંરક્ષણની પહેલ થકી વિલુપ્તિની આરે પહોંચેલી પ્રજાતિઓના રક્ષણ માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આ એવોર્ડ એવા જ લોકોને અપાય છે, જેમની આજીવન પ્રતિબદ્ધતાએ પ્રાણીઓ અને લોકો બંને માટે પરિવર્તનકારી વૈશ્વિક સ્તરે અસર કરી છે.

કરુણાની બાબતમાં અનંત અંબાણીથી મોટા ચેમ્પિયન કોઈ નથીઃ ગોન્ઝાર્ટ
ગ્લોબલ હ્યુમન સોસાયટીએ અનંત અંબાણીની વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાની સ્થાપનામાં તેમની દીર્ઘદૃષ્ટિને પસંદ કરી છે. આ સંસ્થાએ જણાવ્યું છે કે, વનતારાએ મોટા પાયે વન્યજીવોના બચાવ, પુનર્વસન અને પ્રજાતિ સંરક્ષણની શક્યતાઓને ફરીથી આલેખી છે. પશુ કલ્યાણ માટેની તેમની કરુણા, ઉત્કટતા અને સમર્પણ તેમને ભૂતકાળના સન્માનિત મહાનુભાવોની વિશિષ્ટ શ્રેણીમાં સ્થાન આપે છે અને તેમનું કાર્ય માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંરક્ષણના ભવિષ્યને આકાર આપી રહ્યું છે.
ગ્લોબલ હ્યુમન સોસાયટીના સીઇઓ ડૉ. રોબિન ગાન્ઝર્ટે જણાવ્યું હતું કે, ‘વનતારાને ‘ગ્લોબલ હ્યુમન સર્ટિફાઇડ™’નું સન્માન મળવું એ વન્યજીવોની શ્રેષ્ઠ સંભાળ જ નહીં, પરંતુ તે દરેકને ગૌરવ, સારવાર અને જીવવાની આશા આપવા પ્રત્યે ઊંડું સમર્પણ દર્શાવે છે. આ રીતે જોઈએ તો અનંત અંબાણી કરતાં કોઈ મોટી હસ્તી નથી, જેમણે આ કરુણા માટે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત હોય.’
આ કાર્યક્રમના આયોજક 'ગ્લોબલ હ્યુમન સોસાયટી'એ અનંત અંબાણી અને વનતારાની પ્રશંસા કરતા કહ્યું કે 'વનતારા ફક્ત એક રેસ્ક્યુ સેન્ટર નથી, પરંતુ એક અનોખું મોડેલ છે જે પ્રાણીઓને સારવાર, સંભાળ અને સંરક્ષણ પણ આપે છે. વનતારાએ દર્શાવ્યું છે કે પ્રાણીઓને મોટા પાયે કેવી રીતે મદદ કરી શકાય અને આ મોડેલ હવે વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયું છે. વનતારાની મહત્ત્વાકાંક્ષાએ એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે, જે દર્શાવે છે કે આધુનિક પ્રાણી કલ્યાણનું કામ કેવું હોઈ શકે.’
નોંધનીય છે કે, આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે જોડાયેલી ઘણી અગ્રણી હસ્તીઓ હાજર હતી, જેમાં ડૉ. જૉન પૉલ રોડ્રીગેઝ, મેથ્યૂ જેમ્સ, વિલિયમ સ્ટ્રીટ, થૉમસ શ્મિટ, ડૉ. માઈકલ એડ્કેસન અને કેથલીન ડુડઝિન્સ્કીનો સમાવેશ થાય છે. ભારતમાંથી ડૉ. નીલમ ખૈરે, ડૉ. વી.બી. પ્રકાશ અને ડૉ. કે.કે. શર્માનો સમાવેશ થાય છે.
ગ્લોબલ હ્યુમન સોસાયટી શું છે અને તેનું કાર્યક્ષેત્ર શું છે?
ગ્લોબલ હ્યુમન સોસાયટી અમેરિકન હ્યુમન સોસાયટીનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. તે અમેરિકાની પહેલી રાષ્ટ્રીય માનવીય સંસ્થા છે અને વિશ્વની સૌથી મોટી પ્રાણી કલ્યાણ પ્રમાણકર્તા છે. જેમ કે, આ સંસ્થા કોઈ વૈશ્વિક સ્તરે ફિલ્મ-મીડિયા પ્રોડક્શનમાં પ્રાણી સુરક્ષા માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણ આપે છે, જેનો હેતુ પ્રાણીઓને સુરક્ષા પ્રદાન કરવાનો છે. અંદાજે 150 વર્ષથી આ સંસ્થા પ્રાણીઓને દરેક સ્તરે આ રીતે વૈજ્ઞાનિક ઢબે સુરક્ષા આપે છે. 59 દેશોમાં કાર્યરત આ સંસ્થા દર વર્ષે 1.5 અબજથી વધુ પ્રાણીઓની સારવારના હેતુથી ચકાસણી પણ કરે છે.
અમેરિકન હ્યુમન સોસાયટી પ્રાણીઓને બચાવવા, તેમની સંભાળ રાખવા અને તેમનું રક્ષણ કરવાની ચળવળમાં લગભગ દરેક મુખ્ય કાર્યોમાં મોખરે રહે છે. વિજ્ઞાન આધારિત પ્રમાણન પ્રક્રિયાઓને આધાર બનાવી ઉચ્ચ સ્તરીય રાજકીય સલાહ દ્વારા આંતરરાષ્ટ્રીય વાસ્તવિક પ્રાણી-રક્ષણ બચાવ કામગીરી અને વૈશ્વિક નીતિઓ વચ્ચે સંકલન પણ કરે છે. પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન યુદ્ધના મોરચાઓથી લઈને આજના ક્લાઈમેટ ચેન્જ સુધી આ સંસ્થા હંમેશાં મૂક પ્રાણીઓ માટે અડગ રક્ષક રહી છે. નૈતિકતા, પારદર્શિતા અને ડેટા આધારિત માહિતી દ્વારા આ સંસ્થા માણસ અને પ્રાણી વચ્ચેના અનુબંધને સુનિશ્ચિત કરતી રહે છે.









