India

ઇરાન યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત રશિયા 95 લાખ બેરલ ઓઇલ આપશે

By GS TEAM
6 Mar 20262 mins read
ઇરાન યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત રશિયા 95 લાખ બેરલ ઓઇલ આપશે

- મધ્યપૂર્વમાંથી ઓઇલનો 50 ટકા પુરવઠો અટક્યો છે ત્યારે રશિયા ભારતની 40 ટકા જરૂરિયાત પૂરી કરી શકે

નવી દિલ્હી : મધ્યપૂર્વમાં તનાવ વધતા હોર્મુઝ ખાડીમાંથી ક્રૂડ ઓઇલના આવવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આના કારણે ભારત આવતો ક્રૂડ ઓઇલનો પુરવઠો રુંધાયો છે. આ સમયે દર વખતની જેમ રશિયા આ વખતે પણ ભારતની કટોકટીના સમયનું સાથી બનવા તૈયાર છે. હાલમાં ભારતીય જળક્ષેત્રમાં લગભગ ૯૫ લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઇલ હાજર છે અને તે ગમે ત્યારે ભારત તરફ વાળી શકાય છે. 

આ સમાચાર ત્યારે આવ્યા છે જ્યારે મધ્યપૂર્વમાં ક્રૂડ ઓઇલની આયાતનો રસ્તો બંધ થઈ ગયો છે. ભારત તેની જરૂરિયાતના ૫૦ ટકા ક્રૂડ ઓઇલની આયાત મધ્યપૂર્વમાંથી કરે છે. આ સંજોગોમાં રશિયાનું ક્રૂડ ઓઇલ ભારત માટે મોટી રાહત લઈને આવી શકે છે.

ભારત પાસે હાલમાં મર્યાદિત પ્રમાણમાં ઓઇલ ભંડાર છે. તેના કારણે ભારત સતત નવા વિકલ્પની શોધમાં છે. અહેવાલનું કહેવું છે કે ભારત પાસે ૨૫ દિવસ ચાલે તેટલું જ ઓઇલ રિઝર્વ છે. આ સિવાય ડીઝલ, પેટ્રોલિયમ અને ગેસ જેવા રીફાઇન ઉત્પાદનોનો ભંડાર પણ ઓછો છે.

ટ્રમ્પ પોતે જ દાવો કરી ચૂક્યા છે કે મધ્યપૂર્વનો સંઘર્ષ એક મહિના કરતાં પણ વધુ સમય ચાલી શકે છે. આ સંજોગોમાં ભારત પાસે વૈકલ્પિક સ્ત્રોતો શોધવા સિવાય બીજો વિકલ્પ નથી. ભારતીય રીફાઇનરીઓ પ્રતિ દિન ૫.૬ લાખ બેરલ ઓઇલ રિફાઇન કરે છે. આનો સીધો અર્થ એમ થાય કે શિપિંગમાં જરા પણ ઘટાડો થાય તો સીધી રિફાઇનિંગ પર અસર પડે. મોસ્કો ભારતની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો ૪૦ ટકા પુરવઠો પૂરો પાડી શકે છે.