India

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ

By GS TEAM
8 May 20262 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP) ના પ્રમુખ અખિલેશ યાદવની હાલની સોશિયલ મીડિયા પોસ્ટે INDIA ગઠબંધનમાં ભંગાણના સંકેતો આપ્યા છે. અખિલેશ યાદવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સાથેની તસવીરો શેર કરીને કોંગ્રેસ પર આડકતરો પ્રહાર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ

UP Assembly Elections 2027: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP) ના પ્રમુખ અખિલેશ યાદવની હાલની સોશિયલ મીડિયા પોસ્ટે INDIA ગઠબંધનમાં ભંગાણના સંકેતો આપ્યા છે. અખિલેશ યાદવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સાથેની તસવીરો શેર કરીને કોંગ્રેસ પર આડકતરો પ્રહાર કર્યો છે.

અમે મુશ્કેલીમાં સાથ છોડનારા નથી

અખિલેશ યાદવે 'X' પર પોસ્ટ કરતા લખ્યું કે, અમે એવા લોકો નથી જે મુશ્કેલીના સમયમાં એકબીજાનો સાથ છોડી દે. આ નિવેદનને કોંગ્રેસ સામેના કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તમિલનાડુમાં કોંગ્રેસે તેના જૂના સાથી પક્ષ DMKનો સાથ છોડીને અભિનેતા-નેતા વિજયની પાર્ટી TVK સાથે હાથ મિલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, TVK તેની પ્રથમ ચૂંટણીમાં જ શાનદાર પ્રદર્શન કર્યું છે અને હવે તે બહુમતી સાબિત કરવા માટે પ્રયત્નશીલ છે.

કોંગ્રેસ અને સપા વચ્ચે શાબ્દિક જંગ

સમાજવાદી પાર્ટીના નેતાઓએ અખિલેશના આ વલણને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે, કોંગ્રેસે INDIA બ્લોકનું નેતૃત્વ જે રીતે કરવું જોઈએ તે રીતે કર્યું નથી. સપાના એક વરિષ્ઠ સાંસદે જણાવ્યું કે કોંગ્રેસ માત્ર સત્તાની લાલચમાં છે અને તેણે જવાબદાર રાજકારણ દાખવવાને બદલે DMK સાથે દગો કર્યો છે.

આ પણ વાંચો : બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી

બીજી તરફ, ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતાઓએ પણ વળતો પ્રહાર કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે કુશીનગરમાં મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે સપાએ શું કર્યું? કોંગ્રેસનું કહેવું છે કે માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી રાજકારણ ચાલતું નથી, જમીન પર ઉતરીને લડવું પડે છે.

2027ની વિધાનસભા ચૂંટણીનો પડકાર

આ વિવાદની સીધી અસર 2027માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પર પડી શકે છે. ભલે બંને પક્ષોના ટોચના નેતાઓ સારા સંબંધોનો દાવો કરતા હોય, પરંતુ રાજ્ય કક્ષાએ બંને પક્ષોના એકમો વચ્ચે ખેંચતાણ સ્પષ્ટ દેખાઈ રહી છે. અગાઉ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ સીટ શેરિંગને લઈને બંને વચ્ચે મોટો સંઘર્ષ થયો હતો.

ગઠબંધન માટે કપરો સમય

બિહારમાં RJD, તમિલનાડુમાં DMK અને પશ્ચિમ બંગાળમાં TMC ની હાર બાદ હવે તમામની નજર ઉત્તર પ્રદેશ પર છે. મમતા બેનર્જીએ પણ પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે, જેને અખિલેશ યાદવે સમર્થન આપ્યું છે. INDIA ગઠબંધન જે લોકસભા ચૂંટણી બાદ શાંત હતું, તેમાં હવે આંતરિક ડખો સપાટી પર આવ્યો છે.