Opposition targets Election Commission over SIR drive : દેશના અનેક રાજ્યોમાં અત્યારે એક સાથે SIRની પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા કરાવવામાં આવી રહી છે. SIRની પ્રક્રિયા કરી રહેલા BLOના મોતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેને લઈને વિપક્ષે ચૂંટણી પંચ અને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. શનિવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે સરકાર SIRના બહાને મત આપવાનો અધિકારી છીનવી રહી છે.
SIRની પ્રક્રિયા દરમિયાન મૃત્યુ પામનારા BLOની પત્નીને બે લાખ રૂપિયાનું વળતર આપ્યા બાદ અખિલેશ યાદવે પત્રકાર પરિષદ યોજી અને કહ્યું, કે SIR એક સમજી વિચારીને કરેલું ષડયંત્ર છે. બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં દરેક નાગરિકને મત આપવાનો અધિકાર અપાયો છે. જે છીનવવામાં આવી રહ્યો છે.
BLOના નિધન અંગે અખિલેશ યાદવના આરોપ
તેમણે વધુમાં કહ્યું કે કે ઉત્તર પ્રદેશના BLO વર્માના નિધન બાદ ઉચ્ચ અધિકારીઓ એવું દબાણ બનાવી રહ્યા છે કે તેમનું મોત ઓન ડ્યુટી નથી થયું. અમે અમારા તરફથી બે લાખ રૂપિયાનો ચેક પરિજનોને આપી રહ્યા છે કે અમારી માંગણી છે કે સરકાર આ પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર આપે તથા તેમના પરિવારના સદસ્યને સરકારી નોકરી આપવામાં આવે તથા વિવિધ સરકારી યોજનાઓ હેઠળ પણ મદદ કરવામાં આવે.
અખિલેશ યાદવે કહ્યું, કે અમે પહેલેથી જ માંગ કરી રહ્યા છે કે BLO પર કોઈ પ્રકારનું દબાણ કરશો નહીં. આ સંવેદનશીલ કાર્ય છે જેમાં જવાબદારીપૂર્વક સાવચેતીથી કાર્ય કરવું પડે. એક વખત જો ફૉર્મ રદ થઈ ગયું તો લોકોએ દસ્તાવેજો લઈને આમતેમ ધક્કા ખાવા જવું પડશે.
ભાજપ અને ચૂંટણી પંચને આટલી ઉતાવળ કેમ છે?: અખિલેશ યાદવ
અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું, કે SIR કરાવવામાં ભાજપને આટલી ઉતાવળ કેમ છે? આ કાંડમાં ચૂંટણી પંચની પણ મિલીભગત છે. અત્યારે લગ્નગાળો ચાલી રહ્યો છે. સૌ કોઈ વિવિધ પ્રસંગમાં વ્યસ્ત છે. એવામાં SIRની આટલી ઉતાવળ કેમ કરવામાં આવી રહી છે.


