Get The App

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં કેબિન ક્રૂ મનીષાનું નિધન, પટના કોલેજમાં સાથીઓની આંખો ભીની થઈ

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં કેબિન ક્રૂ મનીષાનું નિધન, પટના કોલેજમાં સાથીઓની આંખો ભીની થઈ 1 - image


Ahmedabad Plane Crash: 12 જૂને (ગુરુવારે) બપોરે 1:39 વાગ્યે અમદાવાદમાં સર્જાયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. આ દર્દનાક ઘટનામાં કુલ 265 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં 12 ક્રુ મેમ્બરનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં પટનાની મનીષા થાપા, જે ફ્લાઇટમાં ક્રુ મેમ્બર તરીકે ફરજ બજાવી રહી હતી, તેમનું પણ કરુણ નિધન થયું છે.

મનીષા થાપાના અકાળે અવસાનના સમાચાર મળતા જ પટનામાં શોકની લહેર ફરી વળી હતી. જ્યાંથી તેણે અભ્યાસ કર્યો હતો તે કોલેજ શોકમય માહોલમાં ડૂબી ગયું હતું. કોલેજમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રિન્સિપાલ ફાધર માર્ટિન પોરિસ અને કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો: 'જમીને હાથ ધોવા ઊભા જ થયા હતા ત્યાં...' પ્લેન ક્રેશમાં પાલનપુરના બે વિદ્યાર્થીનો ચમત્કારિક બચાવ

પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે મનીષા એક હોશિયાર અને શિસ્તવાન વિદ્યાર્થીની હતી. છેલ્લે એક વર્ષ પહેલા પટના એરપોર્ટ પર તેની સાથે મુલાકાત થઈ હતી, ત્યારે તે પોતાના પ્રોફેશનલ કરિયરમાં આગળ વધી ચૂકી હતી. કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ પણ મનીષાની યાદોને વાગોળી હતી.

મનીષાની એક મિત્રએ જણાવ્યું હતું કે મનીષા ભણવામાં હોશિયાર હોવા ઉપરાંત એક શાનદાર ડાન્સર પણ હતી. તેનું સપનું હતું કે તે આકાશમાં ઉડાન ભરે અને દેશ-વિદેશનો પ્રવાસ કરે. મનીષાના મૃત્યુ સાથે જ પટનાએ પોતાની એક હોશિયાર દીકરીને ગુમાવી દીધી છે. મનીષાની સ્મિત કરતી તસવીરો હવે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ સંદેશા સાથે વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઇએ કે અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભર્યાના થોડી જ મિનિટો બાદ મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. વિમાન પહેલા બી.જે. મેડિકલ કોલેજની મેસ બિલ્ડિંગ સાથે અથડાયું અને પછી અતુલ્યમ હોસ્ટેલ સાથે ટકરાયા બાદ આગના ગોળામાં ફેરવાઈ ગયું. આસપાસનો વિસ્તાર કાટમાળ, ધુમાડા અને ચીસોથી ભરાઈ ગયો હતો. આ દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી.


Tags :