રનવે પર જ રોકી દેવાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, શમશાબાદમાં ઉડાન પહેલા વિમાનમાં આવી ખામી
Air India Flight Issue: તેલંગાણાની રાજધાની હૈદરાબાદના શમશાબાદ ખાતે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના થતાં ટળી ગઈ. આજે (20 જૂન) એર ઈન્ડિયાનું એક વિમાન હૈદરાબાદથી મુંબઈ જઈ રહ્યું હતું. ત્યારે વિમાનમાં ટેક્નિકલ ખામી સામે આવી અને પાયલટે વિમાનને ટેકઓફ પહેલા જ રનવે પર રોકી દીધું.
પાયલટે સમયસૂચકતાથી કાર્યવાહી કરતા સંભાવિત ખતરો ટળી ગયો અને તમામ મુસાફર સુરક્ષિત છે. એર ઈન્ડિયાની ટીમે તુરંત મુસાફરો માટે બીજા વિમાનની વ્યવસ્થા કરી અને મુસાફરોને મુંબઈ મોકલ્યા.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન થયું હતું ક્રેશ
ગત 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન AI-171 દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. પ્રાથમિક રિપોર્ટ અનુસાર, વિમાનના બંને એન્જિન ફેઈલ થઈ ગયા અને વિમાન અમદાવાદ એરપોર્ટથી થોડે દૂર બીજે મેડિકલ કોલેજની એક બિલ્ડિંગ સાથે ટકરાઈ ગયું. જેમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થઈ ગયા. સાથે જ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જ્યાં દુર્ઘટના બની ત્યાંના 22 લોકો પણ આ દુર્ઘટનાના શિકાર બન્યા.