મુસાફરોનો સામાન લીધા વિના જ ચેન્નઈથી પટના પહોંચી ફ્લાઈટ: એર ઈન્ડિયા ફરી વિવાદમાં
Air India controversy : એર ઇન્ડિયા ફરી સમાચારોમાં છે. એર ઇન્ડિયાની ફ્લાઇટે મુસાફરોનો સામાન લોડ કર્યા વિમાન જ ઉડાન ભરી દીધી. ચેન્નઇથી પટના જઇ રહેલી ફ્લાઇટ IX-2936 એ 180થી વધુ મુસાફરોનો સામાન લીધા વિના જ ઉડાન ભરી દીધી. જેથી મુસાફરોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ એરપોર્ટ પર મુસાફરોએ હંગામો શરૂ કરી દીધો હતો. મામલો ઉગ્ર બનતાં CISF ના જવાનો તૈનાત કરવા પડ્યા હતા.
આ ઘટના 21 જૂન (શનિવાર) ની છે. એર ઇન્ડિયાની ફ્લાઈટ IX-2936 ચેન્નાઈથી પટના પહોંચી. પ્લેન ઉતર્યા બાદ જાહેરાત કરવામાં આવી કે તેમનો સામાન ચાર નંબરના બેલ્ટ પર મળશે. તમામ મુસાફરો ત્યાં પહોંચી ગયા. ઘણો સમય રાહ જોયા બાદ જ્યારે તેમને કોઈ પણ બેગ ન મળી, તો મુસાફરોએ એર ઇન્ડિયાના સ્ટાફને જાણ કરી. જેથી એરલાઇન તરફથી જણાવવામાં આવ્યું કે ટેક્નિકલ કારણોસર અને વધુ વજનના કારણે ફ્લાઈટમાં સામાન રાખવામાં આવ્યો ન હતો. આ સાંભળતા જ મુસાફરોમાં નારાજગી ફેલાઈ ગઈ અને મુસાફરોએ હોબાળો શરૂ કરી દીધો.
આ પણ વાંચો: Gujarat Rain : જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર, 24 કલાકમાં 81 તાલુકામાં મેઘ મહેર
હોબાળો વધતો જોઈને CISF જવાનોને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી. તેમણે સ્થિતિને સંભાળીને મુસાફરોને શાંત કર્યા. જણાવવામાં આવી રહ્યું છે કે ઘણા મુસાફરોને પટનાથી બીજી ફ્લાઈટ પકડવાની હતી, પરંતુ સામાન ન આવવાના કારણે તેમની આગળની મુસાફરી પ્રભાવિત થઈ હતી. મુસાફરોનું કહેવું છે કે તેમને આ વિશે પહેલાં કોઈ માહિતી આપવામાં આવી ન હતી. તેમજ તેમનો સામાન તેમને કેવી રીતે મળશે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
પરંતુ આ એકમાત્ર ઘટના ન હતી. એક જ દિવસમાં બે વાર એવું બન્યું જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઈટે મુસાફરોનો સામાન છોડી દીધો. આ ઉપરાંત બેંગલુરુથી પટના પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઈટે પણ સામાન છોડી દીધો હતો. મુસાફરોને એર ઇન્ડિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે "પટના એરપોર્ટનો રનવે નાનો છે અને વરસાદ પડી રહ્યો હતો, તેથી ભારે સામાન આવી શક્યો નથી. આજે એર ઇન્ડિયાની કોઈ પણ ફ્લાઈટ પટના આવી રહી નથી, તેથી કાલે સવારે 8 વાગ્યા સુધીમાં સામાન પહોંચવાની વાત કહેવામાં આવી છે."
આ પહેલાં સોમવારે 16 જૂને પટનાથી ગાજિયાબાદ હિંડન એરપોર્ટ જનાર એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટે પણ સામાન છોડી દીધો હતો. જ્યારે તમામ મુસાફરો પોતાની નિર્ધારિત યાત્રા પર પહોંચી ગયા હતા ત્યારે તેમને સૂચના આપવામાં આવી હતી.