Get The App

એર ઈન્ડિયા ફ્લાઈટમાં આપોઆપ સ્વિચ બંધ થઈ! વિમાન સેવાથી હટાવાયું, અમદાવાદ પ્લેન ક્રેશ સાથે કનેક્શન

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
એર ઈન્ડિયા ફ્લાઈટમાં આપોઆપ સ્વિચ બંધ થઈ! વિમાન સેવાથી હટાવાયું, અમદાવાદ પ્લેન ક્રેશ સાથે કનેક્શન 1 - image


Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર પ્લેનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં ખામી સર્જાઈ હોવાના દાવાથી હડકંપ મચ્યો છે. આ પ્લેન લંડનના હીથ્રો એરપોર્ટથી ઉડાન ભરીને સોમવારે સવારે બેંગલુરુ પહોંચ્યું હતું. પ્લેનમાં 200થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ AI-132ના બેંગલુરુમાં લેન્ડિંગ બાદ પાયલટે વિમાનની 'ડિફેક્ટ લોગ બુક'માં નોંધ્યું હતું કે- ડાબા એન્જિનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ 'રન' (Run) થી 'કટ ઓફ' (Cut-off) તરફ સરકી રહી હતી અને લોક થઈ રહી નહોતી.

એર ઈન્ડિયા અને બોઈંગની કાર્યવાહી

એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, પાયલટનો રિપોર્ટ મળતાની સાથે જ વિમાનને ફ્લાઈટ ઓપરેશનમાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ મામલે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) ને પણ જાણ કરવામાં આવી છે. એરલાઇનના જણાવ્યા અનુસાર, તપાસ માટે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM એટલે કે બોઈંગ કંપની) ને પણ સામેલ કરવામાં આવી છે.

અમદાવાદની ઘટના સાથે જોડવામાં આવી

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલો પ્લેન ક્રેશ પણ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં એન્જિન સ્ટાર્ટ કરવામાં પડેલી મુશ્કેલીને કારણે થયો હોઇ શકે છે. કારણ કે આ એક ગંભીર સમસ્યા છે. જ્યારે પાયલોટ પ્લેન ટેકઓફ કરાવી રહ્યો હોય ત્યારે તેનું અનેક અન્ય બાબતો પર પણ ધ્યાન હોય છે. તેવામાં ફ્યૂલ સ્વિચ લોક ન થઇ હોય અને દુર્ઘટનાબની હોઇ શકે છે. 

ફ્યુઅલ કંટ્રોલ સ્વીચનું કાર્ય અને ટેકનિક

* ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ વિમાનના કોકપિટમાં 'થ્રસ્ટ લીવર' પાસે હોય છે, જે એન્જિનમાં બળતણ (ફ્યુઅલ) ના પુરવઠાને નિયંત્રિત કરે છે.

* રન પોઝિશન (Run): જ્યારે સ્વીચ 'રન' પર હોય છે, ત્યારે ફ્યુઅલ વાલ્વ ખુલે છે અને એન્જિનને સતત બળતણ મળતું રહે છે. 

* કટઓફ પોઝિશન (Cut-off): આ પોઝિશનમાં ફ્યુઅલ સપ્લાય બંધ થઈ જાય છે અને એન્જિન તરત જ બંધ થઈ જાય છે.

* સુરક્ષા લોક: આ સ્વીચો સ્પ્રિંગ-લોડેડ હોય છે અને તેમાં 'ડિટેન્ટ' (એક પ્રકારનું લોક) હોય છે. તેને હલાવવા માટે ત્રણ સ્ટેપ જરૂરી છે: પકડવું, લોકમાંથી બહાર કાઢવું અને રિલીઝ કરવું. આથી તે અકસ્માતે દબાઈ શકતી નથી.

FIP એ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી

ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સ (FIP) ના પ્રમુખ સી.એસ. રંધાવાએ જણાવ્યું હતું કે, "AI-171 અકસ્માત બાદથી જ બોઈંગ 787 વિમાનોની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અંગે ગંભીર સુરક્ષા ચિંતાઓ છે. અમે તમામ બોઈંગ 787 વિમાનોને ગ્રાઉન્ડેડ કરીને તેમની ઝીણવટભરી તપાસની માંગ કરી છે."

રંધાવાએ જણાવેલી અન્ય ઘટનાઓ:

* 12 જૂન 2025: વિયેનાથી દિલ્હી આવી રહેલા પ્લેનમાં ઇલેક્ટ્રિકલ બેમાં પાણી ભરાવાને કારણે તેને ગ્રાઉન્ડેડ કરાયું હતું.

* 17 ફેબ્રુઆરી 2019: જાપાનની ઓલ નિપ્પોન એરવેઝની ફ્લાઈટમાં લેન્ડિંગ વખતે બંને એન્જિન બંધ થઈ ગયા હતા.

અમદાવાદ પ્લેન ક્રેશનો સંદર્ભ

12 જૂન 2025 ના રોજ એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટ AI 171 ક્રેશ થઈ હતી. જેમાં 241 લોકોના મોત થયા હતા. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રાથમિક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ક્રેશ પહેલા ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ DGCA એ તમામ એરલાઇન્સને ફ્યુઅલ સ્વીચ સિસ્ટમ તપાસવા નિર્દેશ આપ્યો હતો. એર ઈન્ડિયાએ તે સમયે તપાસ બાદ જણાવ્યું હતું કે તેમના બોઈંગ 787 અને 737 વિમાનોના લોકિંગ સિસ્ટમમાં કોઈ સમસ્યા નથી.

આ પણ વાંચો :તૂટેલી સીટો, ગંદકીભર્યું ટોયલેટ, ખરાબ ખાવાનું... કન્ઝ્યુમર કોર્ટે એર ઈન્ડિયાને ફટકાર્યો દોઢ લાખનો દંડ