India

તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો

By GS TEAM
10 May 20262 mins read
તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો

- મંદિરમાં 36 કલાકનો વિલંબ ઘટીને 14 કલાકનો થયો

- AI સિસ્ટમને કેમેરા દ્વારા રિયલ ટાઈમ માહિતી મળે છે, જેના આધારે ભીડનું વિશ્લેક્ષણ કરવામાં આવે છે 

તિરુપતિ : આંધ્ર પ્રદેશના પ્રસિદ્ધ તિરુમલા વેંકટેશ્વર મંદિરમાં હવે ભક્તોને દર્શન માટે કલાકો સુધીની લાંબી રાહ નહીં જોવી પડે. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા સ્થાપિત આટફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કારણે દર્શનના વેઈટિંગ ટાઈમમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 

આ પહેલા ભારે ભીડને કારણે ભક્તોને ભગવાનના દર્શન કરવા માટે ૨૪ થી ૩૬ કલાક સુધી રાહ જોવી પડતી હતી. હવે, એઆઈ આધારિત સિસ્ટમ લાગુ થયા બાદ આ સમય ઘટીને અંદાજે ૮ થી ૧૪ કલાક થઈ ગયો છે. મંદિર સંચાલન સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નવી ટેકનોલોજીના ઉપયોગથી ભીડ વ્યવસ્થાપન વધુ ઝડપી, સુવ્યવસ્થિત અને સુરક્ષિત બન્યું છે. 

આ સિસ્ટમ તિરુમલાના વૈકુંઠમ ક્યૂ કોમ્પ્લેક્સમાં સ્થાપિત કરવામાં આવી છે. જેમાં, હજારો કેમેરા દ્વારા મળતી માહિતીનું એઆઈ દ્વારા રિયલ-ટાઇમ વિશ્લેષણ કરવામાં આવે છે. સિસ્ટમ ભીડ ક્યાં વધી રહી છે, કયા વિસ્તારમાં અવરજવર વધુ છે, ક્યાં રાહ જોવાનો સમય વધી રહ્યો છે અને સુરક્ષા સંબંધિત કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ છે કે નહીં તેની તરત માહિતી આપે છે. 

અહેવાલો અનુસાર, તિરુમલામાં ૬,૦૦૦થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમાંના કેટલાક કેમેરા ફેશિયલ રેકોગ્નિશન ટેકનોલોજીથી સજ્જ છે. આ કેમેરા ભીડનું ગણિત અને યાત્રાળુઓની હિલચાલ પર નજર રાખવામાં મદદ કરે છે. એઆઈ સિસ્ટમ હીટ મેપ, લાઈનની સ્થિતિ, વાહન વ્યવહાર અને તાત્કાલિક પરિસ્થિતિઓની માહિતી એક જ ડેશબોર્ડ પર આપે છે.