'જો રતન ટાટા જીવીત હોત તો...' હજુ વળતર ન મળતાં અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોનું દર્દ છલકાયું
Air India Plane Crash: અમદાવાદમાં 12મી જૂને એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાને 2 મહિના થઈ ગયા છે, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી વળતરની રકમ મળી નથી. પીડિતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝનું કહેવું છે કે, 'જો રતન ટાટા જીવીત હોત તો વળતર આપવામાં આટલો વિલંબ ન થયો હોત.'
માઇક એન્ડ્રુઝે પીડિત પરિવારની વેદના જણાવી
મીડિયા સાથે વાતચીત કરતા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝે કહ્યું કે, 'રતન ટાટાએ ક્યારેય વળતર આપવામાં વિલંબ કર્યો નથી. આ દર્શાવે છે કે જો તેઓ જીવતા હોત, તો AI171 વિમાન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા પછી પીડિત પરિવારોને આટલો સંઘર્ષ ન કરવો પડત.'
રતન ટાટા અંગે અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝએ કહ્યું કે, 'અમેરિકામાં પણ અમે જાણીએ છીએ કે રતન ટાટા કોણ હતા. તેમની કાર્યશૈલી અને કર્મચારીઓ પ્રત્યેનો તેમનો સંભાળ રાખનાર સ્વભાવ બધા જાણે છે. અમને વિશ્વાસ નથી આવી રહ્યો કે AI171ના પીડિતોને વળતર આપવામાં કઈ અમલદારશાહી પ્રક્રિયા અવરોધરૂપ બની રહી છે, જેના કારણે વળતરમાં આટલો વિલંબ થઈ રહ્યો છે?'
પીડિતો અંગે અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝએ કહ્યું કે 'અમે એક દુઃખી પરિવારને મળ્યા. એક વૃદ્ધ માતા પથારીવશ છે. તે સ્વાસ્થ્ય સંભાળ માટે તેના પુત્ર પર નિર્ભર હતી. હવે તે મૃત્યુ પામ્યો છે. તેમને કોઈ વળતર મળી રહ્યું નથી. હવે તેઓએ શું કરવું જોઈએ?'
25 લાખ રૂપિયાનું વળતર મળ્યું
12મી જૂનના રોજ અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ તમામ પીડિતોને એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. બાદમાં વધારાના ૨૫ લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. 26મી જુલાઈના રોજ એર ઈન્ડિયાએ 26 લાખ રૂપિયાની રકમ જાહેર કરી હતી. આ રકમ 229 મુસાફરોના 147 પરિવારોને આપવામાં આવી છે. જોકે, પીડિતોને હજુ સુધી ૧ કરોડ રૂપિયાનું વળતર મળ્યું નથી.
અકસ્માતમાં 242 મુસાફરો-ક્રૂ સાથે અન્ય 19 મોત
લંડન માટે રવાના થયેલા એર ઈન્ડિયાની ફ્લાઇટ 12 જૂને અમદાવાદથી ટેકઑફની તુરંત બાદ એક મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થઈ ગઈ હતી. વિમાનમાં સવાર 12 ક્રૂ મેમ્બર સહિત 241 મુસાફરોના મોત થયા હતા,જ્યારે એક જ મુસાફરનો જીવ બચી શક્યો હતો. આ સિવાય 19 લોકોના મોત નિપજ્યાં હતાં.