અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં મોટી સફળતા, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થતાં ડેટા કાઢવાની પ્રક્રિયા શરુ
Ahmedabad Plane Crash: એર ઇન્ડિયાનું વિમાન 12 જૂનના રોજ અમદાવાદમાં ટેક ઑફ પછી તરત જ ક્રેશ થઈ ગયું હતું. હવે આ પ્લેન ક્રેશની તપાસમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ને મોટી સફળતા મળી છે. સરકારે આજે જણાવ્યું છે કે, વિમાનના બ્લેક બૉક્સમાંથી કૉકપિટ વોઇસ રૅકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (FDR) સુરક્ષિત કાઢવામાં આવ્યું છે, તેનો ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે અને હવે તેનું વિશ્લેષણ શરુ કરી દેવામાં આવ્યું છે.
બ્લેક બૉક્સમાંથી શું મળ્યું?
બ્લેક બૉક્સ 24 જૂનના રોજ અમદાવાદથી દિલ્હી લાવવામાં આવ્યું હતું, જ્યાં તેને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની લેબોરેટરીમાં ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ(CPM)ને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યું હતું. તેની મેમરી સફળતાપૂર્વક એક્સેસ કરીને ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં 259 લોકોના મોત
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો CVR અને FDRની બારીકાઈથી તપાસ કરી રહ્યું છે. આ બે રૅકોર્ડર વિમાન દુર્ઘટનાની તપાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમને જણાવી દઈએ કે, આ અકસ્માતમાં 259 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોએ જીવ ગુમાવ્યો હતો. વિમાન દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશ જીવિત બચ્યો હતો.
શું છે CVR અને FDR?
CVR (કોકપીટ વોઇસ રૅકોર્ડર) હોય છે, જેમાં પાઈલટ્સ વચ્ચેની વાતચીત અને કોકપીટનો અવાજ રૅકોર્ડ થાય છે, જેનાથી એ જાણી શકાય છે કે, દુર્ઘટના પહેલા શું સ્થિતિ હતી.
FDR (ફ્લાઇટ ડેટા રૅકોર્ડર) હોય છે. તે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનની સ્થિતિ, દિશા અને અન્ય તકનીકી માહિતી રૅકોર્ડ કરે છે.
શું છે તપાસનો હેતુ?
- CVR અને FDR દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે દુર્ઘટના પહેલાની આખા ઘટનાક્રમને ફરીથી સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
- વિશ્લેષણથી એ જાણી શકાશે કે, આ દુર્ઘટનાની પાછળ ટેકનિકલ ખામી, પાયલટની ભૂલ કે કોઈ બાહ્ય કારણ તો ન હતું ને.
- આ તપાસનો હેતુ હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવાનો છે.